Kanshi ram Birthday Special: ભારતીય રાજકારણમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી અને એ બીજી વાર ક્યારે બનશે એ પ્રશ્ન ભાવિના ગર્ભમાં છે. ૧૯૮૪ માં લગભગ ૫૦ વર્ષની ઉંમરનો એક માણસ એક પાર્ટી બનાવે છે. અને જોત-જોતામાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં, જ્યાં તે વખતે લોકસભાની 85 સીટો હતી, ત્યાં આ પક્ષના મુખ્યમંત્રી શપથ લે છે. એ પક્ષ પહેલા રાષ્ટ્રીય પક્ષ બને છે અને પછી મત ટકાવારીની દ્રષ્ટિએ દેશનો ત્રીજો સૌથી મોટો પક્ષ બને છે. સૌથી મોટી વાત એ હતી કે, જે વ્યક્તિએ આ પાર્ટી બનાવી હતી તે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી અને એા સમાજમાંથી આવતી હતી જેને વાંચવા અને લખવાનો અધિકાર નહોતો અને તેને સ્પર્શ કરવાની પણ શાસ્ત્રોમાં મનાઈ હતી.
આ ચમત્કાર કેટલો મોટો છે તે સમજવા માટે, ભાજપ (જનસંઘ) અને કોંગ્રેસ જેવા અન્ય હરીફ પક્ષો પર નજર નાખો, જેમનો લાંબો વારસો છે અને તેમને સમાજના સમૃદ્ધ અને સક્ષમ લોકોનો ટેકો મળેલો છે. સરકારી કર્મચારીના પદ પરથી રાજીનામું આપનાર આ વ્યક્તિ પાસે સંસાધનોના નામે કંઈ નહોતું. ન કોઈ કોર્પોરેટ પીઠબળ, ન કોઈ બીજી તાકાત, ન કોઈ મીડિયા, ન કોઈ મજબૂત વારસો. માત્ર વિચારોની શક્તિ, સંગઠનની ક્ષમતા અને વિચારોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાની જીદના દમ પર એ વ્યક્તિએ બે દાયકાથી પણ વધુ સમય સુધી ભારતીય રાજકારણને અનેકવાર નિર્ણાયક રીતે પ્રભાવિત કર્યું. દુનિયા તેને કાંશીરામ (Kanshi ram) ના નામથી ઓળખે છે અને તેમના સમર્થકો તેમને માન્યવર(Manyavar)ના નામથી બોલાવે છે.
આ પણ વાંચોઃ જાતિવાદીઓએ દલિત વરરાજાની જાન રોકી, બસપા નેતાને વટ રાખ્યો
જ્યારે કાંશીરામે પોતાની સામાજિક-રાજકીય યાત્રા શરૂ કરી ત્યારે તેમની પાસે મૂડીના નામે માત્ર એક વિચાર હતો. આ વિચાર ભારતને એક સાચા સામાજિક લોકશાહી બનાવવાનો હતો, જેમાં બહુમતી લોકોને રાજકાજમાં મહત્તમ ભાગીદારીનું સપનું સામેલ હતું. માન્યવર કાંશીરામ (Manyavar Kanshi ram) તેમના ભાષણોમાં કહેતા હતા કે તેઓ મુખ્યત્વે બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને તેમની સાથે ક્રાંતિકારી વિચારક જ્યોતિરાવ ફૂલેના વિચારોથી પ્રભાવિત હતા. ૧૯૮૦માં લખનૌમાં એક સભામાં તેમણે કહ્યું હતું કે, “જો ફુલેનો જન્મ આ દેશમાં ન થયો હોત, તો બાબા સાહેબને પોતાનું કાર્ય શરૂ કરવામાં ઘણી મુશ્કેલી પડી હોત.” કાંશીરામે બહુજનનો વિચાર પણ ફૂલેના ‘શૂદ્રાદિ અતિશુદ્ર’ (ઓબીસી અને એસસી) ના ખ્યાલનો વિસ્તાર કરીને હાંસિલ કર્યો. કાંશીરામના બહુજનનો અર્થ દેશની તમામ વંચિત જાતિઓ અને લઘુમતીઓ છે, જેમનો દેશની વસ્તીમાં 85% હિસ્સો છે.
