અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ પંચશીલ સંકુલની આશ્રમ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં 26 જાન્યુઆરી 2026ને પ્રજાસત્તાક દિનના પવિત્ર અવસરે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ ‘બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ૪૩ જેટલા ઉત્સાહી લોકોએ મનુષ્યતા અને સમાનતાના સંદેશને વરેલા બૌદ્ધ ધર્મની વિધિવત દીક્ષા ગ્રહણ કરી હતી.
આ સમગ્ર આયોજનમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૩ અને તે અંતર્ગત બનેલા નિયમો ૨૦૦૮ની કાયદાકીય જોગવાઈઓનું સંપૂર્ણ પાલન કરીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીએ ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ના નાદ સાથે સમગ્ર વાતાવરણને મંગલમય બનાવી દીધું હતું.

ભન્તે પથિક શ્રેષ્ઠીજીએ ધમ્મ દીક્ષા આપી
અમદાવાદના રાણીપમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આધ્યાત્મિક ક્રાંતિનો સમન્વય જોવા મળ્યો હતો. રાણીપના પંચશીલ સંકુલ સ્થિત આશ્રમ પાર્ક સોસાયટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના અમર બુદ્ધ વિહારના આદરણીય ગુરુ ભન્તે પથિક શ્રેષ્ઠીજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ દીક્ષાર્થીઓને ત્રિશરણ અને પંચશીલના શપથ લઈ ધમ્મ દીક્ષા આપવામાં આવી હતી.
આ પણ વાંચો: બૌદ્ધ ભિખ્ખુઓની હજારો કિ.મી.ની પદયાત્રામાં ‘કૂતરું’ આકર્ષણનું કેન્દ્ર બન્યું

અમદાવાદ અને ગાંધીનગરના 43 લોકોએ દીક્ષા લીધી
આ કાર્યક્રમના સફળ આયોજનમાં ‘ધમ્મ પ્રભાત ફેરી ગ્રુપ, રાણીપ’નો સક્રિય અને મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. આ ગ્રુપના સભ્યોએ દિવસો અગાઉથી તૈયારીઓ કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. દીક્ષા ગ્રહણ કરનાર 43 લોકોમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વિવિધ પરિવારોનો સમાવેશ થાય છે, જેમણે સ્વૈચ્છિક રીતે બૌદ્ધ ધર્મના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો.
નવદીક્ષિતો તથાગત બુદ્ધ અને ડો.આંબેડકરના રસ્તે ચાલશે
કાર્યક્રમમાં આયુ. આર. કે. ચૌહાણ દ્વારા ઉમદા ભાવના સાથે ભોજન દાનની સેવા પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ અને મહેમાનો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. દીક્ષા લીધા બાદ નવ-દીક્ષિતોએ તથાગત બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો પર ચાલવાની અને સમાજમાં શાંતિ તથા ભાઈચારો ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પણ વાંચો: આ છે વિશ્વના સૌથી ધનિક બૌદ્ધ બિઝનેસમેન
મોટી સંખ્યામાં બૌદ્ધ વિચારકો ઉપસ્થિત રહ્યા
સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક કાર્યકરોએ આ પ્રસંગે હાજરી આપી દીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે, બુદ્ધનો માર્ગ એ પ્રજ્ઞા, શીલ અને કરુણાનો માર્ગ છે, જે આજના સમયમાં વિશ્વ શાંતિ માટે અત્યંત અનિવાર્ય છે. આ સમારોહ માત્ર ધર્મ પરિવર્તન નહીં, પરંતુ વૈચારિક પરિવર્તનના પ્રતીક સમાન બની રહ્યો હતો.
આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?














