Republic Day 2025: દેશભરમાં પ્રજાસત્તાક દિવસ (Republic Day 2025) ઉજવાઈ રહ્યો છે. દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ આ પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. દરેક ભારતીયો માટે ૨૬ જાન્યુઆરી ખૂબ જ ખાસ દિવસ ગણાય છે કારણ કે આ દિવસ ભારતીયોને પ્રજાસત્તાક હોવાની યાદ અપાવે છે. 26મી જાન્યુઆરીને ઇતિહાસના પાનાઓમાં ખાસ એટલા માટે માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભારતમાં લોકશાહીની સ્થાપના થઈ હતી.
દર વર્ષે ભારતમાં બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવારો ઉજવવામાં આવે છે જે સ્વતંત્રતા દિવસ (15th August) અને પ્રજાસત્તાક દિવસ (26th January) છે. આ બંને પ્રસંગે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરકાવવામાં આવે છે, પરંતુ આ બંને દિવસોમાં ધ્વજ ફરકાવવામાં થોડો તફાવત છે. ઘણીવાર લોકો આ તફાવત સમજવામાં મૂંઝવણ અનુભવતા હોય છે કે ૧૫ ઓગસ્ટે થતા ધ્વજારોહણ અને ૨૬ જાન્યુઆરીએ યોજાતા ત્રિરંગા ફરકાવવાના કાર્યક્રમમાં શું તફાવત છે? ચાલો વિગતે સમજીએ કે ધ્વજવંદન ત્રિરંગો ફરકાવવાથી કઈ રીતે અલગ છે અને સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક દિવસ પર પાળવામાં આવતા નિયમોમાં શું તફાવત છે?
આ પણ વાંચોઃ 80 વર્ષ પહેલા ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?
ત્રિરંગો ફરકાવવો એટલે શું?
૨૬ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના રોજ થતી પ્રક્રિયાને ‘ધ્વજ ફરકાવવો’ (Flag Unfurling) કહેવામાં આવે છે. આ દિવસે ધ્વજ પહેલેથી જ થાંભલા સાથે બંધાયેલો હોય છે અને રાષ્ટ્રપતિ તેને ખોલીને ફરકાવતા હોય છે. આ પ્રક્રિયા ૧૯૫૦માં ભારતના પ્રજાસત્તાક બનવાની અને બંધારણના અમલીકરણનું પ્રતીક છે. ૨૬ જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવાનું મહત્વ એ છે કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પ્રજાસત્તાક બન્યું. તો ફક્ત ધ્વજ બાંધ્યા પછી તેને ફરકાવવો એ પ્રતીક છે કે ભારત હવે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છે.
ધ્વજવંદન શું છે?
૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના દિવસે થતી પ્રક્રિયાને ‘ધ્વજવંદન’ (Flag Hoisting)કહેવામાં આવે છે. આ દિવસે ધ્વજ દંડ પર નીચે બાંધવામાં આવે છે અને પ્રધાનમંત્રી દોરડું ખેંચીને તેને ઉપર ઉઠાવે છે અને પછી તેને ફરકાવે છે. આ સમારોહ એ ઐતિહાસિક ઘટનાનું પ્રતીક છે જ્યારે ૧૯૪૭માં દેશમાંથી બ્રિટિશ શાસન દૂર થયા પછી પ્રથમ વખત ભારતીય ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ૧૫ ઓગસ્ટના રોજ ધ્વજવંદનનું ઐતિહાસિક મહત્વ એ છે કે આ દિવસે ભારત બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયું હતું. તેથી નીચેથી ઉપર સુધી ધ્વજને લઈ જઈને ફરકાવવો એ બાબતનું પ્રતીક છે કે ભારતે ગુલામીના બંધનો તોડીને સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે.
ધ્વજવંદન કોણ કરે છે અને ત્રિરંગો કોણ ફરકાવે છે?
સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશના વડા એવા પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. જ્યારે પ્રજાસત્તાક દિવસે દેશના બંધારણીય વડા રાષ્ટ્રપતિ દ્વારા કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.
પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ ત્રિરંગો કેમ ફરકાવે છે?
લોકોના મનમાં આ પ્રશ્ન પણ છે કે પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ અને સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન કેમ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે? હકીકતે તેની પાછળનું કારણ એ છે કે જ્યારે ભારત 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થયું, ત્યારે તે સમયે વડાપ્રધાન દેશના વડા હતા. આ કારણે વડા પ્રધાન જવાહર લાલ નેહરુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. એ પછી જ્યારે 26 જાન્યુઆરી 1950 ના રોજ પ્રજાસત્તાક દિવસે બંધારણ અમલમાં આવ્યું, ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ ચૂક્યા હતા. આ કારણે તેઓ દેશના બંધારણીય વડા હતા. એટલા માટે પહેલા પ્રજાસત્તાક દિવસે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલુ છે.
આ પણ વાંચોઃ દેશની પહેલી દલિત હિરોઈન PK Rosy ની કરૂણ કહાની