ડૉ.આંબેડકરની પ્રતિમા અનાવરણ પહેલા ખંડિત, ભાજપ નેતાએ કહ્યું, ‘હાથ કાપી લાવો..’

ડૉ. આંબેડકરની પ્રતિમા અનાવરણ થાય તે પહેલા અસામાજિક તત્વોએ તોડી પાડી. ભાજપના નેતાએ દલિતોને ઉશ્કેરતા કહ્યું, ‘આરોપીના હાથ કાપી લાવો હું 11 લાખનું ઈનામ આપીશ.’
Dr Ambedkar statue vandalized in Meerut

ડૉ.આંબેડકર ભારતમાં કદાચ એકમાત્ર એવા મહાપુરૂષ છે, જેમની પ્રતિમાઓ સૌથી વધુ ખંડિત કરવામાં આવી હશે. આવી જ વધુ એક ઘટના યુપીના મેરઠમાં બની છે. પરંતુ અહીં મામલો વધુ ચિંતાજનક છે. અહીં રાજકીય રોટલા શેકવા માટે મહાપુરુષોના નામ અને ધાર્મિક લાગણીઓનો સહારો લેવામાં આવ્યો છે. ઇંચોલીના ભગવાનપુર ગામમાં અસામાજિક તત્વો દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને રોષ જોવા મળી રહ્યો છે. જોકે, આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાં શાંતિ જાળવવાના પ્રયાસો કરવાને બદલે ભાજપના એક સ્થાનિક નેતાએ અત્યંત વિવાદાસ્પદ અને હિંસક નિવેદન આપીને દલિત સમાજના લોકોને ઉશ્કેરવાનો અને કાયદો હાથમાં લેવા પ્રેરે તેવો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો છે.

મામલો શું છે?

ભગવાનપુર ગામમાં ડૉ. આંબેડકરની એક નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાનું આગામી 30 માર્ચના રોજ ભવ્ય અનાવરણ કરવાનું આયોજન હતું, પરંતુ તે પહેલા જ રાત્રિના અંધારામાં અસામાજિક તત્વોએ પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરી દીધી. સવારે જ્યારે ગ્રામજનોને આ વાતની જાણ થઈ ત્યારે દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જોતજોતામાં રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરોનો ત્યાં જમાવડો થઈ ગયો. સપા નેતા સીમા પ્રધાન, ભાજપના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમ અને ભીમ આર્મીના તાલુકા પ્રભારી વિજેન્દ્ર સૂદ જેવા નેતાઓ સમર્થકો સાથે ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ અને તંત્રે તુરંત જ નવી પ્રતિમા લગાવવાનું અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપીને મામલો મહામુસીબતે થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો:  જાતિવાદી તત્વો મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ફરાર

ભાજપ નેતાએ શાંતિ જાળવવાને બદલે ઉશ્કેરણી કરી

જ્યારે વહીવટીતંત્ર પરિસ્થિતિને નિયંત્રિત કરવા મથતું હતું, ત્યારે ભાજપ નેતા હસીન યાસીને આ મામલે ઝેર ઓકતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે જાહેરમાં એવી જાહેરાત કરી કે, “જે કોઈ વ્યક્તિ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરનારના હાથ કાપીને લાવશે, તેને હું 11 લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપીશ.” આ નિવેદન માત્ર વિવાદાસ્પદ નથી, પરંતુ તે ભારતીય બંધારણ અને કાયદો-વ્યવસ્થાની મર્યાદાઓને સીધો પડકાર છે. હસીન યાસીને વધુમાં ઉમેર્યું કે ડૉ. આંબેડકર દરેક સમાજ માટે પૂજનીય છે અને આવા લોકો સમાજના દુશ્મન છે, તેથી તેમને પાઠ ભણાવવો જરૂરી છે.

દલિતોને ઉશ્કેરવાની રણનીતિ?

રાજકીય વિશ્લેષકો આ નિવેદનને એક રણનીતિના ભાગરૂપે જોઈ રહ્યા છે. ડૉ. આંબેડકરના નામે સહાનુભૂતિ મેળવવા અને દલિત મતોનું ધ્રુવીકરણ કરવા માટે ભાજપના નેતાઓ હવે ખુલ્લેઆમ હિંસાનો આશરો લઈ રહ્યા છે. જ્યારે ડૉ. આંબેડકરે પોતે બંધારણ દ્વારા કાયદાનું શાસન સ્થાપ્યું હતું, ત્યારે તેમના જ નામે ભાજપના નેતાઓ સામાન્ય નાગરિકોને ‘હાથ કાપી નાખવા’ જેવી તાલિબાની સજાઓ માટે ઉશ્કેરી રહ્યા છે. શું ન્યાય આપવાનું કામ દેશની કોર્ટ અને પોલીસનું છે કે આવા નેતાઓનું? એવો પ્રશ્ન હવે બૌદ્ધિક વર્ગમાં ઉઠી રહ્યો છે. ભાજપના નેતાનું આ નિવેદન દલિત યુવાનોને ઉશ્કેરીને તેમને કાયદાના સકંજામાં ફસાવી શકે છે.

આ પણ વાંચો: આવા જજો હોય ત્યાં ન્યાયની આશા કેવી રીતે રાખવી?

ભાજપ આ નેતા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે

હસીન યાસીન માટે આ પ્રકારની હિંસક જાહેરાતો કરવી એ કોઈ નવી વાત નથી. અગાઉ તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માતા વિશે અપશબ્દો બોલનારની જીભ કાપી લાવનારને પણ 11 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. વારંવાર આવા ‘ઈનામો’ જાહેર કરીને તેઓ સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનું અને યુવાનોને ગુનાખોરીના માર્ગે વાળવાનું કામ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે. સત્તાધારી પક્ષનો ભાગ હોવા છતાં, કાયદો હાથમાં લેવાની આવી વાતો એ લોકશાહી માટે ખતરનાક સંકેત છે.

ડૉ. આંબેડકર પ્રત્યેનો આદર માત્ર પ્રતિમાઓ પૂરતો સીમિત ન હોવો જોઈએ, પરંતુ તેમના દ્વારા આપવામાં આવેલા બંધારણના આદરોનું પાલન પણ એટલું જ જરૂરી છે. મેરઠની આ ઘટનામાં જે રીતે ભાજપના નેતાઓએ દલિત સમાજની લાગણીઓ સાથે રમત રમીને તેમને કાયદો તોડવા માટે ઉશ્કેર્યા છે, તે અત્યંત નિંદનીય છે. શું તંત્ર આવા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની હિંમત બતાવશે?

આ પણ વાંચો: ચાણસ્મામાં દલિત મહિલા સાથે 5 શખ્સોએ 1.25 કરોડની છેતરપિંડી કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x