Chhattarpur News: આભડછેટનો એરું વધુ એક નિર્દોષ બાળકને ભરખી ગયો છે. દલિત સમાજમાંથી આવતા બાળકને પરિવારે સામાન ખરીદવા માટે દુકાને મોકલ્યો હતો, જ્યાં તેણે દુકાનમાં રાખેલા સામાનને સ્પર્શ કર્યો હતો. જેનાથી જાતિવાદી દુકાનદારે તેને માર મારી અપમાનિત કર્યો હતો. આ ઘટનાની કુમળી વયના બાળકને એટલું બધું લાગી આવ્યું હતું કે, તેણે ઘરે જઈને ગળેફાંસો ખાઈ લીધો હતો.
ઘટના મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બેડી ગામની છે. અહીં આભડછેટનું એક ભયાનક સ્વરૂપ જોવા મળ્યું. દલિત પરિવારનો 12 વર્ષીય અંશુ આહિરવારે ગામના રમા શુક્લાની દુકાને અમુક સામાન લેવા ગયો હતો. જ્યાં તેણએ દુકાનમાં રાખેલી કેટલીક ચીજવસ્તુઓને સ્પર્શ કર્યો હતો. જેના કારણે દુકાનદાર રમા શુક્લાએ જાતિવાદી અપશબ્દો બોલીને બધાં વચ્ચે માર માર્યો હતો. આ ઘટનાની નાનકડા અંશુ પણ એટલી ઉંડી અસર થઈ કે તેણે ઘરે આવીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ 8 સવર્ણ શિક્ષકોએ મળી દલિત વિદ્યાર્થીના બંને હાથ ભાંગી નાખ્યા
મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના બેડી ગામે દુકાને સામાન લેવા આવેલ દલિત બાળક સામાનને અડકી જતા બ્રાહ્મણ દુકાનદારે તેને માર માર્યો. જેનાથી દલિત બાળક અંશુને એટલું લાગી આવ્યું કે તેણે ઘેર જઈને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. #MP #Chhattarpur #dalit_suicide #dalit_live_Matters #atrocity pic.twitter.com/MGvUnL2LA1
— khabar Antar (@Khabarantar01) March 24, 2025
બીજી તરફ, પરિવારનો આરોપ છે કે બાળકના શરીર પર ગંભીર ઈજાઓ હોવા છતાં પોલીસે ન તો તેમનું કોઈ નિવેદન નોંધ્યું છે કે ન તો કોઈ કાર્યવાહી કરી છે. પરિવારે પોસ્ટમોર્ટમ દરમિયાન વીડિયોગ્રાફીની માંગ કરીને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે.
ભીમ આર્મીએ વિરોધ પ્રદર્શન કર્યું
બીજી તરફ આ ઘટનાને લઈને ચાંદલાના ભૂતપૂર્વ ધારાસભ્ય કેઆરડી પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ભીમ આર્મીના કાર્યકરો છત્રસાલ ચોક ખાતે એકઠા થયા હતા અને સમગ્ર ઘટનામાં ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શ કર્યું હતું. ભીમ આર્મીએ જાતિવાદી દુકાનદાર રમા શુક્લાની તાત્કાલિક ધરપકડ કરવાની સાથે તેના પર એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધીને જેલમાં ધકેલી દેવાની માંગ કરી છે.
એ દરમિયાન સ્થળ પર પહોંચેલા છતરપુર સીએસપી અમન મિશ્રાએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું અને સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો. એ દરમિયાન સિટી પોલીસ સ્ટેશનના ટીઆઈ અરવિંદ ડાંગી, સિવિલ લાઇન ટીઆઈ વાલ્મિક ચૌબે અને લવકુશનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ફોર્સ સાથે સ્થળ પર હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ દુશ્મનાવટમાં સવર્ણ શખ્સે દલિત બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું