ગરીબી અને ભૂખમરાથી ત્રસ્ત ઓડિશામાં દલિત-આદિવાસી અત્યાચારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ગઈકાલે આદિવાસી સમાજના 40 જેટલા લોકોને સમાજના પંચે માથું મુંડવાની સજા કરી હતી. હવે બે દલિત યુવકોને પશુઓની ચોરીની આશંકામાં માથું મુંડી, ઘૂંટણિયે ચાલીને ઘાસ ખાવા મજબૂર કરવામાં આવ્યા છે. જાણીને પણ કંપારી છુટી જાય તેવી આ ઘટનામાં આરોપીઓએ બંને દલિત યુવકોને બે કિલોમીટર સુધી ઘૂંટણિયે ચાલવા મજબૂર કર્યા, ઘાસ ખવડાવ્યું અને ગટરનું ગંદુ પાણી પીવા મજબૂર કર્યા હતા. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મળતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
ઓડિશાના ધરાકોટ તાલુકાના ખારીગુમ્મા ગામની ઘટના
ઘટના ઓડિશાના ગંજામ જિલ્લાની છે. અહીં પશુ તસ્કરીની આશંકામાં બે દલિત યુવાનોને નિર્દયતાથી માર મારવામાં આવ્યો, તેમનું માથું અડધું મૂંડી નાખવામાં આવ્યું અને તેમને બે કિલોમીટર સુધી ઘૂંટણિયે ચાલવા માટે મજબૂર કરવામાં આવ્યા. આરોપીઓ આટલેથી અટક્યા નહોતા, તેમણે બંને યુવકોને ઘાસ ખાવા અને ગટરનું પાણી પીવા માટે મજબૂર કર્યા.
આ પણ વાંચો: વસ્તી ગણતરી પછી પણ દેશમાં OBC કેટલા તે ખબર નહીં પડે
આ ઘટના રવિવારે ગંજામ જિલ્લાના ધરાકોટ પોલીસ સ્ટેશન હેઠળના ખારીગુમ્મા ગામમાં બની હતી. ગામના જાતિવાદી તત્વોના ગુસ્સાનો ભોગ બનેલા બંને દલિત યુવકો ધરાકોટ તાલુકાના સિંગીપુર ગામના છે અને તેમનું નામ બુલુ નાયક અને બાબુલા નાયક છે.
ગૌતસ્કર માની રસ્તો રોકી પૈસા માંગ્યા
મળતી માહિતી મુજબ, બાબુલા તેના પિતરાઈ ભાઈ બુલુ સાથે તેની પુત્રીના દહેજ માટે ગાય ખરીદવા માટે હરિપુર ગામ ગયો હતો. ત્યાંથી ત્રણ ગાયો ખરીદીને તેઓ સિંગીપુર ગામ પરત જઈ રહ્યા હતા. ત્યારે ખારીગુમ્મા ગામે જતા રસ્તામાં કેટલાક લોકોએ તેમને રોક્યા હતા અને તેમને પશુ તસ્કરો હોવાની માની તેમની પાસે પૈસાની માંગણી કરી હતી.
બંને દલિત યુવકોને ઘાસ ખાવા મજબૂર કર્યા
જ્યારે બંને યુવકોએ પૈસા ચૂકવવાની ના પાડી, ત્યારે કેટલાક યુવાનોએ તેમને નિર્દયતાથી માર માર્યો અને એક વાળંદની દુકાને લઈ ગયા, જ્યાં તેમના માથાં અડધા મુંડાવી નાખ્યા. એ પછી, તેમને બંનેને ઘૂંટણિયે બેસાડીને ખારીગુમ્માથી જહરા ગામ સુધી બે કિલોમીટર સુધી ચાલવા મજબૂર કર્યા. આરોપીઓ આટલેથી પણ ન અટક્યા, તેમણે બંને દલિત યુવકોને ઘાસ ખવડાવ્યું અને સાથે ગટરનું પાણી પીવાની ફરજ પાડી.
બંને યુવકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
બંને દલિત યુવાનોએ આ અંગે ધરાકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના માથા અને પીઠ પર ઈજાઓ થઈ હોવાથી ધરાકોટ પોલીસે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીએ શું કહ્યું?
ધરાકોટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ચંદ્રિકા સ્વાંઈને જણાવ્યું હતું કે આ મામલામાં સાત-આઠ લોકો સંડોવાયેલા છે. આવી શરમજનક ઘટનાઓ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. માહિતી મળતાની સાથે જ પોલીસે આરોપીઓને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. હાલમાં, એક વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ‘આને પૈસાનો બહુ પાવર છે?’ કહી દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો
*શું ગૌતસ્કરો અને દલિતો નવરાધૂપ જેવા છે?
ખાડે ગયેલા લોકતંત્રને હવે ભક્ષકો પાસેથી છોડાવો એ જ પ્રાર્થના! જયભીમ નમો બુદ્ધાય ધન્યવાદ સાધુવાદ!