માન્યવર માનતા હતા કે દેશની આ વિશાળ વસ્તીએ શાસન પોતાના હાથમાં લેવું જોઈએ. તેમણે સામાજિક લોકશાહીની સ્થાપના અને દેશના વિકાસ માટે આને આવશ્યક માન્યું. આ માટે, તેઓ સામાજિક રીતે વંચિતોના આર્થિક સશક્તિકરણના પણ પ્રબળ હિમાયતી હતા. આ વિચારને નક્કર સ્વરૂપ આપવા માટે તેમણે સૌપ્રથમ આ જાતિઓના સરકારી કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ માનતા હતા કે, આ લોકો ભલે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતા નહોતા, પરંતુ બૌદ્ધિક હોવાને કારણે આ વર્ગ સમાજને બૌદ્ધિક નેતૃત્વ અને આર્થિક સહાય પૂરી પાડવા સક્ષમ છે. સ્વતંત્રતા પછી અનામતના અમલને કારણે એક અંદાજ મુજબ તે સમય સુધી આ જાતિઓના 20 લાખથી વધુ સરકારી કર્મચારીઓ હતા.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં BSP એ નવી આશા જન્માવી
માન્યવરે ૧૯૭૮માં સરકારી કર્મચારીઓના સંગઠન BAMCEF એટલે કે પછાત (SC/ST/OBC) અને લઘુમતી સમાજના કર્મચારીઓના ફેડરેશનની રચના કરી અને થોડા જ સમયમાં લાખો લોકો તેમાં જોડાયા. કાંશીરામે કર્મચારીઓને ‘પે બેક ટુ સોસાયટી’ ની વિભાવનાથી વાકેફ કર્યા. આ કારણે તેમને સંગઠન ચલાવવા માટે હજારો સમર્પિત કાર્યકરો અને પૈસા મળ્યા. 1980 માં, BAMCEF એ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ તરીકે 9 રાજ્યોમાં 34 સ્થળોએ હરતા-ફરતા આંબેડકર મેળાનું સફળતાપૂર્વક આયોજન કર્યું અને સ્થાપિત કર્યું કે કાંશીરામના સ્વપ્નને આગળ ધપાવવાનો માર્ગ ખુલી ગયો છે. એ પછી પ્રથમ રાજકીય સંગઠન તરીકે માન્યવર કાંશીરામે 1981 માં DS-4 એટલે કે દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિની રચના કરી અને 1984 માં BSP એટલે કે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના થઈ.
કાંશીરામના સૌથી મહત્વપૂર્ણ રાજકીય અભિયાનોમાંની એક તેમની 3000 કિલોમીટરની સાયકલ યાત્રા હતી, જે દરમિયાન તેઓ હજારો લોકોને સીધા મળ્યા અને લાખો લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડ્યો. એ પછી 2004માં કાંશીરામના ખરાબ સ્વાસ્થ્ય સુધીની બસપાની રાજકીય સફર સમકાલીન ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. બાબાસાહેબની જેમ કાંશીરામ પણ બૌદ્ધ ધર્મ સ્વીકારવા માંગતા હતા. આ માટે તેમણે 2006 માં ઓક્ટોબર મહિનાની તારીખ પણ નક્કી કરી હતી. પરંતુ એ પહેલા તેમની તબિયત સતત બગડતી રહી અને 9 ઓક્ટોબર 2006 ના રોજ તેમનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં બૌદ્ધ વિધિઓ અનુસાર કરવામાં આવ્યા હતા.
बहुजन समाज को उसका सामाजिक और राजनीतिक अधिकार दिलाने वाले महानायक, बीएसपी, बामसेफ़ और DS4 के संस्थापक मान्यवर साहब श्री कांशीराम जी की जयंती पर कोटि-कोटि नमन।
उन्होंने सामाजिक परिवर्तन और राजनीतिक सशक्तिकरण का जो मूवमेंट शुरू किया, वह आज भी करोड़ों शोषित-वंचित लोगों के संघर्ष… pic.twitter.com/0b6LYomR20
— BSP (@Bsp4u) March 15, 2025
કાંશીરામના રાજકીય વારસાને ધ્યાનમાં લેતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ ભારતીય રાજકારણમાં પ્રથમ એવી વ્યક્તિ છે જેમણે દલિતોને શાસક બનવાનું માત્ર સપનું જ નહોતું બતાવ્યું પરંતુ તેને વાસ્તવિકતામાં ફેરવવાનો માર્ગ પણ બતાવ્યો હતો. રાજકીય ઉદ્દેશ્યો માટે સાધનની પવિત્રતાના હિમાયતી તેઓ ક્યારેય નહોતા રહ્યા. રાજકીય સમજૂતીઓની સવારીઓ કરીને તેમણે પોતાની વિચારધારાના રાજકારણને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું ચાલુ રાખ્યું. તેમણે પવિત્રતાની જગ્યાએ તકને સિદ્ધાંતમાં પરિવર્તિત કરી.
માન્યવર સ્થાપિત બસપા(BSP)ની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક સમયે દેશનો દરેક સોળમો મતદાતા આ પાર્ટીના હાથીના ચિહ્ન પરનું બટન દબાવતો હતો. પોતાની રાજનીતિને સફળતા સુધી પહોંચાડવાની દિશામાં માન્યવર કાંશીરામને મળેલી સફળતાઓએ તેમના વ્યક્તિત્વને એ ચમક પ્રદાન કરી, જેની કોઈપણ રાજનેતા માત્ર મહેચ્છા જ રાખી શકે છે.
આ પણ વાંચોઃ Kanshi Ram : દલિત શક્તિનું રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા