નવી દિલ્હી: ભારતીય ન્યાયતંત્રમાં સામાજિક વિવિધતા અને પ્રતિનિધિત્વને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચાઓ જાગી છે. કેન્દ્ર સરકારે સંસદમાં સ્વીકાર્યું છે કે વર્ષ 2021 થી જાન્યુઆરી 2026 વચ્ચે દેશની વિવિધ વડી અદાલતોમાં જે જજોની નિમણૂક કરવામાં આવી છે, તેમાં લગભગ 80 ટકા જજો ‘ઉચ્ચ’ અથવા કથિત ‘સવર્ણ’ જાતિના છે. આ આંકડા સામે આવ્યા બાદ ન્યાયતંત્રમાં અનામત અને સમાન પ્રતિનિધિત્વની માંગણી તેજ બની છે.
સંસદમાં રજૂ કરાયેલા આંકડાની વિગતો
રાજ્યસભામાં ડીએમકે (DMK) સાંસદ પી. વિલ્સન દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલે આ માહિતી રજૂ કરી હતી. સરકારના જણાવ્યા અનુસાર, 2021 થી જાન્યુઆરી 2026 ના સમયગાળા દરમિયાન હાઈકોર્ટમાં કુલ 593 જજોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકોનું સામાજિક વર્ગીકરણ નીચે મુજબ છે:

• અનુસૂચિત જાતિ (SC): 26 જજ (4.38%)
• અનુસૂચિત જનજાતિ (ST): 14 જજ (2.36%)
• અન્ય પછાત વર્ગ (OBC): 80 જજ (13.49%)
• અન્ય જ્ઞાતિ (General): આશરે 473 જજ (79.76%)
• લઘુમતી સમાજ: 37 જજ
• મહિલા જજ: 96
આ પણ વાંચો: ઇન્ટરનેટ સમાજને ભાગલા તરફ દોરી રહ્યું છે: CJI બી.આર.ગવઈ

આ અસંતુલન માટે કૉલેજિયમ સિસ્ટમ જવાબદાર
કેન્દ્રીય મંત્રી મેઘવાલે આ અસંતુલન માટે ન્યાયતંત્રની વર્તમાન કાર્યપદ્ધતિ તરફ નિર્દેશ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ‘મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર’ (MoP) મુજબ, હાઈકોર્ટમાં જજોની નિમણૂક માટેના નામો મોકલવાની પ્રાથમિક જવાબદારી જે-તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની હોય છે. સુપ્રીમ કોર્ટ માટે આ જવાબદારી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની હોય છે.
સરકારે જણાવ્યું કે તેઓ ન્યાયતંત્રમાં સામાજિક વિવિધતા વધારવા માટે કટિબદ્ધ છે અને સતત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને આગ્રહ કરી રહ્યા છે કે તેઓ નામોની ભલામણ કરતી વખતે SC, ST, OBC, લઘુમતી અને મહિલા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપે.
ડીએમકે સાંસદ પી. વિલ્સનનો ઉગ્ર વિરોધ
સરકારના આ જવાબ પર પ્રતિક્રિયા આપતા ડીએમકે નેતા પી. વિલ્સને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે, ભારત જ્યારે બંધારણના 76માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે ન્યાયતંત્રમાં વિવિધતાનો આ અભાવ લોકશાહી માટે ચિંતાજનક છે.
આ પણ વાંચો: ધર્મ અને જાતિથી પરે બાળકો જ દેશની અસલી આશા છે: હાઈકોર્ટ જજ
તેમણે આરોપ લગાવ્યો કે, “ન્યાયતંત્રમાં પછાત અને શોષિત વર્ગોનું ઓછું પ્રતિનિધિત્વ એ યોગ્ય ઉમેદવારોની અછતને કારણે નથી, પરંતુ તેમને પદ્ધતિસર રીતે દૂર રાખવાના નિર્ણયનું પરિણામ છે. જ્યારે ન્યાયાધીશોનો સમૂહ સામાજિક રીતે એકસમાન (Homogeneous) હોય, ત્યારે તેઓ સમાજના વિવિધ મૂલ્યો અને સાંસ્કૃતિક પાસાઓને યોગ્ય રીતે સમજી શકતા નથી.”
પી.વિલ્સને આંકડાઓ ટાંકીને ગંભીર આરોપો મૂક્યા
પી. વિલ્સને અગાઉના વર્ષોના આંકડા ટાંકીને જણાવ્યું કે 2018 થી ઓક્ટોબર 2024 વચ્ચે પણ સ્થિતિ આવી જ હતી. તે સમયે પણ લગભગ 82.89% જજો ઉચ્ચ જ્ઞાતિના હતા. તેમણે દાવો કર્યો હતો કે જો ન્યાયતંત્રમાં સામાજિક વિવિધતા નહીં હોય, તો દલિતો અને પછાત વર્ગોના અધિકારોનું રક્ષણ જોખમમાં મુકાઈ શકે છે, કારણ કે કાયદાનું અર્થઘટન ઘણીવાર ન્યાયાધીશની પોતાની પૃષ્ઠભૂમિ અને દ્રષ્ટિકોણ પર આધારિત હોય છે.
બંધારણીય સુધારાની માંગ ઉઠી
આ અસંતુલનને દૂર કરવા માટે હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ અનામત જેવી વ્યવસ્થા અથવા આ પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવા માટે બંધારણીય સુધારાની માંગ ઉઠી રહી છે. વર્તમાન કોલેજિયમ સિસ્ટમની નિષ્પક્ષતા પર સવાલો ઉભા કરતા વિલ્સને કહ્યું કે સામાજિક વિભાજનથી પર જઈને ભરતી કરવામાં આ સિસ્ટમ નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો: 8 વર્ષમાં દેશની હાઈકોર્ટોમાં 847 જજો નિમાયા, તેમાં SC માત્ર 4 ટકા!










