અમરેલી: ગુજરાતમાં ભાજપના રાજમાં દલિતોની સ્થિતિ દિન-પ્રતિદિન ખરાબ થતી રહી છે. સવર્ણોની પાર્ટી ગણાતી ભાજપે દલિતો સાથે જોડાયેલા અનેક કેસોમાં ન્યાય નથી મળવા દીધો. એટ્રોસિટીના કેસોમાં ન્યાયની ટકાવારી ખૂબ ઓછી છે. દલિતો સાથે ભાજપ કાયમ અન્યાય કરતો આવ્યો છે અને તેનું વધુ એક ઉદાહરણ અમરેલીમાં સામે આવ્યું છે. જ્યાં ભાજપે દલિતોને ખૂલ્લેઆમ ગાળો ભાંડનાર કુખ્યાત ચેતન ધાનાણીને ફરી પ્રમુખ બનાવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર ભાજપની દલિતોના વિરોધી હોવાની છાપને છતિ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી મહિનાઓમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખેલાવાનો છે, ત્યારે રાજકીય પક્ષોમાં સંગઠનાત્મક ફેરફારોનો ધમધમાટ શરૂ થયો છે. અમરેલી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તાજેતરમાં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે ચેતન ધાનાણીની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે મહામંત્રી તરીકે શિવાંગ ત્રિવેદી અને રોમિત કોટડિયાને જવાબદારી સોંપાઈ છે. જોકે, આ નિમણૂકોમાં ચેતન ધાનાણીના નામે મોટો વિવાદ છેડ્યો છે અને ભાજપની કથિત ‘દલિત વિરોધી’ માનસિકતા ફરી એકવાર સપાટી પર આવી ગઈ છે.

ચેતન ધાનાણીએ દલિતોને બેફામ ગાળો ભાંડી હતી
ચેતન ધાનાણીની ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની નિમણૂક સામે દલિતોના વિરોધનું મુખ્ય કારણ તેનો વિવાદાસ્પદ ભૂતકાળ છે. નવેમ્બર 2025માં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ‘કિસાન મહાપંચાયત’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમરેલી તાલુકાના લાલાવદર ગામના દલિત સમાજના જીગ્નેશભાઈ અને અન્ય લોકો ગયા હતા. આ બાબતની જાણ થતા અમરેલી તાલુકા ભાજપના તત્કાલીન નેતા ચેતન ધાનાણીએ જીગ્નેશભાઈને ફોન કરીને જાતિસૂચક ગાળો ભાંડીને માર મારવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

આ ટેલિફોનિક વાતચીત દરમિયાન ચેતન ધાનાણીએ પદ અને સત્તાના નશામાં દલિત પરિવારને જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હતા. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ હતી, જેમાં સ્પષ્ટપણે સાંભળી શકાતું હતું કે કેવી રીતે એક ભાજપનો નેતા એક સામાન્ય નાગરિક અને દલિતને તેની જ્ઞાતિને લઈને નીચું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પોલીસ ફરિયાદ અને રાજીનામાનું નાટક
આ ઘટના બાદ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પીડિત જીગ્નેશભાઈ દ્વારા ચેતન ધાનાણી વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ વિવાદ એટલો વકર્યો હતો કે આમ આદમી પાર્ટીના ગુજરાત SC સેલના પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાએ રૂબરૂ લાલાવદર ગામની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. ચારેતરફ થતી થૂ-થૂ અને પક્ષની ખરડાતી છબીને બચાવવા માટે તે સમયે ભાજપે ચેતન ધાનાણીનું રાજીનામું લઈ લીધું હતું.
આ પણ વાંચો: સાચા ‘બ્રાહ્મણ’ કોણ, નહેરુ કે આંબેડકર?
ભાજપની બેવડી નીતિઃ દલિતવિરોધીને પ્રમુખ બનાવ્યો
આશ્ચર્યની વાત એ છે કે જે નેતાએ જાહેરમાં જ્ઞાતિવાદનું ઝેર ઓક્યું હતું અને જેની સામે પોલીસ કેસ થયો હતો, તેને ભાજપે ફરીથી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જેવું મહત્વનું પદ સોંપી દીધું છે. આ નિર્ણયથી એ સ્પષ્ટ થાય છે કે ભાજપ માટે ‘સબકા સાથ, સબકા વિકાસ’ માત્ર એક કાગળ પરનો નારો છે. જમીની હકીકત એ છે કે પક્ષમાં દલિતોનું અપમાન કરનારાઓને સજા આપવાને બદલે તેમને ઉચ્ચ હોદ્દાઓ આપીને નવાજવામાં આવે છે.
અમરેલીના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે ભાજપે આગામી ચૂંટણીઓમાં જ્ઞાતિગત સમીકરણો સાધવા માટે દલિત સમાજના સ્વમાનને ઠોકર મારી છે. દલિતોનું અપમાન કરનાર વ્યક્તિને સંગઠનમાં સ્થાન આપીને ભાજપે સાબિત કરી દીધું છે કે તેને સામાજિક સમરસતામાં કોઈ રસ નથી, પણ માત્ર સત્તા ટકાવી રાખવી છે.
જ્યારે જાતિવાદ, કોમવાદનુ ઈનામ પદથી મળતું હોય તો કેમ કોઈ નેતા એ ન કરે? ચેતન ધાનાણી, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખનો અત્યંત ગંદી જાતિવાચક ગાળો બોલતો વિડિયો વાયરલ થયા બાદ પક્ષે તેની પાસેથી રાજીનામુ લઈ લીધુ હતું અને હવે ભાજપે તેને ફરી ઈનામ આપ્યું છે યુવા મોરચાના પ્રમુખ બનાવીને. આ જ કારણ… https://t.co/9JBlQWVhkU pic.twitter.com/Cf9dtQaWsb
— Krishna Patel (@Krishna760046) February 13, 2026
સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ
ચેતન ધાનાણીની ફરીથી થયેલી આ નિમણૂકને કારણે અમરેલી જિલ્લાના દલિત સંગઠનો અને જાગૃત નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ભાજપ પાસે કોઈ સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોનો દુકાળ પડ્યો છે? શું દલિત વિરોધી માનસિકતા ધરાવતા નેતાઓને પદ આપવું એ ભાજપની નવી કાર્યપદ્ધતિ છે? આ નિમણૂક બાદ આગામી દિવસોમાં ભાજપને જિલ્લામાં ભારે વિરોધનો સામનો કરવો પડી શકે તેમ છે. વિપક્ષો પણ આ મુદ્દે આક્રમક થઈને ભાજપની દલિત વિરોધી નીતિને જનતા વચ્ચે લઈ જવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો: BJP MLAની ઓફિસ પાસે કોઈ તિરંગામાં દારૂની બોટલો લગાવી ગયું!











