કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંગ્રેજી ભાષાને લઈને હાલમાં નિવેદન આપ્યું હતું કે, “मेरी बात ध्यान से सुनना, इस देश में अंग्रेज़ी बोलने वालों को शर्म आएगी. ऐसे समाज का निर्माण अब दूर नहीं है. मैं मानता हूं कि हमारे देश की भाषाएं हमारी संस्कृति का गहना हैं. हमारे देश की भाषाओं के बगैर हम भारतीय ही नहीं रहेंगे.”
અમિત શાહ, નરેન્દ્ર મોદી, નીતિન પટેલ સહિત ભાજપના અનેક મોટા નેતાઓને અંગ્રેજી બોલતા આવડતું નથી. પીએમ મોદી વિદેશમાં જઈને અંગ્રેજી બોલવામાં અને સમજવામાં જે ફાંફાં મારે છે તે સર્વવિદિત છે.
પરંતુ જૂની ભાજપના નેતાઓ આવા નહોતા. તેમને સરસ અંગ્રેજી બોલતા આવડતું હતું. નવી હિન્દુત્વની વિચારધારાવાળાઓને અંગ્રેજી બોલવામાં ફાંફાં પડે છે. જાણે વીણી વીણીને અશિક્ષિત અને અર્ધશિક્ષિત લોકો ભેગા કર્યા હોય તેવો માહોલ છે. તો આજના સમયે બહુજન સમાજના મહામાનવો અંગ્રેજી ભાષા બાબતે શું માનતા હતા તે જાણવું જરૂરી બની જાય છે.
ડૉ.આંબેડકરે અંગ્રેજીને સિંહણનું દૂધ કહ્યું હતું
ડૉ.આંબેડકરનું એક ખૂબ જ જાણીતું વાક્ય છે, “શિક્ષા શેરની કા દૂધ હૈ, જો પિયેગા વો દહાડેગા.” હકીકતે આ વાક્ય અધૂરું છે. આ વાક્યમાં ફકત શિક્ષા નથી પણ “અંગ્રેજી શિક્ષા” છે. સાચું વાક્ય છે, “અંગ્રેજી શિક્ષા વો બાઘીન (મરાઠીમાં વાઘણ લખ્યું છે) કા દૂધ હૈ, જો પીયેગા વો ગુર્રાયેગા.” ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગ્રેજી ભાષા અને અંગ્રેજી શિક્ષણને આટલું મહત્વ આપતા કે તેઓ અંગ્રેજી ભાષાને વાઘણના દૂધ સાથે સરખાવતાં હતા.
વળી, ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાનું સાહિત્ય અંગ્રેજીમાં લખ્યું છે અને પોતાના વર્તમાન પત્રોમાં મરાઠીમાં લખ્યું છે. આપણે હિંદી, ગુજરાતી, મરાઠી પુસ્તકો વાંચીએ છીએ તે ડૉ. બાબાસાહેબ આંબેડકરે અંગ્રેજીમાં લખેલા પુસ્તકોના અનુવાદ છે. ઓરિજિનલ પુસ્તકો અંગ્રેજી ભાષા છે. એટલે જો તમારે ડૉ.બાબાસાહેબ આંબેડકરના અસલી લખાણો વાંચવા હોય તો તમારે અંગ્રેજી શીખ્યા વગર છૂટકો જ નથી.
આ પણ વાંચો: ઝારખંડમાં ટોળાંએ મુસ્લિમ યુવકની માર મારીને હત્યા કરી
ડૉ.આંબેડકર વિદેશ ભણવા ગયા હતા તે આપણે સૌ જાણીએ છીએ. તેઓ વિદેશ જઈને ભણી શક્યા તે પણ અંગ્રેજી ભાષાના કારણે. અને વિદેશમાં ભણતા ભણતા તેમણે કોલેજ-યુનિવર્સિટીની લાઇબ્રેરી ફેંદી અસંખ્ય પુસ્તકો વાંચ્યા અને તેથી તેમની બૌદ્ધિક ક્ષમતા ઓર તેજ થઈ ગઈ, તે પણ અંગ્રેજી ભાષાના લીધે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે ઘણા પુસ્તકો લખ્યાં છે. તે પુસ્તકો લખવા તેમણે દુનિયાભરના પુસ્તકો વાંચ્યા અને તેમાંથી રેફરન્સ ટાંક્યા. આ રેફરન્સ પુસ્તકો પણ અંગ્રેજી ભાષામાં હતા. ટૂંકમાં, ફકત અંગ્રેજી ભાષા શીખવાથી ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહામાનવ આપણને મળ્યા.
