Amreli taluka BJP president Chetan Dhanani resigns: અમરેલી (Amreli)ના તાલુકા ભાજપના પ્રમુખ (taluka BJP president) ચેતન ધાનાણીનું રાજીનામું (Chetan Dhanani resigns) લઈ લેવાયું છે. લાલાવદર ગામના દલિત આગેવાનો અરવિંદ કેજરીવાલની સભામાં ગયા હતા. જેને લઈને ચેતન ધાનાણીએ લુખ્ખાઈ પર ઉતરી આવી દલિત સમાજની વ્યક્તિને ફોન કરીને જાતિસૂચક અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાના ગુજરાતભરના દલિતોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
અમરેલીના દલિત આગેવાનો છેક ચેતન ધાનાણીના ગામમાં તેના ઘેર પહોંચ્યા હતા. જેને લઈને પોલીસ પહેરો ખડકી દેવો પડ્યો હતો. એ પછી પીડિત વ્યક્તિએ ચેતન ધાનાણી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈને ભાજપની દલિત વિરોધી માનસિકતા ફરી એકવાર છતી થઈ જતા હાઈકમાન્ડના ઈશારે ચેતન ધાનાણીનું રાજીનામું લઈ લેવાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.
આ પણ વાંચો: બાજરી લણવાને દલિત પરિવાર પર લુખ્ખા તત્વોએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો
શું છે સમગ્ર મામલો?
વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં અમરેલીના લાલાવદર ગામના કેટલાક લોકો હાજરી આપવા ગયા હતા. આ વાતની જાણ થતાં તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી નારાજ થયા હતા. ચેતન ધાનાણીએ દાદાગીરી અને લુખ્ખાઈ પર ઉતરી આવી લાલાવદર ગામના મહેશભાઈ ઉર્ફે જિગાભાઈ ભાનુભાઈ માધડના મોબાઈલ ફોન પર ફોન કરીને “તું કેજરીવાલની સભામાં કેમ ગયો, મોદીની સભામાં તો આવતો નથી. હું બસ સ્ટેન્ડ પર જ બેઠો છું, આજે તમને છોડવાના નથી” એમ કહીને ધમકી આપી હતી.
આ વાતચીત દરમિયાન ચેતન ધાનાણીએ મહેશભાઈને જેમ ફાવે તેમ ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ધમકીભરી વાતચીતની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ગરમાયો હતો. ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ અને સમાજના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવ્યા બાદ, આજે ચેતન ધાનાણીએ જિલ્લા ભાજપના હોદ્દેદારોને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.
ચેતન ધાનાણીએ રાજીનામામાં ઓડિયો ક્લિપને ‘કથિત’ ગણાવી
પોતાના રાજીનામા પત્રમાં ચેતન ધાનાણીએ ઉલ્લેખ કર્યો છે કે, ‘મારા નામથી કથિત ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેના કારણે પાર્ટી ઉપર આક્ષેપો થઇ રહ્યા છે. તેથી નૈતિકતાના ધોરણે હું તાલુકા ભાજપ પ્રમુખ અમરેલીના હોદ્દા ઉપરથી સ્વેચ્છાએ રાજીનામુ આપુ છું.’
તેણે પત્રના અંતમાં ઉમેર્યું હતું કે તેઓ પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. આ સમગ્ર ઘટનાને પગલે અમરેલીના સ્થાનિક રાજકારણમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. બીજી તરફ દલિત સમાજમાં હજુ પણ આ મામલે ભારે રોષ છે.
આ પણ વાંચો: ‘કેજરીવાલની સભામાં કેમ ગયો?’ કહી ભાજપ નેતાએ દલિતને ગાળો ભાંડી












Users Today : 1737