Bjp mla ck raulji played the role of opposition: વિધાનસભામાં ભાજપને 156 બેઠકો મળી છે ત્યારે ગૃહમાં વિપક્ષ કોંગ્રેસ અને આપના સભ્યોની સંખ્યા જૂજ છે. જેથી વિપક્ષ સત્તાપક્ષ ભાજપને ભીંસમાં લેવામાં નબળો પડ્યો છે. ત્યારે ભાજપના સભ્યો ગૃહમાં એવી રજૂઆતો કરીને સરકારને ભીંસમાં મૂકી દેતા જોવા મળી રહ્યા છે. આજે પણ વિધાનસભામાં સત્તાપક્ષના સભ્ય સી. કે. રાઉલજીએ એવું નિવેદન કરીને સરકારને ભીંસમાં મૂકી દીધી હતી.
ગુજરાત વિધાનસભામાં આ વખતે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યોની સંખ્યા ગણતરીની રહી છે. તેવા સંજોગોમાં સરકારની ટ્રેજરી બેન્ચમાં બિરાજતા મંત્રીઓ વિપક્ષના સભ્યોના પ્રહારોથી રાહત અનુભવી રહ્યા છે. પરંતુ ટ્રેજરી બેન્ચના મંત્રીઓ હવે પોતાના જ પક્ષના સાથી ધારાસભ્યોના વાકબાણથી બચવાનો માર્ગ શોધી રહ્યા છે, જો કે, તેમાં ક્યારેક ક્યારેક વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પોતાની કુનેહ બુદ્ધિથી ટ્રેજરી બેન્ચના મંત્રીઓને બચાવી લે છે. જો કે, અધ્યક્ષ સ્થાને શંકર ચૌધરીના સ્થાને અન્ય કોઈ બિરાજમાન હોય છે ત્યારે સરકાર બેકફૂટ પર આવી જાય છે.
આ પણ વાંચો: રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતિ આપી રહી છે?
આવું જ આજે બીજી બેઠક દરમિયાન બન્યું હતું. બીજી બેઠકમાં રિસેસ પછીના સમયમાં ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ અધ્યક્ષ સ્થાને બિરાજમાન હતા. તે સમયે ભાજપના ધારાસભ્ય સી. કે. રાઉલજી માંગણીઓ પરની ચર્ચામાં પોતાના અભિપ્રાયો આપવા ઊભા થયા હતા. જેમાં પ્રારંભમાં તો સી. કે. રાઉલજીએ સરકારના ગુણગાન ગાયા હતા. પરંતુ છેલ્લે છેલ્લે સરકાર પર પ્રહાર કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના મહેસૂલ વિભાગ હેઠળ આવતી ગ્રામ પંચાયતોના તલાટીઓ જ્યારે કોઈ નાગરિક તેમની જમીન કે અન્ય મિલકતના 7/12 ના ઉતારામાં નામ કમી કરાવવા કે ઉમેરાવવા જાય છે ત્યારે તલાટી એવી આશા રાખે છે કે આમાં મારું શું? એટલું જ નહીં સી. કે. રાઉલજીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો, રાજ્ય સરકારના બે વિભાગો મહેસૂલ વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગમાંથી ભ્રષ્ટાચારની બુ આવતી હોય તેવું લાગે છે.
સી. કે. રાઉલજીના આવા નિવેદનથી વિપક્ષના સભ્યો મનમાં મરક મરક હસતાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Telangana માં OBC અનામત 23 ટકાથી વધારી 42 ટકા કરાઈ