અહીં નોંધવા જેવી બાબત તે છે કે ડૉ.આંબેડકર જ્યારે સંસ્કૃત ભાષા શીખવા માંગતા હતા ત્યારે તેમને સંસ્કૃત લેવા દીધું નહોતું. અંગ્રેજો, મુઘલો અને તે પહેલાના સમયમાં પણ સંસ્કૃત ભાષા ફકત બ્રાહ્મણોને ભણાવાતી હતી, અન્ય કોઈને સંસ્કૃત ભણવામાં દેવામાં આવતી નહોતી. એટલે સંસ્કૃત ભાષા બ્રાહ્મણોની ભાષા છે તેમ માનવું અને અંગ્રેજી આખા વિશ્વની.
મહાત્મા જોતિરાવ ફુલે પણ અંગ્રેજી ભણેલા હતા
ડો.આંબેડકરે જેમને પોતાના ગુરૂ ગણાવ્યા છે તે, મહાત્મા જોતિરાવ ફુલે પણ અંગ્રેજી ભણેલા હતા. તેઓ મિશનરી શાળામાં ભણેલા અને અંગ્રેજી લખતા તેમજ બોલતા બંને તેમને આવડતું. જોતિરાવ ફુલેએ તમામ સાહિત્ય મરાઠીમાં લખ્યું છે પણ તે પુસ્તકોમાં જે રેફરન્સ પુસ્તકો લખ્યાં છે તેમાંના કેટલાક અંગ્રેજી ભાષાના છે. ફુલેનો “માનવતાવાદી” દૃષ્ટિકોણ આ જ પુસ્તકોને આભારી છે. ફુલે તેમની શાળાઓમાં અંગ્રેજી ભાષા પણ ભણાવતા હતા.
માતા સાવિત્રીબાઈ ફુલે પણ અંગ્રેજીના જાણકાર હતા
સાવિત્રીબાઈ ફુલે પણ અંગ્રેજી ભાષાના જાણકાર હતા. તેઓ શિક્ષિકા બનવા જ્યાં દાખલ થયા ત્યાં અંગ્રેજી બોલનાર શિક્ષકો ભણાવતા હતા. જો સાવિત્રીબાઈ ફૂલેને અંગ્રેજી ન આવડતું હોત તો તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા ના બની શક્યા હોત, અને ભારતમાં મહિલાઓ માટે શિક્ષણના દ્વાર ન ખોલી શક્યા હોત.
આ જ બાબત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખને લાગુ પડે છે. તેઓને પણ તેમના ભાઈ દ્વારા અંગ્રેજી ભણાવવામાં આવ્યા હતા. જેથી તેઓ પણ શિક્ષિકા તરીકેની ટ્રેનિંગ લઈ શક્યા અને ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા બન્યા. આ રીતે, ભારતની તમામ મહિલાઓના શિક્ષણ માટે ક્રાંતિ કરવામાં અંગ્રેજી ભાષાનો ફાળો મોટો છે.
સાવિત્રીબાઈ ફુલેએ તો અંગ્રેજી ભાષાનો આભાર માનતા એક કવિતા પણ લખી હતી. આ કવિતા તમે સાંભળશો તો તમને ખબર પડશે કે અંગ્રેજી ભાષા ભારતના લોકોની શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક ગુલામીમાંથી મુક્ત કરવા માટે કેટલી મહત્વની છે. આ આર્ટિકલના અંતમાં તે કવિતા અંગ્રેજી અને ગુજરાતી અનુવાદ સાથે આપેલી છે.
પેરિયારે અંગ્રેજીને એકીકૃત અને આધુનિક ભાષા ગણાવી હતી
ઇ. વી. રામાસામી, જેમને આપણે પેરિયાર તરીકે ઓળખીએ છીએ, તેઓ એક પ્રખ્યાત દ્રવિડ ચળવળના નેતા હતા અને તર્કવાદી હતા, જેમણે અંગ્રેજી ભાષા વિશે મજબૂત મંતવ્યો વ્યક્ત કર્યા હતા, ખાસ કરીને હિન્દીના લાદવા સામે વિરોધ અને દક્ષિણ ભારતમાં સામાજિક સુધારણાને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં. અંગ્રેજી પ્રત્યેના તેમના વિચારો તેમના વિશાળ લક્ષ્યો દ્વારા ઘડાયા હતા, જેમાં તર્કવાદ, સામાજિક સમાનતા અને બ્રાહ્મણવાદી તેમજ ઉત્તર ભારતીય વર્ચસ્વની તેમની દૃષ્ટિએ વિરોધનો સમાવેશ થતો હતો. પેરિયારે અંગ્રેજીને એકીકૃત અને આધુનિક ભાષા તરીકે પ્રોત્સાહન આપ્યું, તેને વૈજ્ઞાનિક પ્રગતિ, તર્કસંગત વિચાર અને વૈશ્વિક જ્ઞાનની પહોંચ માટેનું સાધન માન્યું. તેમનું માનવું હતું કે અંગ્રેજી ભારતમાં એક તટસ્થ સામાન્ય ભાષા તરીકે કામ કરી શકે, જે હિન્દી સાથે સંકળાયેલ સાંસ્કૃતિક અને રાજકીય વર્ચસ્વને ટાળી શકે.
