જાતિવાદી તત્વોને દલિતો પાસે ખેતીની જમીન હોય તે સૌથી વધુ ખટકતી વાત છે. ગામડાઓમાં આવકનો સૌથી મોટો સ્ત્રોત ગણાતી ખેતીની જમીન પર કાયમ જાતિવાદી તત્વોનો ડોળો હોય છે. તેઓ યેનકેન પ્રકારે દલિતો પાસેથી તેમની જમીનો પડાવી લેવા માટે તત્પર રહેતા હોય છે. આવી જ એક ઘટનામાં જાતિવાદી ગુંડાઓએ એક દલિત ખેડૂત પર હુમલો કરી ફાંસીએ લટકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
મામલો જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશનો છે.
અહીંના હમીરપુર જિલ્લાના ભરુઆ સુમેરપુર વિસ્તારના બાંક ગામમાં એક દલિત ખેડૂત પોતાની માલિકીની જમીન પર વાડ કરતા હતા. જે જાતિવાદી ગુંડાઓને ગમ્યું નહોતું અને તેઓ દલિત ખેડૂતને પિસ્તોલ લઈને ખૂન કરવા પાછળ દોડ્યા હતા. આ લુખ્ખા તત્વોએ દલિત ખેડૂતને માત્ર માર જ નહોતો માર્યો, પરુંત ખેતરના ઓરડામાં પુરીને ગળે ફાંસો આપી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી.

ખેતરમાં વાડ કરવા જતા જીવ જોખમમાં મુકાયો
ઘટનાની વિગતો મુજબ, સુમેરપુર કસબાના ત્રિવેણી મેદાનમાં રહેતા રઘુવર પ્રસાદ પોતાના પૈતૃક ગામ બાંકમાં ખેતીનું કામ કરે છે. તેમણે પોતાના ખેતરમાં વાવેલા ફળદ્રુપ વૃક્ષોને રખડતા ઢોર અને અન્ય નુકસાનથી બચાવવા માટે વાડ કરવાનું શરૂ કર્યું હતું. જે ગામના બાબુ કુશવાહા, નોખેલાલ, છોટે અને રાજકુમાર સહિતના શખ્સોને ગમ્યું નહોતું અને તેઓ હથિયારો સાથે ખેતરે ધસી આવ્યા હતા.
આ પણ વાંચો: દલિત યુવકે ખેતરમાંથી પાણી પીતા ધીંગાણું, 191 લોકો સામે ફરિયાદ
પિસ્તોલ બતાવી ખેડૂતની પાછળ દોડ્યા
આરોપીઓએ ખેતર પર પહોંચતા જ રઘુવર પ્રસાદને જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. આ લુખ્ખા તત્વોનો ઇરાદો ખેડૂતને ડરાવીને તેની જમીન પર દબાણ કરવાનો અથવા તેને પજવવાનો હતો. જ્યારે રઘુવર પ્રસાદે મક્કમતાથી પોતાનું કામ ચાલુ રાખ્યું, ત્યારે હુમલાખોરો ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ પિસ્તોલ (તમંચો) કાઢી રઘુવર પ્રસાદના કપાળે તાકી હતી. જેથી રઘુવર પ્રસાદ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા હતા. પણ જાતિવાદી ગુંડાઓ તેમની પાછળ પિસ્તોલ લઈને દોડ્યા હતા.
ઓરડામાં પુરી ફાંસીએ લટકાવી દેવાનો પ્રયાસ કર્યો
પોતાની રક્ષા કરવા માટે કોઈ રસ્તો ન જણાતા રઘુવર પ્રસાદ ખેતરમાં આવેલા ટ્યુબવેલના એક ઓરડામાં ઘૂસી ગયા હતા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. જોકે, હિંસક બનેલા હુમલાખોરોએ બળ કરીને ઓરડો તોડી નાખ્યો અને અંદર પ્રવેશી રઘુવર પ્રસાદ પર તૂટી પડ્યા હતા. તેમણે રઘુવર પ્રસાદને લાતો અને મુક્કાઓથી બેફામ માર માર્યો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે આ ગુંડાઓએ એક જાડું દોરડું લઈ રઘુવર પ્રસાદને ગળેફાંસો નાખ્યો. તેઓ રઘુવર પ્રસાદને ઓરડાની છત પર લટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેથી આ આખી ઘટના આત્મહત્યામાં ખપી જાય. રઘુવર પ્રસાદે અનેક વિનંતીઓ કરી છતા આરોપીઓએ તેમને છોડવા તૈયાર નહોતા.
આ પણ વાંચો: દેશમાં દરરોજ 12 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે!
આસપાસના ખેડૂતો દોડી આવતા જીવ બચ્યો
રઘુવર પ્રસાદની બૂમો સાંભળીને આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો ત્યાં દોડી આવ્યા હતા. ભીડ ભેગી થતી જોઈને હુમલાખોરો ધમકી આપતા ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં રઘુવર પ્રસાદને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુમેરપુર પોલીસે તાત્કાલિક ધોરણે ચારેય મુખ્ય આરોપીઓ વિરુદ્ધ SC/ST Act (દલિત ઉત્પીડન વિરોધી ધારો) અને હત્યાના પ્રયાસ (કલમ 307) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં દલિતો પર થતા અત્યાચાર અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે
આ પણ વાંચો: ‘તારે રૂપિયાની શું જરૂર?’ કહી ભાજપ નેતાએ દલિત યુવકના રૂપિયા લઈ લીધાં











