AAP એ હિન્દુત્વવાદી મતદારો તૈયાર કર્યા, પરિણામ તમારી સામે છે

સનાતન સેવા સમિતિની રચના, પૂજારીઓનો પગાર વધારો, ત્રિશૂળ દીક્ષામાં ભાગ લેવો, સુંદરકાંડના પાઠની યોજના વગેરે દ્વારા AAP હિંદુત્વવાદી મતદારો જ તૈયાર કરી રહી હતી.
AAP 1

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામનો દિવસ હતો. રસ્તામાં એક જગ્યાએ ટ્રાફિક ધીમો પડી ગયો. ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લઈને કાર્યકરો ઢોલ-નગારા વગાડી રહ્યા હતા. ડ્રાઈવરે કહ્યું, “ભાજપ આવી ગઈ”. મેં તેને પૂછ્યું – “તમને ગમ્યું?” ડ્રાઈવરે કોઈ જવાબ આપ્યા વિના ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યું. થોડી વાર પછી કહ્યું, “ગમે તે આવે આપણને શું?”

સ્વાભાવિક છે કે, તે અજાણ્યા મુસાફર સામે પોતાના મનની વાત કરવા માંગતો નહોતો. પણ તેણે એક બાબત સ્વીકારી કે ભાજપ નફરત ફેલાવતી રહે છે. પણ મેં વિચારવાનું શરૂ કર્યું કે, આમ આદમી પાર્ટીએ પણ આમાં ક્યાં કોઈ કચાશ નથી રાખી. ચૂંટણી પહેલા, દિલ્હી સરકારે શાળાઓને આદેશ આપ્યો હતો કે બાંગ્લાદેશી અને રોહિંગ્યા બાળકોને બિલકુલ પ્રવેશ ન આપવામાં આવે અને તેમના દસ્તાવેજોની કડક તપાસ કરવામાં આવે. આપ આટલો ક્રૂર નિર્ણય લઈ શકે છે તે જોઈને તેના ઘણા સમર્થકો પણ ચોંકી ગયા. આ નિર્ણય બંધારણની વિરુદ્ધ હતો. ભારતની ભૂમિ પર રહેતા દરેક વ્યક્તિને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે અને તેને તેનાથી વંચિત રાખી શકાય નહીં. પણ ‘આપ’ સરકારે આ કર્યું. એટલું જ નહીં, તેણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તેણે રોહિંગ્યા શરણાર્થીઓને આશ્રય આપીને દિલ્હીના લોકોના સંસાધનો છીનવી લીધા છે. તે વારંવાર કહેતી રહી કે ભાજપ રોહિંગ્યા લોકોને દિલ્હીમાં વસાવી રહી છે.

આ પણ વાંચોઃ કેવી રીતે ‘કેજરીવાલે’ જ ‘કેજરીવાલ’ને હરાવ્યા?

AAP 2

છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ વિરોધ પક્ષો પર બાંગ્લાદેશી અને રોહિંગ્યા લોકોને દેશમાં સ્થાયી કરવાનો આરોપ લગાવી રહ્યું છે. AAP એ આ આરોપને ફેરવીને ભાજપ પર લગાવવાનું વિચાર્યું. તેમના ઘણા સમર્થકોએ કહ્યું કે આ ખૂબ જ ચાલાકીપૂર્વકનું પગલું હતું. તમે બાળકોની નજર સામે તેના માટે શાળાના દરવાજા બંધ કરી શકો છો, એ તમારા સ્વભાવની ક્રૂરતા દર્શાવે છે. પરંતુ આનાથી AAP નેતાઓને કોઈ ફરક પડતો નથી. તેમના માટે તે એક રાજકીય જરૂરિયાત હતી.

