ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં સવાયા દલિત સાહિત્યકાર દિવંગત પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં એક શોકસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગઢવી સાહેબના ચાહકો-ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.
કોડીનાર ખાતે આવેલા દિવંગત પ્રો. બી.એસ. કાતિરા સાહેબ લાઈબ્રેરીમાં આયોજિત શોકસભામાં બે મિનિટનું મૌન પાળીને દિવંગત પ્રવિણ ગઢવી સાહેબના દલિત સાહિત્યના વિકાસમાં રહેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. તેમની તસવીરને પુષ્પ અર્પણ કર્યા બાદ જાણીતા કર્મશીલ ડૉ. પ્રૉ. પ્રવિણ પી. રાઠોડે તેમના પ્રવચનમાં ગઢવી સાહેબે ગુજરાતી દલિત સાહિત્યમાં કરેલા ખેડાણ અને તેમની દલિતો પરત્વેની નિસ્બતને તાદર્શ્ય કરી હતી.
આ પણ વાંચો: પ્રવીણ ગઢવી સાહેબના આ સંસ્મરણો કાયમ યાદ રહેશે
જાણીતા દલિત કવિ બાલુદય વાઘેલાએ ‘દલિતોની વેદનાનો સ્વર પ્રવીણ ગઢવીની કલમે કવિતામાં આવે ત્યારે તેનું મહત્વ કેવી રીતે વધી જાય છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ગીરસોમનાથ જિલ્લાનાં SC/ST ઉત્કર્ષ મંડળનાં ઉપપ્રમુખ રમેશ વાઢેળે દિવંગત પ્રવિણ ગઢવી સાહેબના યોગદાનને યાદ કરીને અંતરભીની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે જે કોઈ પ્રતિભા દલિતોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને સાહિત્ય સર્જન કરે કે વંચિતોની વાત કરે તેનાં પોંખણા કરવા જોઈએ.
યુવા લેખક મયૂર વાઢેરે પ્રવિણ ગઢવી સાહેબ સાથેની છેલ્લી મુલાકાત યાદ કરીને તથા તેમની કવિતાઓનું કાવ્યપઠન કરીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. જાણીતા વિચારક એ.કે. વાઢેળ સાહેબે પ્રવિણ ગઢવી સાહેબે સર્જેલા સાહિત્યના વાંચન અંગે વિસ્તૃત વાત કરી હતી.
આ શોકસભામાં પીઢ સામાજિક અગ્રણી માલાભાઈ વાંજા, ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક SC ST ઉત્કર્ષ મંડળના પ્રમુખ ડી.ડી. મકવાણા, ઉત્કર્ષ મંડળના કોડીનાર તાલુકાના મહામંત્રી અમુભાઈ સોસા, પી.ડી. વાઢેળ, કાનજીભાઈ ચુડાસમા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું