કડીના ધારાસભ્ય (Kadi MLA) અને ભાજપના નેતા કરશનભાઈ સોલંકી (Karshan Solanki) નું કેન્સરની લાંબી બીમારી બાદ આજે અવસાન (Passes Away) થયું છે. નગરાસણ ગામના વતની કરશનભાઈ છેલ્લી બે ટર્મથી કડી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ‘108’ તરીકે જાણીતા કરશનભાઈ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા.
ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે અંતિમશ્વાસ લીધા હતા. તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળી હતી અને તેમના વતન નગરાસણમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતાં જ મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.
કડીનાં ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીનાં દુખદ નિધનથી વ્યથિત છું, ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. એમણે કરેલા સેવાનાં કાર્યોની સુગંધ સદાય ચોમેર પ્રસરતી રહેશે.
ઓમ શાંતિ ! pic.twitter.com/Ds7jN1uMLk
— C R Paatil (@CRPaatil) February 4, 2025
કરશનભાઈએ તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન કડી વિસ્તારના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ સતત બે ટર્મથી વિધાનસભામાં ચૂંટાઈને આવતા હતા, જે તેમની લોકપ્રિયતા અને કાર્યક્ષમતાનો પુરાવો છે. તેમના અવસાનથી ગુજરાત રાજકારણમાં ખાસ કરીને દલિત રાજકારણમાં એક અનુભવી નેતાની ખોટ સર્જાઈ છે.
સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા કડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. ભાજપને એમની સદાય ખોટ વર્તાશે.
ઈશ્વર દિવંગત આત્માને સદ્ગતી અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ… pic.twitter.com/vgyVRDz45n
— Bhanuben Babariya (@BhanubenMLA) February 4, 2025
કરશન સોલંકી પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે લોકપ્રિય નેતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા. તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા. લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા.
કરશનભાઇ વ્યવસાયે ખેડૂત હતા અને ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા. માત્ર શાળાકીય શિક્ષણ મેળવનાર કરશનભાઇ દરેક જગ્યાએ ચાલતા જતા હતા. તેઓ આખી જિંદગી કડી તાલુકાના નગરાસણ ગામમાં રહ્યા અને 60 વર્ષની વયે કડીના ધારાસભ્ય બન્યા. રસપ્રદ વાત એ છે કે, આ એ સીટ હતી જ્યાંથી લોકપ્રિય ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા હારી ગયા હતા.
કડી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે, તથા સ્વજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ 🙏 pic.twitter.com/tcw93LEdAX— Harsh Sanghavi (@sanghaviharsh) February 4, 2025
તેમના અવસાનના સમાચાર મળતાં જ ભાજપના કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. ભાજપના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના નિધનને લઇ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરશનભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Read Also: એકલપંડે ન્યાયની લડત લડનાર Zakia Jafri નું 86 વર્ષની વયે નિધન