આ પણ વાંચો: દાહોદમાં મતદાર યાદીમાં દલિતો માટે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરાયો
1958માં બેંગ્લોરમાં યોજાયેલા ઓલ ઇન્ડિયા ઓફિશિયલ લેંગ્વેજ કોન્ફરન્સમાં, તેમણે હિન્દીને બદલે અંગ્રેજીને સંઘની સત્તાવાર ભાષા તરીકે જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એી દલીલ કરી હતી કે તે વિવિધ રાષ્ટ્રમાં શાસન અને શિક્ષણ માટે વધુ યોગ્ય છે. તેઓ દ્રવિડ આંદોલન ચલાવતા હતા છતાં તેમણે તમિલ ભાષા કરતા અંગ્રેજી ભાષાને દેશની વહીવટી ભાષા અને દરેકને શીખવા યોગ્ય ભાષા ગણી. તેમણે અંગ્રેજીને આધુનિક વિકલ્પ તરીકે પ્રસ્તાવિત કરી, જણાવ્યું, “અંગ્રેજીમાં એવું શું નથી જે તમિલ ભાષામાં મળી શકે?”
1969માં વિદુથલાઈમાં પ્રકાશિત નિવેદનમાં તેમણે સ્પષ્ટ કર્યું, “હિન્દીનો મારો વિરોધ એટલા માટે નથી કે હું હિન્દી કે તમિલ નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે અંગ્રેજી સામાન્ય ભાષા, સરકારની ભાષા, તમિલનાડુની ભાષા અને તમિલનાડુના ઘરોમાં માતૃભાષા બને.” પેરિયારનું અંગ્રેજીનું સમર્થન વ્યવહારિક હતું, જેનો હેતુ આધુનિક શિક્ષણ અને તકોની પહોંચ દ્વારા બિન-બ્રાહ્મણ સમુદાયોને સશક્ત કરવાનો હતો. તેમણે તમિલોને ઘરે અંગ્રેજી શીખવા વિનંતી કરી જેથી તેઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે. આજે પેરિયારના તમામ પુસ્તકો અને લખાણો પણ હિંદી કે અન્ય કોઈ ભાષામાં નહિ પણ અંગ્રેજીમાં મળે છે. જો કોઈએ પેરિયાર વિશે જાણવું સમજવું હોય તો અંગ્રેજી શીખ્યા વગર છૂટકો નથી.
આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડા પણ અંગ્રેજી ભણ્યા હતા
જયપાલસિંહ મુંડા મિશનરી સ્કૂલમાં ભણેલા તેમને અંગ્રેજી ખૂબ સારું આવડતું હતું તેઓ હોકીના કેપ્ટન હતા અને આદિવાસીઓના હક અધિકાર માટે થઈને હોકી છોડી રાજકારણમાં સક્રિય થયા. સંવિધાન સભામાં આદિવાસીઓ માટે તેમણે જે રજૂઆતો કરી તેના પગલે આદિવાસીઓના ઘણા અધિકારો સુરક્ષિત કરવામાં આવ્યા. આ બધી રજૂઆતો જયપાલસિંહ મુંડાએ અંગ્રેજીમાં કરી હતી. જયપાલસિંહ મુંડા અંગ્રેજી ભણેલા હતા. તેથી જ તેઓ કાયદાના પુસ્તકો, વિશ્વના આદિવાસીઓ વિશેની માહિતી, સંવિધાનમાં શું શું જોગવાઈ થઈ શકે? આ બધું વાંચી, સમજી અને યોગ્ય રજૂઆત કરી શક્યા કે જેથી આજે આદિવાસીઓના હક્ક અધિકારો સુરક્ષિત રહ્યા છે. (કમસે કમ સંવિધાનમાં તો છે) જયપાલસિંહ મુંડા જેવા અન્ય કોઈ આદિવાસી નેતા નજરે પડતા નથી કે કે જેમને અંગ્રેજી ના આવડતી હોય અને આદિવાસીઓના હક અધિકારો માટે સંવિધાન સભામાં યોગ્ય રજૂઆત કરી શક્યા હોય.
