Atrocity complaint filed against APP Dhawan Jaiswal: ગુજરાતની હાઈકોર્ટોમાં કેવા કેવા મનુવાદી માનસિકતાથી ગ્રસ્ત જજો અને વકીલો બેઠાં છે તેના ઉદાહરણો આપવાની જરૂર નથી. એવા અનેક કેસો, કિસ્સાઓ મળી આવશે જેમાં ન્યાય માટે ગયેલા દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના ફરિયાદીને મનુવાદી જજો, વકીલોએ ન્યાય આપવાને બદલે તેમની જાતિવાદી વિચારધારાને કારણે અન્યાય કર્યો હોય. આવી જ એક ઘટના ગુજરાત હાઈકોર્ટમાં બની છે. જેમાં એટ્રોસિટીના એક કેસનું હિયરીંગ ચાલી રહ્યું હતું અને જેના માથે સરકાર વતી ફરિયાદીને ન્યાય અપાવવાની જવાબદારી રહેલી છે તે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે ખુદ ચાલુ કોર્ટમાં પોતાનું જાતિવાદી-મનુવાદી પોત પ્રકાશ્યું હતું. એપીપી કઈ હદે જાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત છે તેનો અંદાજ તમને એના પરથી આવશે કે, તેણે ચાલુ કોર્ટમાં વકીલોની દલીલ પુરી થઈ ગયા પછી બાજુમાં ઉભેલા પોલીસ અધિકારીને વાતચીતમાં કહ્યું કે, “આ લોકો ટેવાયેલા છે, એટ્રોસિટી કરે, પૈસા લ્યે અને પછી સેટલમેન્ટ કરે.” એપીપી આ દલીલ હાઈકોર્ટના લાઈવ યુટ્યુબ ટેલિકાસ્ટમાં પણ સંભળાઈ હતી. આ ઘટનાને લઈને હોબાળો મચી ગયો છે અને હવે આ એપીપી સામે જ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
તા. 9/1/2025 ના ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી એચ.ડી. સુથારની બેન્ચ સમક્ષ કોઈ આગોતરા જામીન અરજીના હિયરિંગ દરમ્યાન ખુલ્લી કોર્ટમાં તમામ પક્ષના વકીલોની દલીલ પુરી થઈ ગયા પછી સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર (APP) તેની બાજુમાં ઉભેલા પોલીસ અધિકારી સાથે વાતચીતમાં એવું બોલે છે કે “આ લોકો ટેવાયેલા છે. એટ્રોસિટી કરે, પૈસા લ્યે અને પછી સેટલમેન્ટ કરે.”
જાતિવાદી-મનુવાદી માનસિકતાથી ગ્રસ્ત આ જજ જે શબ્દો બોલ્યાં હતા તે ગુજરાત હાઈકોર્ટના લાઈવ યુટ્યુબ ટેલિકાસ્ટમાં સૌ કોઈએ સાંભળ્યાં. કોર્ટમાં હિયરિંગ દરમ્યાન કે હિયરિંગ પતી ગયા પછી જસ્ટિસ ચુકાદો લખાવે છે ત્યારે કલાક 21:23 થી 22:40 ના સમય દરમ્યાન તેઓ આવું બોલતા સંભળાય છે. જેને લઈને હોબાળો મચી ગયો છે અને હવે એપીપી ફસાઈ ગયા છે. કેમ કે, એક જાગૃત નાગરિકે આ મામલે તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે.
અલબત જસ્ટિસ એચ. ડી. સુથાર તેઓના ચુકાદામાં એપીપીએ આગોતરા જામીન અરજીનો વિરોધ કરતી દલીલ કર્યાનો ઉલ્લેખ કરેલ છે. પરંતુ દલીલ પુરી થઈ ગયા પછી આ એપીપી તેની બાજુમાં ઉભેલા પોલીસ અધિકારીની સાથે વાતમાં આવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે અને તે લાઈવ ટેલિકાસ્ટમાં સંભળાય છે.
ચાલુ કોર્ટમાં એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાના આરોપીએ કરેલ આગોતરા જામીન અરજીના કામમાં એ.પી.પી આવું બોલે તેનો મતલબ કે આ એ. પી. પી. ને દલિતો પ્રત્યે નફરત છે. તેને એટ્રોસિટી એક્ટ ખટકે છે. હાઇકોર્ટમાં ઓપન કોર્ટમાં હિયરિંગ દરમ્યાન આવું નિવેદન કરનાર એ.પી.પી. વિરુદ્ધ ખરેખર તો સરકારના કાયદા વિભાગ કે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશને પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો: એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર
કોઈ એકલ દોકલ કિસ્સામાં એટ્રોસિટી એક્ટ નીચેના ગુનામાં FIR થયા પછી કોઈ જેન્યુન કે ઉમદા હેતુ માટે ફરિયાદી, પીડિત અને આરોપી વચ્ચે સમાધાન થયું હોય તો તેટલા કારણ માત્ર થી આખા દલિત સમાજ વિરુદ્ધ આવું નિવેદન કરવું કેટલે અંશે યોગ્ય, વ્યાજબી કે ન્યાયી છે? આ મેટરમાં હિયરિંગ દરમ્યાન જો સ્ટેટ તરફથી એડિશ્નલ પબ્લિક પ્રોસિક્યુટરે આવું બોલવું ખરેખર તેના માટે શોભાસ્પદ છે? પબ્લિક પ્રોસિક્યુટરે તો ફરિયાદી કે પીડિતને પ્રોટેક્ટ કરવાના હોય છે. રાજ્ય સરકારનું કાયદા ખાતું સરકારી વકીલો/પબ્લિક પ્રોસિક્યુટરોની નિમણુંક કરે છે.
તેઓ સ્ટેટ વતી રજૂઆત કરવા હાઇકોર્ટમાં હાજર થતા હોય છે. તેમણે રાજ્ય સરકાર વતી ફરિયાદ પક્ષને વફાદાર રહી ન્યાય અપાવવાની ફરજ નિભાવવાની હોય છે. અંતે તો તેઓ કોર્ટને ન્યાય અપાવવા મદદરૂપ થતા હોય છે. કોર્ટમાં જે તે કેસની હકીકત અને સંજોગો મુજબ દલીલ કરવા બંધાયેલા છે. તેઓએ આખા દલિત સમાજ ને ખુલ્લી કોર્ટમાં જાહેરમાં હલકો ચીતરવાનો નથી. માટે આખા દલિત સમાજ વિરુદ્ધ ‘એટ્રોસિટી કરે પૈસા પડાવી સમાધાન કરી લ્યે’ તેવું નિવેદન કરી દલિત સમાજ અને એટ્રોસિટી એક્ટનો દ્રોહ કર્યો કહેવાય. તેઓ એડિશ્નલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકેની લાયકાત ખોઈ બેઠા છે. તેને આવા સરકારી વકીલ તરીકેના હોદ્દાને લાયક ગણી શકાય ખરા?
અત્રે એ વાત નોંધવી રહી કે આ દેશમાં દરેક કાયદાનો દુરૂપયોગ કરી ખોટા કેસો થાય છે. આઈપીસીની કલમ 498A નીચે સંખ્યાબંધ ખોટા કેસો મહિલાઓ કરે છે તેની નોંધ સુપ્રીમ કોર્ટે પણ લીધી છે. જુના આઈપીસી અને હવે BNS ના કાયદા નીચે સંખ્યાબંધ ખોટા કેસો થાય છે. દારૂ જુગારના કાયદા નીચે પોલીસ ખોટા કેસ કરતી હોય છે કારણ તેમાં સજાની ટકાવારી બિલકુલ નહીવત છે. અન્ય કાયદાઓનો પણ દુરુપયોગ કરી ખોટા કેસો કરી ફરિયાદીઓ પૈસા પડાવતા હોય છે.
ખૂન, બળાત્કાર, દુષ્કર્મ કે અન્ય ગંભીર ગુનાઓમાં પણ કોર્ટોમાં સમાધાન થતા હોય છે. તેવા કિસ્સાઓમાં સરકારી વકીલો સવર્ણ સમાજના ફરિયાદી હોય ત્યારે ફરિયાદી ખોટા કેસ કરે છે તે પ્રકારના નિવેદન ક્યારેય કરતા નથી. પણ દલિતો સાચા કેસ કરે તો પણ તેને ખોટામાં ખપાવી આખા દલિત સમાજને વગોવવાની ફેશન થઈ ગઈ છે.
અલબત માની લઈએ કે કોઈ દલિત સમાજના ફરિયાદી એ પૈસા પડાવી સમાધાન કરી લીધું હોય, પછી આરોપી જામીન અરજી કરે કે FIR રદ કરવાની પિટિશન કરે તેમાં કોર્ટને એમ લાગે કે ફરિયાદીએ ખોટી ફરિયાદ કરી અથવા એટ્રોસિટીના ગુનામાં આરોપી પાસેથી પૈસા પડાવી હવે સમાધાન કરી લીધું, તો તેવા ફરિયાદી વિરુદ્ધ કોર્ટ પગલાં લઈ શકે છે. તેવા ફરિયાદી વિરુદ્ધ શું શું કાર્યવાહી થઈ શકે તેની કાયદામાં જોગવાઈ છે. પરંતુ દરેક કિસ્સામાં દલિત સમાજના લોકો ખોટી એટ્રોસિટીની ફરિયાદો કરી સરકારની સહાય લ્યે અને પછી સમાધાન કરી આરોપી પાસેથી દરેક લોકો પૈસા પડાવે છે તેવો જનરલ આક્ષેપ કરવો તેવું કથન કરવું તે discipline વિરુદ્ધ છે. તે APP ના હોદ્દાને લાયક નથી. તેની સાથે સાથે આવું ખુલ્લી કોર્ટમાં બોલવાથી પબ્લિક પ્રોસિક્યુટર વિરુદ્ધ કાયદા ખાતું અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કાયદેસર કાર્યવાહી કરી પગલાં શકે છે.
અત્રે એ નોંધવાનું કે આ કિસ્સામાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન અમદાવાદના PI સમક્ષ રાકેશ વાઘેલા નામના અનુસૂચિત જાતિના ફરિયાદીએ તેની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ નીચેના જુદા જુદા ગુનાઓની ફરિયાદ દાખલ કરેલ છે. જોઈએ હવે ફરિયાદી રાકેશ વાઘેલાની ફરિયાદ પરથી APP ધવન જયસ્વાલ વિરુદ્ધ પોલીસ FIR નોંધી ગુનાઓ નોંધે છે કે કેમ?
અહેવાલઃ કે.બી. રાઠોડ (લેખક નિવૃત્ત જજ છે અને બહુજન સમાજના કાયદાકીય પ્રશ્નોમાં માર્ગદર્શક છે.)
આ પણ વાંચો: કોણ છે ક્ષમા સાવંત, જેને મોદી સરકાર ભારત આવતા રોકી રહી છે?