ગુજરાતમાં SIR ની કામગીરીમાં ભારે ગોટાળા સામે આવી રહ્યાં છે. ખાસ કરીને દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજની જ્યાં બહુમતી છે, ત્યાં સત્તાધારી ભાજપને ફાયદો કરાવવા વિરોધી મતોને સરમાં ફોર્મ 7-એ ભરીને રદ કરી દેવાતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. જો કે, અમરેલીના વડીયા તાલુકામાં તો ખુદ બીએલઓ તરીકે કામ કરતા એક મહિલા કર્મચારીનું તેમના આખા પરિવાર સહિત મતદાર યાદીમાંથી નામ કરી કરવા માટે કોઈ અજાણ્યા લોકોએ અરજી કરી દીધી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
BLO તરીકે ફરજ બજાવતા શિક્ષિકા પાયલબેન બાલાપરિયાએ જણાવ્યું હતું કે, “હું વડીયામાં નિયમિત વસવાટ કરું છું અને સરકારી ફરજ બજાવી રહી છું. તેમ છતાં મારું અને મારા પરિવારજનોનું નામ કમી કરવાની યાદીમાં મૂકવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું અને અન્યાયપૂર્ણ છે. મતદારોને હેરાન કરવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

આ પણ વાંચો: મહેસાણામાં 561 મતદારોની જાણ બહાર નામ કમી કરવા અરજી થઈ
વડીયા તાલુકામાં રહેતા અને સરકારી નોકરી કરતા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની પ્રક્રિયા સામે ભારે હોબાળો મચ્યો છે. વડીયા તાલુકામાં અંદાજે 350થી વધુ મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર–7 ભરવામાં આવતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. આ મુદ્દે મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મામલતદાર કચેરીએ દોડી જઈ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મતદારોનો આક્ષેપ છે કે વડીયામાં વસવાટ કરતા એક જ સમાજના લોકો, સરકારી કર્મચારીઓ, પેન્શનર્સ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોને ખાસ કરીને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે. નિયમ વિરુદ્ધ અને કોઈપણ યોગ્ય તપાસ વગર ફોર્મ નંબર–7 ભરીને મતદાર યાદીમાંથી નામ કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
રોષે ભરાયેલા મતદારો મોટી સંખ્યામાં વડીયા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને બહારના લોકો દ્વારા સ્થાનિક મતદારોને હેરાન કરવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. મતદારોએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી વડિયામાં રહે છે, સરકારી નોકરીમાં સેવા આપી રહ્યા છે, તેમ છતાં તેમના મતાધિકારને છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકશાહીના મૂળ તત્વો સામે ગંભીર ખતરો છે.
આ પણ વાંચો: પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ SIR મતદાર યાદીમાં કપાયું!
મતદારોએ લેખિત રજૂઆતમાં માંગ કરી છે કે ફોર્મ નંબર–7 ભરવાની સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ખોટી રીતે ભરાયેલા ફોર્મ રદ કરવામાં આવે. સાથે જ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ ઉઠાવી છે.
વડીયાના મામલતદાર કેજારભાઈ સિંધીએ જણાવ્યું કે, આ ફરિયાદ અમારી પાસે આવી છે, અને રજુઆત કરવા સ્થાનિકો આવ્યા હતા. હાલ તેની ફરિયાદ અને રજુઆતને ધ્યાને લઈને સમગ્ર મામલાની તપાસ થશે.
મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ઊભા થયેલા આ વિવાદ બાદ તાલુકા વહીવટ તંત્ર હરકતમાં આવ્યું છે. હવે મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવનારી તપાસ અને લેવાતા નિર્ણય પર વડિયા તાલુકાના મતદારોની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો: દાહોદના લીમખેડામાં SIR ની કામગીરી વચ્ચે BLOએ આપઘાત કર્યો