બે વર્ષ પહેલાં જહાંગીરપુરીમાં રામ નવમી દરમિયાન થયેલી હિંસા પછી પણ AAP એ બુલડોઝર ચલાવનારાનો વિરોધ નહોતો કર્યો, પરંતુ કહ્યું હતું કે ભાજપ રમખાણો ફેલાવવા માટે રોહિંગ્યા અને બાંગ્લાદેશી લોકોને વસાવી રહી છે.

‘રોહિંગ્યા’ અને ‘બાંગ્લાદેશી’ ખરેખર તો મુસ્લિમો માટેનો ભાજપનો કોડવર્ડ છે. તેમને સીધા મુસ્લિમ કહેવાને બદલે ‘બહારના’, ‘ઘૂસણખોર’, ‘ગેરકાયદેસર’ કહેવામાં આવે છે. ભાજપ પણ એ જ વાત કહે છે જે AAP કહી રહી છે કે તે મુસ્લિમો વિરુદ્ધ નથી પરંતુ રોહિંગ્યા અને બાંગ્લાદેશી લોકો વિરુદ્ધ છે જેઓ ભારતીયોના અધિકારો છીનવી રહ્યા છે.

AAP એ વિચાર્યું નહોતું કે આવું કરીને તે ભાજપની રાજકીય વિચારધારા અને રાજકીય ભાષા બંનેને ન્યાયી ઠેરવી રહી છે. આ પહેલી વાર નહોતું જ્યારે તે આવું કરી રહી હતી. કોવિડ મહામારી દરમિયાન, AAP મંત્રીઓએ તબલીગી જમાત પર દિલ્હી અને દેશમાં કોરોનાનો ચેપ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ તો સાવ જુઠ્ઠાણું હતું પણ રોજેરોજ આપના મંત્રીઓ અને અધિકારીઓ નિવેદનો આપતા રહ્યા કે દિલ્હીમાં તબલીગી જમાતના મેળાવડાને કારણે કોરોના ચેપ સમગ્ર દેશમાં ફેલાયો. આ નિવેદનને કારણે સમગ્ર ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ બહિષ્કાર અને હિંસાની અસંખ્ય ઘટનાઓ બની. આ બધા મુસ્લિમો AAPના મતદારો હતા. AAP પોતાના જ મતદારો સામે હિંસા ભડકાવી રહી હતી.

આ પણ વાંચોઃ Delhi Election Result : 12 SC અનામત બેઠકો પર કોણ જીત્યું?

AAP 03

રિંકુ શર્મા નામના યુવકની હત્યા બાદ AAP એ તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો. મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું કે ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાને કારણે તેમની હત્યા કરવામાં આવી હતી અને પૂછ્યું કે જો ભારતમાં ‘જય શ્રી રામ’ ના નારા નહીં લાગે તો શું પાકિસ્તાનમાં લાગશે? તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ ભાજપની કેન્દ્ર સરકાર સાથે હોવાથી તે આ હત્યા માટે જવાબદાર છે.

એવા ડઝનબંધ ઉદાહરણો છે જ્યાં AAP એ તેના મતદારોને સમજાવવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા કે તેને હિન્દુત્વની વિચારધારા સાથે કોઈ વાંધો નથી. તે સક્રિય રીતે મુસ્લિમો કે ખ્રિસ્તીઓનું લોહી વહેવડાવશે નહીં, પરંતુ જો આવું થશે તો તે તેનો વિરોધ પણ નહીં કરે. નાગરિકતા સુધારા કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસા અંગે તેમનું ‘સમજપૂર્વક’નું મૌન દરેકને યાદ છે. પરંતુ તેની સાથે અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ યાદ કરો જેમાં તેમણે કહ્યું હતું કે, શાહીન બાગ આંદોલન માટે ભાજપ જવાબદાર છે. જો તેમના હાથમાં પોલીસ હોત તો તેઓ 3 દિવસમાં રસ્તો સાફ કરાવી દેત.

