સ્ટોરીનું ટાઈટલ વાંચીને તમને પહેલી નજરે આ કોઈ કાલ્પનિક વાર્તા હોય તેવું લાગી શકે છે. પરંતુ તેવું છે નહીં. આ સંપૂર્ણપણે વાસ્તવિક ઘટના છે. મામલો ખાપ પંચાયતો અને જાટ સમાજની દાદાગીરી માટે કુખ્યાત હરિયાણાનો છે. અહીંના હિસાર જિલ્લાના હાંસી તાલુકાના મદનહેડી ગામમાં 70 જેટલા દલિત વાલ્મિકી પરિવારોનો છેલ્લાં 4 મહિનાથી ગામના જાટો દ્વારા સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. અહીં વાળંદ આ દલિત પરિવારોના વાળ કાપતો નથી, દૂધવાળો દૂધ આપતો નથી, પાણીવાળો પાણી આપતો નથી, કરિયાણાની દુકાનવાળો વસ્તુ આપતો નથી, ઘંટીવાળો લોટ દળી આપતો નથી. વાલ્મિકી સમાજના 70 પરિવારો છેલ્લાં ચાર મહિનાથી આ ક્રૂર સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા છે.
જાટોને ગમતા ઉમેદવારને મત ન આપ્યો તેનું પરિણામ
આ વાલ્મિકી પરિવારનો ‘વાંક’ માત્ર એટલો જ હતો કે, તેમણે સપ્ટેમ્બર 2024 ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જાટ સમાજની પસંદગીના ઉમેદવારને બદલે પોતાની મરજીથી મતદાન કર્યું હતું. આ ગામમાં જાટ સમાજના લગભગ ૧૫૦૦ ઘરો છે, જ્યારે વાલ્મીકિ સમાજના ૭૦-૮૦ ઘરો છે. જાટોએ કરેલા વાલ્મિકી સમાજના સામાજિક બહિષ્કારને કારણે તેમનું જીવન દુષ્કર બની ગયું છે. દૂધ, પાણી, કરિયાણું સહિતની જીવનજરૂરિયાતની સામાન્ય વસ્તુ માટે પણ વાલ્મિકી લોકોએ ગામથી 6-7 કિલોમીટર દૂર હાંસી, મેહમ અથવા સામન જેવા શહેરો અને ગામો સુધી લાંબુ થવું પડે છે.
સ્થાનિક સામાજિક કાર્યકરોના જણાવ્યા પ્રમાણે આ વિવાદ સપ્ટેમ્બર 2024માં યોજાયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણીથી શરૂ થયો હતો. મદનહેડી ગામ નારનૌંદ વિધાનસભા મતવિસ્તારમાં આવે છે, જ્યાંથી જસવિંદર ઉર્ફે જસ્સી પેઠવાલ ચૂંટણી લડી રહ્યા હતા. જસ્સીએ આ ગામની એક જાટ છોકરી સાથે લગ્ન કર્યા હતા, જેના કારણે જાટ સમાજ તેને ગામનો “જમાઈ” માનતો હતો અને બધાને તેના પક્ષમાં મતદાન કરવા દબાણ કરતો હતો. પરંતુ વાલ્મિકી સમાજના યુવક રવિન્દ્રએ જાટોની આ દાદાગીરીનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે તે તેની પસંદગીના ઉમેદવારને મત આપશે.
આ પણ વાંચો: વી.એસ. હોસ્પિટલમાં MBBS ભણતી આદિવાસી દીકરીએ ગળેફાંસો ખાધો
આનાથી ગુસ્સે ભરાયેલા મોહન, અજીત ઉર્ફે અજય, સજ્જન, રામભગત ઉર્ફે કુકુ અને અજમેરની પત્ની સંતોષે રવિન્દ્ર પર લાકડીઓ, સળિયા અને કુહાડીઓ વડે હુમલો કર્યો હતો. રવિન્દ્રએ બાસ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 115(2), 238(C), 3(5) અને અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3 હેઠળ એફઆઈઆર નોંધાવી હતી. આ મામલો હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાતા જાટ સમાજ ગુસ્સે ભરાયો હતો અને વાલ્મિકી પરિવારો પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેમણે કેસ પાછો ખેંચવાનો ઈનકાર કરી દીધો ત્યારે આરોપીઓએ ખાપ પંચાયત દ્વારા આ તમામ 70 દલિત પરિવારોનો બહિષ્કાર કરી દીધો, જે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહ્યો છે.
બહિષ્કારની દલિતોની રોજગારી પર અસર પડી
આ બહિષ્કારની દલિત સમાજના લોકોની રોજગાર પર પણ અસર પડી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓની હાલત કફોડી બની છે. જાટોએ વાલ્મિકી સમાજના લોકોને વધુને વધુ ભીંસમાં લેવા માટે તમામ પ્રકારના ધંધા રોજગાર પર બ્રેક લગાવવા પ્રયત્નો કર્યા છે. કેટલાક માથાભારે જાટ યુવકોએ દબાણ વધારવા માટે, વાલ્મિકી સમાજના કેટલાક લોકોને ડરાવીને કોરા કાગળો પર તેમના અંગૂઠાના નિશાન અને સહીઓ કરાવી હતી. નરેન્દ્ર ઉર્ફે બુલી નામના શખ્સે આ કાગળોનો ઉપયોગ નકલી સમાધાન તૈયાર કરવા માટે કર્યો હતો જેથી કેસ પાછો ખેંચવા માટે દબાણ બનાવી શકાય. પરંતુ દલિત પરિવારો આ દાદાગીરીને તાબે થયા નહોતા, જેના કારણે બહિષ્કાર વધુ તીવ્ર બન્યો હતો.
હરિયાણાના હિસાર જિલ્લાના મદનહેડી ગામમાં માથાભારે જાટો દ્વારા છેલ્લાં 4 મહિનાથી દલિત વાલ્મિકી સમાજના 70 જેટલા પરિવારોનો સામાજિક બહિષ્કાર કરાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય @Jassipetwar_inc નું આ સાસરિયું છે. કોંગ્રેસ ક્યા મોંઢે દલિતોના હિતની વાત કરતી હશે? #Hariyana #DalitLivesMatter pic.twitter.com/QPek8lrPrE
— khabar Antar (@Khabarantar01) April 25, 2025
દલિત પરિવારોએ આખરે અવાજ ઉઠાવ્યો અને FIR દાખલ કરી
ચાર મહિના સુધી ડર અને દબાણમાં જીવ્યા પછી વાલ્મીકિ સમાજે આખરે એક થઈને હાંસીના પોલીસ અધિક્ષકને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સરપંચ સહિત 6 લોકો સામે નામજોગ જ્યારે અન્ય અજાણ્યા લોકો સામે સામાજિક બહિષ્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૨૩ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ બાસ પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST Act) ની કલમ ૩(૧)(zc) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે બાસ પોલીસ તેની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ‘સિંહ કૂતરાનો શિકાર નથી કરતા…’ પૂર્વ CMએ દલિત IAS વિશે આવું કહ્યું
હિન્દુસ્તાન છે! ભારત છે! કે ઈન્ડિયા છે! જ્યાં જોવો તો ત્યાં જંગલ રાજ! હજુ પણ અંગ્રેજોની ગુલામીનું
DNA જ્યાં ને ત્યાં જાતિવાદના નશામાં પરેશાન કરે છે, *સભ્યતા સંસ્કૃતિ ખતમ થઈ ગઈ છે!