એક બાજુ દેશભરના દલિતોમાં ધીમી પણ મક્કમ ગતિએ શિક્ષણ તરફની જાગૃતિ વધતી જઈ રહી છે. બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે, જેમને મહાનાયક ડો.આંબેડકરે આપેલા હક અધિકારોની જરાય પરવા નથી. તેઓ આજે પણ મનુવાદી વિચારસરણીને એવા તો વળગી રહ્યાં છે કે, તેમને હજુ પણ તેમનું હિત શેમાં જળવાયેલું છે તેનો ખ્યાલ આવતો નથી. આ ઘટના તેનો પુરાવો છે.
કોલકાતાથી લગભગ 150 કિલોમીટર દૂર પૂર્વ વર્ધમાન જિલ્લામાં ગિધાગ્રામ નામનું ગામ છે. આ ગામના ૧૩૦ થી વધુ દલિત પરિવારો સ્થાનિક શિવ મંદિરમાં પૂજા કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે મંદિર સમિતિના લોકો તેમને મંદિરમાં પ્રવેશવા દેતા નથી. 28 ફેબ્રુઆરીએ આ મુદ્દા પર એક બેઠક યોજાઈ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દરેકને પૂજા કરવાનો અધિકાર છે. તેથી દલિત પરિવારોને પણ આ મંદિરમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ તેમ છતાં તેમને પૂજા કરવાનો અધિકાર મળ્યો નહોતો.
મામલો શું છે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ગિધાગ્રામના દાસપારા વિસ્તારમાં સ્થિત એક શિવ મંદિર છે, જે અંદાજે 200 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. મંદિરની તકતી પર લખેલું છે કે તેનો જીર્ણોદ્ધાર વર્ષ ૧૯૯૭માં કરવામાં આવ્યો હતો. ગીધાગ્રામ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પુલક ચંદ્ર કોનારાએ જણાવ્યું હતું કે, સ્થાનિક જમીનદારોએ લગભગ 200 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરી હતી. બાદમાં તેને ચલાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. દાસપરાના લોકો અનુસૂચિત જાતિના છે. તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી. તેઓ પૂજા કરવા માંગે છે પણ અન્ય લોકો તેમને મંજૂરી આપતા નથી.
મીડિયા રિપોર્ટ મુજબ, 24 ફેબ્રુઆરીએ શિવરાત્રી પહેલા દાસપરાના રહેવાસીઓએ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO), સબ-ડિવિઝનલ ઓફિસર (SDO) અને પોલીસને પત્ર લખ્યો હતો. જેથી તેમને મંદિરમાં પૂજા કરવાની પરવાનગી મળે. પરંતુ તેમ છતાં શિવરાત્રીના દિવસે તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નહોતી મળી. એ પછી 28 ફેબ્રુઆરીએ SDO એ ગામના રહેવાસીઓ, મંદિર સમિતિના સભ્યો, MLA, BDO અને પોલીસ સાથે એક બેઠક બોલાવી હતી. જેમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, “આપણા બંધારણ દ્વારા જાતિ ભેદભાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક વ્યક્તિને પૂજા કરવાનો અધિકાર છે. તેથી દાસ પરિવારોને ગિદ્ધગ્રામના ગિધવાર શિવ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.”
Denied entry to Bengal village temple, 130 dalit families battle for rights | Indian Express 08/03/2025 #WestBengal @BengalNewzLife #gidhagram #purbabardhaman @ttindia #Dalit @DalitDastak @INCSCDept @DalitTime @TheShudra @ambedkariteIND @DalitOnLine @DalitRights @DalitNews @ndtv pic.twitter.com/D4umivVnSP
— Indian Advocate (@AdvocateIndian) March 8, 2025
દલિત પરિવારોએ જણાવ્યું કે તેઓ દર વર્ષે મંદિરમાં થતી પૂજા માટે પૈસા દાન કરે છે. પરંતુ તેમ છતાં તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી. દાસપરાના રહેવાસી અને દલિત સમાજમાંથી આવતા લક્કી દાસે કહ્યું કે, અમને કહેવામાં આવ્યું હતું કે ૧ માર્ચથી અમારા સમાજના બે સભ્યોને પોલીસ સુરક્ષા સાથે મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ 28 ફેબ્રુઆરીની રાત્રે પોલીસે અમને કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી જશે તેથી અમે મંદિરમાં જઈ શકતા નથી.
ગામના અન્ય રહેવાસી સુકાંત દાસે કહ્યું, અમે તેમની સામે લડી શકતા નથી. ગામમાં ૧,૮૦૦ થી વધુ પરિવારો છે અને અમે ફક્ત ૧૩૦ છીએ. અમે રાહ જોઈ રહ્યા છીએ કે વહીવટતંત્ર કંઈક કરે અને આ ભેદભાવનો અંત લાવે. જો એમ નહીં થાય તો અમે કોર્ટમાં જઈશું. સમય બદલાઈ ગયો છે. અમે અમારા હકો માટે લડીશું.
શિવ મંદિર સમિતિના સભ્ય રામ પ્રસાદ ચક્રવર્તી કહે છે કે ગામના બહુમતી લોકો નથી ઈચ્છતા કે દલિતો મંદિરમાં પ્રવેશે, તેમની લાગણીઓને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં. મંદિર સમિતિનું કહેવું છે કે સદીઓ જૂની પરંપરાઓને એક ક્ષણમાં તોડી શકાતી નથી.
આ આખી ઘટના પર પ્રબુદ્ધ દલિત સમાજ ચોક્કસ ફિટકાર વરસાવશે. પણ તેમણે સમજવું પડશે કે મનુવાદી પરંપરાના મૂળ એટલા ઉંડા ઉતરી ગયા છે કે, ગ્રામીણ ભારતના દલિતોમાંથી તે એટલી આસાનાથી તૂટી શકે તેમ નથી. તેના માટે જરૂરી છે કે, વધુ તીવ્રતાથી મહાનાયક ડો.આંબેડકરના વિચારોનો પ્રચારપ્રસાર થાય. બહુજન મહાનાયકોના વિચારો છેવાડાના દલિત સુધી પહોંચે.
આ પણ વાંચો: ઘરમાં ઘૂસી એક દલિત દીકરીને ઉપાડી ગયા, બીજીની હત્યા કરી?