Uttarakhand Helicopter Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાને હજુ ત્રણ દિવસ માંડ થયા છે ત્યાં હવે ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ (Uttarakhand Helicopter Crash) થયું છે અને તેમાં 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાઇલટ અને 10 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આગામી આદેશ સુધી ચાર ધામ વિસ્તારમાં હેલિકોપ્ટર સેવાઓ રદ કરી દીધી છે.
મૃતકોમાં 10 વર્ષની બાળકી પણ સામેલ
ઉત્તરાખંડમાં આર્યન એવિએશનનું એક હેલિકોપ્ટર ગુમ થયાના સમાચાર આવ્યા હતા. આ હેલિકોપ્ટર કેદારનાથથી ગુપ્તકાશી જઈ રહ્યું હતું. રિપોર્ટ મુજબ આ હેલિકોપ્ટર ગૌરીકુંડના જંગલોમાં રસ્તો ભૂલી ગયું હતું. એ પછી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ માહિતી આપી છે કે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં પાઇલટ અને 10 વર્ષની બાળકી સહિત સાત લોકો સવાર હતા. મૃતકોના નામ રાજવીર (પાયલોટ), વિક્રમ રાવત, વિનોદ, તૃષ્ટિ સિંહ, રાજકુમાર, શ્રદ્ધા અને રાશિ (૧૦ વર્ષની બાળકી) છે.
ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર રસ્તો ભૂલી ગયું
પ્રાથમિક માહિતી અનુસાર, ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર રસ્તો ભૂલી ગયું હતું. જે વિસ્તારમાં હેલિકોપ્ટર ગુમ થયું છે તે વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જેના કારણે તાત્કાલિક જમીન પર પહોંચવું મુશ્કેલ બન્યું છે. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ વિસ્તારમાં હવામાન ખૂબ જ ખરાબ હતું, જેના કારણે હેલિકોપ્ટર તેના નિશ્ચિત રૂટ પર આગળ વધી શક્યું ન હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનના ક્રૂ મેમ્બર્સની કહાની તમને રડાવી દેશે!
મુખ્યમંત્રીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “રુદ્રપ્રયાગ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટના થવાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે.
રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી
ઉત્તરાખંડના ADG (કાયદો અને વ્યવસ્થા) ડૉ. વી. મુરુગેશને સમાચાર એજન્સી ANIને જણાવ્યું છે કે બચાવ ટીમને અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ પણ આ બાબતની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આજે, 15 જુલાઈ 2025 ના રોજ સવારે લગભગ 5:20 વાગ્યે, આર્યન એવિએશનનું હેલિકોપ્ટર VTBKA/BELL 407 કેદારનાથ ધામથી ગુપ્તકાશી જઈ રહ્યું હતું, જે કોઈ કારણોસર ગૌરીકુંડ નજીક ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહત અને બચાવ માટે SDRF અને NDRF ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
जनपद रुद्रप्रयाग में हेलीकॉप्टर के दुर्घटनाग्रस्त होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है। एसडीआरएफ, स्थानीय प्रशासन एवं अन्य रेस्क्यू दल राहत एवं बचाव कार्यों में जुटे हैं।
बाबा केदार से सभी यात्रियों के सकुशल होने की कामना करता हूँ।
— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2025
‘પાયલોટે હેલિકોપ્ટરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો’
જિલ્લા પ્રવાસન વિકાસ અધિકારી અને નોડલ હેલી સર્વિસ, રાહુલ ચૌબેએ જણાવ્યું છે કે, આજે સવારે એક હેલિકોપ્ટર ગુમ થવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ તેની તપાસ કરવામાં આવી હતી અને શોધખોળ હાથ ધરવામાં આવી. પ્રાથમિક માહિતી મુજબ, આર્યન એવિએશનનું એક હેલિકોપ્ટર કેદારનાથ ધામથી મુસાફરોને તેના ગુપ્તકાશી બેઝ પર પાછા લાવી રહ્યું હતું. ખીણમાં અચાનક હવામાન ખરાબ થઈ ગયું. પાઇલટે હેલિકોપ્ટરને ખીણમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ દરમિયાન તે ક્રેશ થયું. પાઇલટ સિવાય તેમાં પાંચ મુસાફરો અને એક બાળકી સવાર હતી. NDRF, SDRF, પોલીસ દળ સહિતની તમામ બચાવ ટીમો સ્થાનિક લોકોની મદદથી શોધ અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.
ખરાબ હવામાનને કારણે હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું
ઉત્તરાખંડ ચાર ધામ તીર્થ મહાપંચાયતના મહાસચિવ ડૉ. બ્રિજેશ સતીએ જણાવ્યું છે કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરને તેના બેઝ પર ઉતરવાને બદલે અન્ય કોઈ જગ્યાએ હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું. આ કારણે, તે અકસ્માતનો ભોગ બન્યું. બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દુર્ઘટનાનું સાચું કારણ તપાસ પછી જ સામે આવી શકે.
આ પણ વાંચો: બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન કેટલું સલામત?