ભારતની જેલોમાં સૌથી વધુ કઈ જાતિના આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે?, દેશના પોલીસ સ્ટેશનોમાં કસ્ટોડિયલ ડેથમાં કઈ જાતિના લોકોના સૌથી વધુ મોત થયા છે? – આ બે સવાલોના જવાબ તમે ઈન્ટરનેટ પર સર્ચ કરશો તો દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને તેમાં છુપાયેલો ભયાનક જાતિવાદ સ્પષ્ટપણે દેખાઈ આવશે.
સાઉથના સુપર સ્ટાર સૂર્યાની સુપરહિટ ફિલ્મ ‘જય ભીમ’માં જે રીતે એક પોલીસકર્મી ગર્ભવતી દલિત મહિલાને ગેરકાયદે રીતે પોલીસ સ્ટેશને ઉપાડી જાય છે અને અત્યાચાર ગુજારે છે, તે ભારતના પોલીસ સ્ટેશનોમાં નવી વાત નથી. હજુ બે દિવસ પહેલા જ મધ્યપ્રદેશના ભીંડમાં બે દલિત પત્રકારોને પોલીસે ચા પીવાના બહાને પોલીસ સ્ટેશને બોલાવી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચંપલથી માર માર્યો હતો. આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં હવે એક વાલ્મિકી યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું હોવાના સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો: દયા અરજી અને ક્ષમાદાન : ભારતમાં અને અમેરિકામાં
ઘટના ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનની છે. અહીં બારા જિલ્લાના છીપાવડોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં હરીશ વાલ્મિકીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયું છે. પોલીસે શાંતિ ભંગ કરવાના આરોપસર તેની ધરપકડ કરી હતી. પરિવારના સભ્યોએ પોલીસ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે હરીશને કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત થઈ ગયું છે.
પોલીસનું કહેવું છે કે હરીશની અચાનક તબિયત બગડી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર કરાવીને પરત લવાયો હતો. પરંતુ ગુરુવારે સવારે ફરી તેની તબિયત બગડી હતી ત્યારે તેને ફરીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. પોલીસનો દાવો છે કે હરીશનું મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે.
પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો
હરીશ વાલ્મીકીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. પરિવારનું કહેવું છે કે પોલીસે બુધવારે સવારે ગોરધનપુરા ગામથી તેને કસ્ટડીમાં લીધો હતો અને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેને નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું. પરિવારે પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસકર્મીઓ સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ૫૦ લાખ રૂપિયાનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી છે.
ગ્રામલોકો અને ભીમ આર્મીએ વિરોધ પ્રદર્શન કર્યું
ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો, ગ્રામજનો અને ભીમ આર્મીના કાર્યકરો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. એએસપી રાજેશ ચૌધરી, ડીએસપી વિકાસ કુમાર અને એસડીએમ અભિમન્યુ સિંહ કુંતલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિવારના સભ્યો મક્કમ રહ્યા હતા.
પોલીસ સામે હત્યાનો ગુનો દાખલ કરવા માંગ
ભીમ આર્મીના કાર્યકરોએ હરીશ વાલ્મિકીના મોતની ઘટનાને કસ્ટોડિયલ ડેથ ગણાવીને મેડિકલ બોર્ડ પાસે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. તેમણે દોષિત પોલીસકર્મીઓ સામે IPCની કલમ 302 હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં પોલીસની હેરાનગતિથી કંટાળી દલિત રિક્ષાચાલકે ઝેર પીધું