જાતિવાદી તત્વોને દલિતો પર અત્યાચાર કરવા માટે માત્ર કોઈ કારણ જોઈતું હોય છે. એ પછી નજીવી બાબતમાં પણ તેઓ દલિતો પર હુમલા કરતા અચકાતા નથી. આવું જ કંઈક ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક દલિત વરરાજા સાથે બન્યું હતું. અહીં એક ગામમાં પરણવા આવેલા દલિત વરરાજાની કાર સાથે એક સવર્ણ જાતિની બાળકી અથડાઈ હતી. જેને લઈને બાળકીના પરિવારજનોએ વરરાજાની કારને અટકાવીને ડ્રાઈવર સાથે માથાકૂટ કર્યા બાદ લાકડીઓ-દંડાથી હુમલો કરી દીધો હતો. જેમાં વરરાજાના અને કારચાલક ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ગામમાં આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
અલીગઢના કાઝીમાબાદની ઘટના
અલીગઢના કાઝીમાબાદ ગામના રહેવાસી સાયપાલની પુત્રી ગીતાના લગ્ન મહપુર ગામના રહેવાસી કરણ સિંહ સાથે નક્કી થયા હતા. લગ્ન સમારોહ બુધવારે હતો. જાન રાત્રે લગભગ આઠ વાગ્યે આવી પહોંચી હતી. વરરાજા, તેની બહેન અને અન્ય લોકો કારમાં સવાર હતા.
ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે, ચોકડી પર વળતી વખતે વરરાજાની કાર એક બાળકી સાથે અથડાઈ હતી. ત્યારબાદ બાળકીના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા અને તેમણે વરરાજાની કારના ડ્રાઈવર અભિષેક સાથે ઝઘડો કર્યો હતો. એ દરમિયાન વરરાજા પણ કારમાંથી નીચે ઉતરીને મામલો થાળે પાડવા લાગ્યા હતા. જો કે માથાભારે તત્વોએ તેમની વાત સાંભળવાને બદલે ડ્રાઈવર અને વરરાજાને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આરોપીઓએ લાકડીઓ-દંડાથી બંનેને માર્યા હતા અને પથ્થરમારો કરીને કારના કાચ તોડી નાખ્યા હતા.
હુમલામાં વરરાજા ઘાયલ થતા હોસ્પિટલ લઈ જવાયા
ઘટનાની જાણકારી મળતા જ કન્યા પક્ષના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ વરરાજા અને ડ્રાઈવરને બચાવી લીધા હતા. ઘટનાની માહિતી મળતાં જ અતરૌલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ વરરાજા અને કાર ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટના બાદ જાન પરણ્યા વિના જ પાછી ફરી ગઈ હતી. જેના કારણે દીકરીના પિતાએ આખી જિંદગી મહેનત કરીને જે ભેગી કરી મૂડી વેડફાઈ ગઈ હતી.
આ પણ વાંચો: પાટણના ભીલવણમાં લગ્નમાં ડીજે મુદ્દે દલિતો પર મુસ્લિમોનો હુમલો
કન્યાના પિતાએ દેવું કરીને લગ્ન ગોઠવ્યા હતા
કન્યાના પિતા સત્યપાલ ઈંટના ભઠ્ઠામાં મજૂર તરીકે કામ કરે છે. ગીતા તેમના એક પુત્ર અને છ પુત્રીઓમાં સૌથી મોટી છે. ગામના લોકોની મદદથી અને મહેનતથી ભેગા કરેલા પૈસાથી તેમણે જેમતેમ કરીને ગીતાના લગ્ન ગોઠવ્યા હતા. પરંતુ જાતિવાદી તત્વોના હુમલા બાદ જાન પાછી ફરી જતા સત્યપાલનું દીકરીના સરસ રીતે લગ્ન કરવાનું સપનું તૂટી ગયું હતું.
પોલીસની સુરક્ષામાં લગ્ન કરવાની તૈયારી
આ ઘટનામાં ઘાયલ થયેલા વર પક્ષના બધા લોકો રાત્રે પોલીસ સ્ટેશનમાં ભેગા થયા હતા. તેમને એ વાતની ચિંતા સતાવી રહી છે કે હવે લગ્ન કેવી રીતે થશે. આવી સ્થિતિમાં, અધિકારીઓએ તેમને ખાતરી આપી છે કે ગામમાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે અને વરરાજાની સારવાર બાદ પોલીસ સુરક્ષામાં લગ્ન કરવામાં આવશે.
મહિલાઓ ખેતરોમાં દોડી જઈને જીવ બચાવ્યો
આ ઘટનાના સાક્ષીઓનું કહેવું છે કે આરોપીઓએ વરરાજાના ગળામાંથી સિક્કાઓનો હાર કાઢી લીધો હતો. એટલું જ નહીં, કન્યા માટે લાવવામાં આવેલી ચીજવસ્તુઓ, જે કારમાં રાખેલી હતી તે પણ આરોપીઓ લૂંટીને લઈ ગયા હતા. બીજી તરફ મારામારી દરમિયાન કારમાં બેઠેલી મહિલાઓ ડરી ગઈ હતી અને તેમણે ખેતરોમાં દોડી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લગ્ન સમારોહ અટકે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: પાટડીના પાનવામાં 5 ભરવાડોએ દલિત યુવકના બંને પગ ભાંગી નાખ્યા