અયોધ્યામાં તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જમીન પર બનેલા રામ મંદિરની મુલાકાત માટે ખાસ વ્યવસ્થા કરીને AAP એ બાબરી મસ્જિદ તોડી પાડવાના ગુનાને યોગ્ય ઠેરવ્યો હતો. અરવિંદ કેજરીવાલ પોતે અયોધ્યાના આ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ‘ ધ વાયર’ના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદના ત્રિશૂલ વિતરણ કાર્યક્રમમાં AAP નેતાઓએ ભાગ લીધો હતો. મુસ્લિમો AAPના પાક્કા મતદારો રહ્યા છે. પરંતુ AAP ને પોતાના જ મતદારો સામે હિંસાને ખુલ્લેઆમ અને છુપી રીતે સમર્થન આપવામાં કોઈ ખચકાટ નહોતો.

‘આપ’ પાસે 10 વર્ષ હતા. એ દરમિયાન તેણે કેવા પ્રકારના મતદારો તૈયાર કર્યા? ભાજપ તો હિન્દુત્વવાદી મતદારો તૈયાર કરી રહ્યું હતું. હવે સમજાય છે કે આમ આદમી પાર્ટીએ પણ હિન્દુત્વવાદી મતદારો જ બનાવ્યા. ‘સનાતન સેવા સમિતિ’ ની રચના, પૂજારીઓને પગાર આપવાની જાહેરાત, ‘સુંદરકાંડ’ ના સાપ્તાહિક પાઠની યોજના અથવા શાળાઓમાં કટ્ટર દેશભક્તિના અભ્યાસક્રમ દ્વારા હિન્દુત્વવાદી મતદારો જ તો તૈયાર કરવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Delhi Exit Poll: 26 વર્ષ પછી ભાજપની વાપસી,નહીં આવે કેજરીવાલ?

AAP 4

હવે વિચારો, આ મતદારોને AAP ને બદલે BJP ને મત આપવામાં શું વાંધો હોય? શું તેઓ ફક્ત રસ્તા, પાણી, વીજળી અને શાળાના મકાનો માટે AAP સાથે રહેત ખરાં? તેમણે ભાજપ સાથે જવાનો ફાયદો જોયો જેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના રોજિંદા ઝઘડાથી બચી જવાય અને તેમને કોઈપણ અવરોધ વિના બધી સુવિધાઓ મળી શકે. ભાજપે પહેલાથી જ કહ્યું હતું કે તે પાછલી સરકારની બધી યોજનાઓ ચાલુ રાખશે. તો પછી તેઓ AAP સાથે કેમ રહે?

ઘણા મિત્રો AAP ની નૈતિક અધોગતિ પર અફસોસ કરી રહ્યાં છે. તેઓ ભૂલી જાય છે કે ‘આપ’નો જન્મ રાજકારણમાં નીતિવિહીનતાના સિદ્ધાંતની હિમાયત સાથે થયો હતો. માનવ જીવનમાં રસ્તા, પાણી, વીજળી સિવાય કંઈ નથી અને જો કંઈ છે તો રાજકારણને તેની સાથે કોઈ સંબંધ નથી, પાર્ટીની સ્થાપના સમયે AAP અને તેના સમર્થકોએ આ કર્યું હતું. પરંતુ 10 વર્ષમાં તેણે હિન્દુત્વવાદી રાજકારણનો માર્ગ પકડ્યો. એ રસ્તે ચાલીને દિલ્હીના મતદારો AAP ને બદલે ભાજપ પાસે પહોંચી જાય તો એમાં આશ્ચર્ય શેનું? આપે હિંદુત્વવાદી મતદારો તૈયાર કર્યા હતા અને તેનું પરિણામ હવે સામે છે.

આ પણ વાંચોઃ Delhi election માં અરવિંદ કેજરીવાલની AAP ની હારના 5 કારણો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
JESHINGBHAI VADHAR
JESHINGBHAI VADHAR
3 months ago

Knowledgeable article

શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x