આજે પણ ગુજરાતમાં જેટલા પણ સક્રિય આદિવાસી નેતાઓ છે અને આદિવાસીઓના હક અધિકારો, અનુસૂચિઓ, પૈસા એક્ટ, આદિવાસી ગ્રામ પંચાયત વગેરે માટે લડી રહ્યા છે, તેમાના મોટાભાગના આદિવાસી નેતાઓ અંગ્રેજી જાણે છે, કોન્વેન્ટમાં ભણેલા છે અને એટલે જ તેઓ આદિવાસી હક અધિકારોને, કાયદાઓને સારી રીતે સમજી શકે છે અને યોગ્ય રીતે અસરકારક રીતે લડત આપી શકે છે. આજે આદિવાસી સમાજના હક અધિકારો માટે લખતા આદિવાસી પ્રોફેસરો, ડોક્ટરો, એક્ટિવિસ્ટો, લેખકો, આ તમામ લોકો અંગ્રેજીના સારા જાણકાર છે.
આમ ડો.બાબાસાહેબ આંબેડકર, રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે, તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે, પેરિયાર અને જયપાલસિંહ મુંડા સહિતના બહુજન મહાપુરુષોના જીવન પરથી આપણે સમજી શકીએ છીએ કે અંગ્રેજી ફક્ત એક સામાન્ય ભાષા નથી. તે બહુજનોના, મૂળનિવાસીઓના, ગરીબો, કચરાયેલા, દબાયેલા વર્ગના ઉત્થાન માટે ખૂબ જ અગત્યની ભાષા છે. જો અંગ્રેજી ભાષા આવડતી હશે તો અંગ્રેજીમાં લખાયેલા વિશ્વના સારા સારા પુસ્તકો વાંચી શકાશે, સમજી શકાશે. એટલું જ નહીં, બહુજન મહાપુરુષોએ જે સાહિત્ય લખ્યું છે, તે તેમના જ શબ્દોમાં વાંચી શકાશે, સમજી શકાશે અને હિંદુત્વને, જાતિવાદને મનુવાદને સામસામે ટક્કર આપીને જીતી શકાશે.
આ પણ વાંચો: શિક્ષણ સિંહણનું દૂધ છે..કહેનાર ડૉ.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?
જે લોકોએ તમને સંસ્કૃત નથી ભણાવી, શાસ્ત્રો નથી ભણાવ્યા અને અંગ્રેજીનો વિરોધ કરે છે, તેમનાથી હવે ચેતવાની જરૂર છે. આ લોકો તમારા બાળકોનું ભવિષ્ય અંધકારમય બનાવવા માંગે છે. આ જેટલું જલ્દી સમજી જાય તેટલો જલ્દી તમારો ઉદ્ધાર થશે.
અંગ્રેજી ભાષાનો વિરોધ કરતા લોકો આપણા પછાત સમાજ (ઓબીસી, આદિવાસી, દલિત) ના વિરોધી છે. તેઓ શિક્ષણનો વેપાર કરી રહ્યા છે, શાળાઓ બંધ કરી રહ્યા છે, સ્કોલરશીપ આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે, પછાત સમાજના વિદ્વાનોને પ્રોફેસર બનતા અટકાવવા ઇન્ટરવ્યૂના નામે ઓછા માર્કસ આપી રહ્યા છે, ફિક્સ પે – કોન્ટ્રેકટ – આઉટ સોર્સથી શિક્ષકોની ભરતી કરી શિક્ષણનું સ્તર નબળું પાડી રહ્યા છે, આરક્ષણ પૂરું લાગુ કરતા નથી, ગુજરાતમાં ૨૦૧૩ થી રોસ્ટરનું પાલન કરતા નથી. ટૂંકમાં, આ લોકો દેશના અને આપણા પછાત સમાજના શિક્ષણના વિરોધી હોઈ અંગ્રેજી ભાષાનો વિરોધ કરે તેમ સમજી શકાય છે.
પરંતુ આપણે, આપણા સમાજના, દેશના મહામાનવોને અનુસરવાનું છે. તેઓના રસ્તે ચાલી આપણા બાળકોને મહાન બનાવવાના છે. ભૂખ્યા, તરસ્યા રહીને, ઘરબાર વેચીને કે લોન લઈને પણ આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ આપવાનું છે અને બને તેટલું જલ્દી અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકવાનું છે. અંગ્રેજી શીખવાડવાનું છે.
– કૌશિક શરૂઆત (લેખક વિખ્યાત બહુજન પ્રકાશક શરૂઆત પબ્લિકેશનના ફાઉન્ડર છે.)
આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?