દેશમાં ન્યાયતંત્ર પર સતત ભાજપ-RSS ની દખલગીરી વધી રહી હોવાની ચર્ચા થતી રહે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટન જજ ઉજ્જલ ભુઈયાએ પણ કહ્યું છે કે, સરકારની વિરોધમાં ચૂકાદા આપતા જજોની બદલી કરી દેવામાં આવે છે. ત્યારે હવે આવી જ વાત ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ કરી છે. યતીન ઓઝાએ કહ્યું કે, ‘ન્યાયતંત્રમાં હાલ ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે.’
આજે ગુજરાત હાઇકોર્ટમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એ દરમિયાન ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ સહિત ન્યાયાધીશો, વકીલો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ ન્યાયતંત્ર અંગે સ્ફોટક અને વિવાદિત નિવેદન આપ્યું હતું. યતીન ઓઝાએ કહ્યું કે ‘ન્યાયતંત્રમાં હાલ ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે.’

આ પણ વાંચો: મોરબીના ઠીકરીયાળીમાં પહેલીવાર દલિતવાસમાં પાણી પહોંચ્યું!
યતીન ઓઝાએ ન્યાય પ્રક્રિયામાં સરકારની વધતી દખલગીરી અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે,”દેશના ન્યાયતંત્રમાં અત્યારે સૌથી વધારે ચિંતાની બાબત સરકારી દખલગીરી છે. મારી દ્રષ્ટિએ આવી સ્થિતિ ઈમરજન્સીમાં પણ નહોતી.”

વધુમાં યતીન ઓઝાએ જણાવ્યું કે ‘ન્યાયતંત્ર લોકશાહીના સૌથી મજબૂત સ્તંભ તરીકે કામ કરે છે પરંતુ જો તેમાં દબાણ કે હસ્તક્ષેપ થશે તો લોકશાહીની મૂળ ભાવના પર પ્રહાર થશે. ન્યાયાધીશોએ કોઇપણ પ્રકારના દબાણ વિના નિર્ભયપણે નિર્ણય લઇ શકે તે અત્યંત જરૂરી છે.’
યતીન ઓઝાએ વધુમાં જણાવ્યું કે, “હાલમાં એક ન્યાયમૂર્તિએ બીજી હાઈકોર્ટમાં કહ્યું કે, ડર સરકારનો નથી, ડર સુપ્રીમ કોર્ટનો છે અને સરકારના કહેવાથી મને અહીંથી ઊંચકીને સિક્કિમ મુકી દેશે. આ જ વાત બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુયાને કહી છે, આ વાત ખોટી નથી.”
યતીન ઓઝાએ ન્યાયાધીશોને અપીલ કરતા કહ્યું કે તેઓ ભારતના બંધારણના સ્વપ્નને સાકાર કરવા માટે કાર્ય કરે
આ પણ વાંચો: સુપ્રીમના જજે કહ્યું, ‘સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી થાય છે!’










