સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે વર્ષ 2025 માં ધોરણ 10 અને 12 માં 80% ઉપર માર્ક્સ લાવનાર અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આંબેડકર યુવા ગ્રુપ દૂધરેજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પદ્મશ્રી લવજીભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દૂધરેજના ત્રિવેણી પાર્ટી પ્લોટ ખાતેના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2025માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલા લવજીભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના જોઈન્ટ કમિશનર આર.આર. જાદવ અને વઢવાણ કેળવણી મંડળના પ્રમુખ નિવૃત્ત સિવિલ સર્જન ડો. ડી.કે.વાઢેરે મંચ શોભાવ્યો હતો.
કાર્યક્રમના અતિથિ વિશેષ પદે ભાવનગરના આસિસ્ટન્ટ ઈન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન કેતનભાઈ પનારા, એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર મહેશભાઈ જાદવ, નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને રાષ્ટ્રીય કક્ષાના તીરંદાજ ખેલાડી રણજીત ચૌહાણે ઉપસ્થિત રહીને અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા ગામના વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજન ડો.આંબેડકર યુવા ગ્રુપ અને ડો.બી.આર.આંબેડકર લાઈબ્રેરી અને રમાબાઈ કેરિયર એકેડમી દૂધરેજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વસ્તી ગણતરી પછી પણ દેશમાં OBC કેટલા તે ખબર નહીં પડે