જાતિવાદી તત્વોને દલિતોની જમીન પ્રત્યે એટલો બધો પ્રેમ હોય છે કે તેઓ મોકાની જગ્યાએ આવેલા દલિતોના સ્મશાનોને પણ છોડતા નથી. અનેક ગામોમાં તમે જોયું હશે કે રોડ ટચ જગ્યાએ જો દલિતોના સ્મશાન આવેલા હોય, તો સવર્ણ જાતિઓ તેને પડાવી લેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે. એક ગામમાં માથાભારે બ્રાહ્મણ શખ્સે દલિત સમાજના સ્મશાનની જમીન પર કબ્જો જમાવી ત્યાં ઘઉંનું વાવેતર કરી દીધું હતું. આ મામલે દલિતોએ કલેક્ટરને અરજી કરી છે, પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી.
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં કૈમૂર જિલ્લાના પટ્ટી ગામમાં દલિતોના સ્મશાનની જમીન પર એક બ્રાહ્મણ શખ્સે કબ્જો જમાવી દીધો છે. અહીંના બિંદા મુસાહર સહિત ઘણા દલિત પરિવારોએ આ મામલે ન્યાય માટે કલેક્ટર સાવન કુમારને અપીલ કરી છે. એવો આરોપ છે કે હરિનારાયણ તિવારી નામના વ્યક્તિએ દલિતોની સ્મશાનભૂમિ પર કબજો કર્યો, તેમાંથી માટી ખોદીને વેચી દીધી અને ખેતી શરૂ કરી. ચોંકાવનારી વાત તો એ છે કે, ખોદકામ દરમિયાન મળેલા મૃતદેહોને આરોપી બ્રાહ્મણ શખ્સે અન્ય કોઈ જગ્યાએ દફનાવવા માટે દલિત સમાજના લોકો પર દબાણ કર્યું હતું.
પોલીસ સાથે મળીને સ્મશાન પડાવી લીધું
દલિત પરિવારોનો એવો પણ આરોપ છે કે કુદરા પોલીસ સ્ટેશનના પીઆઈની મિલીભગતથી તેમની સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પટ્ટી ગામના રહેવાસી બિંદા મુસહરે જણાવ્યું કે ગામમાં મોકાની જમીન પર અમારું સ્મશાન છે. લોકો વર્ષોથી અહીં અંતિમ સંસ્કાર કરી રહ્યાં છીએ.
૨૪ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ, બિંદા મુસહરની પત્ની લાખણિયા દેવીનું અવસાન થયું અને તેમને તે જ સ્મશાનમાં દફનાવવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે હરિનારાયણ તિવારીએ આ જમીન પર કબજો કરી લીધો છે. તે સ્મશાનમાંથી માટી ખોદીને વેચી રહ્યો છે અને ઘઉંની ખેતી પણ કરી રહ્યો છે.
દલિતો પર ખોટો કેસ કરી દબાણ કર્યું
બિંદા મુસાહરે વધુમાં જણાવ્યું હતું કે સર્વે અધિકારીએ 25 જાન્યુઆરી 2025 ના રોજ જનતા દરબારમાં જમીનની માપણી માટે આદેશ અપાયો હતો. આમ છતાં, કુદ્રા પોલીસ સ્ટેશનના પીએસઆઈએ શિવ બચ્ચન મુસહર, લાલન મુસહર, રામ આશિષ મુસહર અને બિંદા મુસહર સામે ખોટો કેસ દાખલ કર્યો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે હરિનારાયણ તિવારી અને પીએસઆઈ રાજ કુમાર મિશ્રા ખોદકામ દરમિયાન મળેલા મૃતદેહોને બીજે ક્યાંક દફનાવવાનું દબાણ કરી રહ્યા હતા અને તેમને ધરપકડની ધમકી પણ આપવામાં આવી રહી છે.
સ્મશાનની જમીનનો કબજો કરી લીધો
બિંદાએ કહ્યું છે કે પટ્ટી ગામમાં આ સાર્વજનિક સ્મશાનભૂમિ છે જ્યાં લોકો કાયમથી મૃતદેહોના અગ્નિસંસ્કાર થતા આવ્યા છે અને મૃતદેહોને દફનાવતા હતા. મારી પત્ની લખનીયા દેવીનું ૨૪-૧-૨૦૨૫ ના રોજ અવસાન થયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પણ આ જ સ્મશાનમાં દફનાવવામાં આવ્યું હતું. હવે એ જમીન પર હરિનારાયણ તિવારીએ કબજો કર્યો છે અને તે કોઈને અંદર ઘૂસવા દેતો નથી. તે સ્મશાનમાંથી માટી ખોદીને વેચી રહ્યો છે અને તેણે હવે તેમાં હળથી જમીન સમતળ કરીને તેમાં ઘઉંનું વાવેતર પણ કરી દીધું છે. પોલીસ, વહીવટીતંત્ર બધું જાણે છે તેમ છતાં તેઓ અમને અન્યાય કરી રહ્યાં છે.
જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી
આ મામલે મુસહર સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો. તેમણે આ મામલાની તપાસ, જમીનની માપણી અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી છે. આ દરમિયાન ઘણી મહિલાઓ અને ગ્રામજનો પણ હાજર હતા. આ કેસ સામાજિક ભેદભાવ અને વહીવટી બેદરકારી તરફ ઈશારો કરે છે. આ મામલે વહીવટીતંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું બાકી છે. શું પીડિત પરિવારોને ન્યાય મળશે? શું ગુનેગારોને સજા થશે? આ પ્રશ્નોના જવાબ હજુ તો અનુત્તર છે.
આ પણ વાંચો: દલિતવાસમાં ભીષણ આગ લાગી, 50થી વધુ ઘરો બળીને રાખ