ગુજરાત(Gujarat)માં રાજ્ય સરકાર આદિવાસી સાથે અન્યાય કરતી હોવાની વાતો વર્ષોથી થતી આવી છે. પાકા રસ્તાના અભાવે આજે પણ દક્ષિણ ગુજરાતના પટ્ટામાં બીમાર લોકો અને પ્રસુતાઓને ઝોળીમાં નાખીને દવાખાને લઈ જવાતી હોવાના દ્રશ્યો આપણે જોયા છે. આવી જ ખરાબ સ્થિતિ આદિવાસી વિસ્તારની આંગણવાડીઓ(Anganwadis)માં પ્રવર્તે છે અને તેનો પુરાવો ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં પુરો પાડ્યો છે.
મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા(MLA Chaitar vasava)એ રાજ્ય સરકારના મહિલા અને બાળક વિકાસના મંત્રીને તારાંકિત પ્રશ્નોતરીમાં પ્રશ્ન પૂછયો હતો કે તારીખ 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ નર્મદા (Narmada) અને છોટા ઉદેપુર (Chhota udaipur) જિલ્લામાં તાલુકાવાર કેટલા ગામોમાં આંગણવાડી કેન્દ્રો (Anganwadi Centers)ને પોતાના મકાન (buildings) નથી.
નર્મદા જિલ્લામાં 261 ગામોમાં 334 આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાનો નથી,છોટાઉદેપુરના 339 ગામોમાં 379 આંગણવાડીમાં મકાન નથી.દર વર્ષે કરોડોનું બજેટ હોવા છતાં અને ભાજપ 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે તેમ છતાં ગુજરાતમાં આદિવાસી સમાજના બાળકો ને આંગણવાડીમાં બેસવા માટે જગ્યા પણ નથી.
1/2 pic.twitter.com/Rq3BSuoB4K— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) March 6, 2025
જેના જવાબમાં રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયા(Praful Panseria)એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના તાલુકાઓમાં પોતાના મકાન ન હોય તેવા કેન્દ્રોની સંખ્યા ડેડીયાપાડામાં 71, ગરુડેશ્વરમાં 55, નાંદોદમાં 74, સગબારામાં 83, તિલકવાડામાં 51 જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 62, છોટા ઉદેપુરમાં 67, કવાંટમાં 73, નસવાડીમાં 75, પાવી જેતપુરમાં 68 અને સંખેડામાં 34 આંગણવાડીઓના મકાન નથી.
આ પણ વાંચોઃ શાળામાં દલિત વિદ્યાર્થિનીઓ પાસે ટોઈલેટ સાફ કરાવ્યું, આચાર્ય સસ્પેન્ડ
આ ઉપરાંત, ઉક્ત સ્થિતિએ વૈકલ્પિક વ્યવસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોના મકાન ન બનવાનાં કારણોમાં મંત્રીએ જવાબ આપ્યો કે હાલની સ્થિતિએ નર્મદામાં 182 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં અને 152 આંગણવાડી કેન્દ્રો અન્ય મકાનમાં બેસે છે, અને છોટાઉદેપુર જિલ્લામાં 68 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં અને 311 મકાન દાતા અને અન્ય સરકારી મકાનમાં કાર્યરત છે.
નર્મદા જિલ્લામાં હાલ 334 આંગણવાડી કેન્દ્રો પૈકી 197 આંગણવાડી કેન્દ્રોના નવા બાંધકામ હાલમાં પ્રગતિ હેઠળ છે, 37 આંગણવાડી કેન્દ્રોના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, અને 90 આંગણવાડી કેન્દ્રોના કામો ગ્રામ પંચાયત કક્ષાએ હોય ટુંક સમયમાં શરૂ થનાર છે, જ્યારે 10 આંગણવાડી કેન્દ્રો માટે નિયત ધારા ધોરણો મુજબની જગ્યા મેળવવાની કાર્યવાહી ચાલુ છે તેમજ હાલમાં પ્રગતિ હેઠળના કામો પૂર્ણ થયેથી મકાન પોતાના બનશે.
જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રોનું હાલમાં આયોજન પૂર્ણ કરવામાં આવેલા છે, હાલ 98 કેન્દ્રો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, 100 આંગણવાડી કેન્દ્રોના કામ પ્રગતિ હેઠળમાં છે, 34 આંગણવાડી કેન્દ્રો તાંત્રિક મંજૂરી હેઠળ છે અને 147 કેન્દ્રોની પ્રાથમિક મંજૂરી મળેલી છે.
આ પણ વાંચોઃ હિન્દીએ અવધી, બુંદેલી સહિત 25 ભાષાઓનો નાશ કર્યો: MK Stalin