ઉત્તર પ્રદેશ(UP)ના ગાઝિયાબાદના લોનીના ભાજપ(BJP)ના ધારાસભ્ય(MLA) નંદ કિશોર ગુર્જરે (Nandkishor gurjer) પોતાની જ સરકાર પર પ્રહારો કર્યા છે. ગુર્જરે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ (Yogi Adityanath)સરકારને ‘અત્યાર સુધીની સૌથી ભ્રષ્ટ સરકાર’ (most corrupt government ever) ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે યુપી સરકારના અધિકારીઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 20 માર્ચે કળશ યાત્રા દરમિયાન ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને ગાઝિયાબાદ પોલીસ સાથે વિવાદ થયો હતો. ત્યારથી તેઓ સતત સરકારી અધિકારીઓ પર હુમલા કરી રહ્યા છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, નંદકિશોર ગુર્જરે(Nandkishor gurjer) એક પ્રેસ કોન્ફરન્સમાં આ આરોપો લગાવ્યા અને કહ્યું કે પોલીસે તેમના કપડાં ફાડી નાખ્યા હતા. તેમણે કહ્યું કે, યુપીના મુખ્ય સચિવે મહારાજ (યોગી આદિત્યનાથ) ના મન પર કાળો જાદુ કરીને તેમને બાંધી દીધું છે.
આ પણ વાંચોઃ નડિયાદમાં ભાજપના નેતાએ વકફ બોર્ડની જમીન પચાવી પાડી
ભાજપના ધારાસભ્ય ગુર્જરે આરોપ લગાવ્યો કે અધિકારીઓએ અયોધ્યામાં જમીન લૂંટી લીધી છે. પોતાના જ પક્ષની સરકાર પર પ્રહાર કરતા તેમણે આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશમાં મોટા પાયે ગૌહત્યા ચાલી રહી છે. નકલી એન્કાઉન્ટરમાં લોકોને મારી નાખવામાં આવી રહ્યા છે.
યતિ નરસિંહાનંદે શું કહ્યું?
આ મામલે ડાસના પીઠના વડા યતિ નરસિંહાનંદગિરી(Yati Narsinghanand) ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરના સમર્થનમાં આવ્યા છે. તેમણે રામકથાની કળશ યાત્રા દરમિયાન પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમણે સીએમ યોગી આદિત્યનાથને સીધી ચેતવણી આપી.
યતિ નરસિંહાનંદે જાહેરાત કરી કે જ્યાં સુધી પોલીસ અધિકારી અજય મિશ્રાની બદલી ન થાય ત્યાં સુધી તેઓ ભોજન નહીં કરે. તેમણે કહ્યું કે ગઈકાલથી મને આપણા પવિત્ર ધાર્મિક ગ્રંથનું અપમાન કરનાર વ્યક્તિના ચહેરા પર થપ્પડ મારવાનું મન થઈ રહ્યું છે, પરંતુ હું તે કરી શકતો નથી. પોલીસ અને વહીવટીતંત્રે અમારી હત્યાનું કાવતરું ઘડ્યું છે. મારી સુરક્ષા ઘટાડવામાં આવી રહી છે. એ દરમિયાન સીએમ યોગીને ચેતવણી આપતા યતિ નરસિંહાનંદે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અપમાનજનક વાતો કહી. આ કેસમાં ગાઝિયાબાદ પોલીસે તેમની વિરુદ્ધ FIR નોંધી છે.
આ પણ વાંચોઃ દલિત મહિલા પર દુષ્કર્મના કેસમાં ભાજપ ધારાસભ્યને પોલીસ રક્ષણ?
Ghaziabad se BJP ke vidhayak nandkishor Gurjar ko aajkal BJP ke log hi target kar rahe hai kyunki vah Gau hatya rokane ki baat karte Hai.@bramhasmiiii @RituRathaur @MNageswarRaoIPS @madhukishwar @sdeo76 @ShubhamShuklaMP pic.twitter.com/vD6rpABaSc
— अतुल_क्षत्रिय (@atul_rajput05) March 22, 2025
યતિ નરસિંહાનંદ ગિરી (Yati Narsinghanand) પર એક વીડિયોમાં નફરત ફેલાવવાનો અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તન કરવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ 22 માર્ચને શનિવારે આ માહિતી આપી હતી. એફઆઈઆર મુજબ, યતિ નરસિંહાનંદ પર મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો, ધાર્મિક લાગણીઓ ભડકાવવાનો, ગુનાહિત ધાકધમકી આપવાનો, અપમાન કરવાનો, બદનક્ષી કરવાનો અને જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાના ઈરાદાથી અપશબ્દોનો બોલવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગૃહ રાજ્યમંત્રી-ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ ગુનેગારો બેફામ
યતિ નરસિંહાનંદ (Yati Narsinghanand) પર એક વીડિયોમાં ગાઝિયાબાદ પોલીસ કમિશનર અને લોનીના સહાયક પોલીસ કમિશનર વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. પોલીસ કમિશનર (ગ્રામીણ) સુરેન્દ્ર નાથ તિવારીએ જણાવ્યું હતું કે 21 માર્ચ, શુક્રવારના રોજ વેવ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે નરસિંહાનંદના નિવેદનો સાંપ્રદાયિક સૌહાર્દને ઉશ્કેરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 20 માર્ચે નંદ કિશોર ગુર્જરે લોનીમાં ‘રામકળશ યાત્રા’ કાઢી હતી. જોકે, પોલીસે આ યાત્રા અટકાવી દીધી હતી. ધારાસભ્યના સમર્થકો આ યાત્રા કાઢવા પર અડગ હતા, જ્યારે પોલીસ તેને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસનું કહેવું છે કે આ યાત્રા માટે પરવાનગી લેવામાં આવી ન હતી, જ્યારે ધારાસભ્યનું કહેવું હતું કે આ યાત્રા પરંપરાગત છે, તેથી પરવાનગીની જરૂર નહોતી. જોકે, તેમનું કહેવું છે કે, તેમણે યાત્રા કાઢવા માટે લોનીના સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને અરજી સુપરત કરી હતી.
આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યે દલિત પરિવારની જમીન હડપ કરી લીધી?