Ahmedabad plane crash update: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થતા તમામ 242 પેસેન્જરોના મોત થયા હતા. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.
ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા હતા. પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે. આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.
સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. મોટી દુર્ઘટનાના કારણે અમદાવાદ ઍરપોર્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં મિનિમમ ફ્લાઈટો સાથે શરૂ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના CM સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી છે.
ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12 જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાનું વિમાન (AI-171) 1.38 વાગ્યે ટૅક ઑફ થયું હતું. જે બે મિનિટમાં જ 1.40 વાગ્યે પહેલાં વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયુ હતું. આ ટૅક ઑફ થતાં જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને MAYDAY કૉલ આપ્યો હતો. પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને ધડાકાભેર પ્લેન ક્રેશ થયું હતું. બિલ્ડિંગના પાયાના ભાગને મોટું નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે.
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.
15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો ઈજાગ્રસ્ત
આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઇમારત સિવિલ હૉસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇમારત આગમાં લપેટાઈ જતાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.
વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ઈમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઇલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.
150થી વધુ લોકો મૃત્યુ પામ્યાની આશંકા
અમદાવાદ શહેરના મેઘાણી નગર વિસ્તારમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં 150થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સાથે જ મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. જેમાં આશરે 242 મુસાફરો સવાર હતા. એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનમાં 169 ભારતીયો, 53 બ્રિટીશરો, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. સૌથી દુઃખદ બાબત એ છે આ પ્લેનમાં 217 મુસાફરો પુખ્ત વયના હતા. જ્યારે 11 બાળકો અને 2 નવજાત શિશુ હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત, છેલ્લી તસવીર સામે આવી
આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થયું છે. પ્લેનમાં સવાર લોકોનું લિસ્ટમાં વિજય રૂપાણીનું પણ નામ સામેલ છે. ત્યારે પ્લેનની અંદરની તેમની તસવીર પણ સામે આવી છે. એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. ત્યારે પ્લેનમાં સવાર લોકોની યાદી પણ સામે આવી છે. પ્રારંભિક તપાસમાં વિમાન ક્રેશ થવાનું કારણ બહાર આવ્યું છે. જોકે, આ યાદીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ સામેલ છે. આ દરમિયાન, વિજય રૂપાણીની એક તસવીર પણ સામે આવી છે.
ડોક્ટર્સ જમતા હતા ને પ્લેન ક્રેશ થયું
ક્રેશ થયેલા વિમાનનો કેટલોક ભાગ મેઘાણીનગરમાં આવેલી અતુલ્ય મેડિકલ હોસ્ટેલ પર પડ્યો છે. જેની અંદરની હચમચાવી દેનારી તસવીરો સામે આવી છે. જેમાં વિમાનના કેટલાક ભાગ ઈમારત સાથે ટકરાતા ઘણો ભાગ તૂટી પડ્યો છે. વિમાનના ટાયર, તેની બોડી સહિતનો ભાગ ઈમારતની અંદર દેખાઈ રહ્યા છે. જેમાં હોસ્ટેલની અંદર એક મેસ કે જ્યાં ડૉક્ટર્સ જમતા હોય તે ભાગ પણ દેખાઈ રહ્યો છે.
તમામ મૃતદેહો બળીને કોલસો થઇ ગયા
અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાના શોકિંગ ફોટો અને વિડીયો સામે આવી રહ્યા છે. જે લોકો અંદર ફસાયા હતા, તેમના મૃતદેહો વિમાનના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. લગભગ તમામ મૃતદેહો બળીને કોલસો થઇ ગયા છે, મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે, તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં ભડથું થયેલા મૃતદેહો ટુકડામાં પહોંચી રહ્યાં છે.
બ્રિટન, પોર્ટુગલ સહિતના વિદેશી નાગરિકોના મોત
અમદાવાદમાં થયેલ વિમાન દુર્ધટનામાં મુસાફરોની વિગત સામે આવી રહી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. બ્રિટનના 52, પોર્ટુગલના 6, કેનેડાનો 1 નાગરિક સવાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
સેના અને વાયુસેના દ્વારા એમ્બ્યુલન્સ તૈનાત કરાઇ
ઘટનાસ્થળે સેના અને વાયુસેના દ્વારા 40 થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જે ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં રોકાયેલા છે. આ ઉપરાંત, બે લશ્કરી હોસ્પિટલોને બચાવ કામગીરીમાં સંપૂર્ણપણે તૈનાત કરવામાં આવી છે, જ્યાં તમામ ડોકટરો અને તબીબી સ્ટાફ સતત સેવાઓ આપી રહ્યા છે.
મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
વિમાન દુર્ઘટના જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવી હતી અને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. આ ભયાનક અકસ્માત બાદ તેમણે તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કાર્યને વેગ આપવા સૂચનાઓ આપી હતી. તેમણે ઘાયલ મુસાફરોને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે તમામ તબીબી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા હતા.
આ પણ વાંચો: બેંગલુરુમાં RCB ની ઉજવણીમાં ભીડ બેકાબૂ બનતા 7 લોકોના મોત
ગુજરાત સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ બે ફોન નંબર જાહેર કરાયા છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટે6357373831 અને 6357373841 બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે.
37 વર્ષ પહેલા પણ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું
અમદાવાદમાં અગાઉ 19/10/1988ના રોજ અમદાવાદના એરપોર્ટથી બે કિમી દૂર ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર IC-113 ક્રેશ થઈ હતી.આ વિમાનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133ના મોત થયા હતા. માત્ર બે લોકોનો જીવ બચ્યો હતો.
લોકો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા
આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદયા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેંક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાંક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતાં 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદયા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.
રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.
પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું
વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની સિવિલમાં જ બેઠક
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા છે. ત્યાર બાદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સિવિલ હોસપીયતલમાં જ બેઠક યોજી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સેક્રેટરી સહિતના લોકો સિવિલ હોસ્પિટલમાં બેઠકમાં હાજર હતા. પોસ્ટમોર્ટમ,બોડીની ઓળખ કરવા અને બ્લડની વ્યવસ્થા કરવા સહિતના મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આણંદના 20 મુસાફરોના મોત
આ દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં આણંદના 20 મુસાફરોના મોત થયા છે. આણંદ જિલ્લા કલેક્ટરે વિમાનમાં 20 લોકો સવાર હોવાની પુષ્ટિ કરી છે. દુર્ઘટના સમયે આણંદના જાણીતા બિલ્ડર હાલાની પરિવારના 3 સભ્યો સામેલ હતા. વિમાન દુર્ઘટનાની જાણ થતા હાલાની પરિવારના સંબંધીઓ અમદાવાદ દોડી આવ્યાં છે. દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોમાં સોજીત્રા, બોરસદ, તારાપુર, કરમસદ,ચિખોદરા, ફાગણી, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડનાં લોકોનો સમાવેશ થાય છે.
ઓળખ માટે ડીએનએ લેવાની શરૂ
વિમાનમાં સવાર લોકોના સગાંના ડીએનએ લેવાની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. ડીએનએ મેચ થયા બાદ મૃતકોની અંગોના ડીએનએ સાથે મેચ કરાશે. ત્યાર બાદ સગાઓને મૃતદેહો સોંપવાની કામગીરી કરાશે. જોકે, મૃતકોનો આંકડો મોટો હોવાથી આ પ્રકિયામાં સમય લાગવાની પુરી શક્યતા છે. મૃતકના નજીકના સગા ડીએનએ સેમ્પલ આપી શકશે.
પોલીસે ઇજાગ્રસ્તઓનું લિસ્ટ જાહેર કાર્યું
મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. પ્લેન તૂટી પડતાં 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
તમામ મુસાફરોના મોત થયા છે: અમદાવાદ પોલીસ કમિશનર
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે આ વિમાન દુર્ઘટનામાં કોઈપણ મુસાફર બચ્યું નથી. રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાતાં અમુક સ્થાનિકો પણ મૃત્યુ પામ્યા છે. હજુ સુધી મોતનો ચોક્કસ આંકડો આવ્યો નથી.અમુક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમની બચવાની સંભાવના નહિંવત્ત છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે.
એક પેસેન્જરનો ચમત્કારિક બચાવ
અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં માતમ વચ્ચે એક પેસેન્જરનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. લંડન જઈ રહેલો આ યુવક મૂળ દીવનો હોવાની જાણકારી મળી રહી છે. રમેશ વિશ્વાસકુમાર 11A નંબરની સીટ પર બેઠો હતો. ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે આગની જ્વાળાઓ વચ્ચે તે મોતના મુખમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. રમેશ વિશ્વાસકુમાર બ્રિટનનો નાગરિક છે. આ યુવક જ્યારે ફ્લાઇટમાંથી બહાર કૂદ્યો ત્યારે તેને નાની મોટી ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઇન્ટરનેટ સમાજને ભાગલા તરફ દોરી રહ્યું છે: CJI બી.આર.ગવઈ