Dalit News: એકબાજુ દેશભરમાં બહુજન સમાજ તેમના ઉદ્ધારક મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો હતો. બીજી તરફ એક ગામમાં દલિતો ખરા અર્થમાં ડો.આંબેડકરને ચીંધેલી દિશામાં આગળ વધીને સવર્ણ હિંદુઓની દાદાગીરીનો અંત લાવીને ડો.આંબેડકર લિખિત બંધારણનું રાજ સ્થાપિત કરવા મથી રહ્યા હતા. આ ગામમાં આઝાદીના 78 વર્ષ પછી પણ કોઈ દલિત વરરાજા ઘોડી પર બેસીને લગ્ન કરવા જઈ શક્યા નહોતા. એ પરંપરાને એક દલિત યુવકે ગઈકાલે તોડી નાખી.
સવર્ણ હિંદુઓની દાદાગીરીને ખૂલ્લો પડકાર ફેંકીને દલિત વરરાજા 100 જેટલા પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે ઘોડી પર બેસીને પરણવા નીકળ્યા હતા. એ સાથે જ સદીઓ જૂની સવર્ણ હિંદુઓની દાદાગીરીનો પણ અંત આવ્યો હતો અને ‘જય ભીમ’ના નારાઓથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા
મામલો મહિલાઓ પરના અત્યાચારો માટે કુખ્યાત રાજસ્થાનનો છે. અહીંના ખેડા નિહાલપુરામાં આઝાદીના 78 વર્ષ બાદ દલિત વરરાજા ઘોડી પર બેસીને પરણવા નીકળ્યા હતા. અત્યાર સુધી અહીં સવર્ણ હિંદુઓની દાદાગીરીને કારણે કદી પણ કોઈ દલિત વરરાજા ઘોડી પર બેસીને વરઘોડો કાઢી શક્યા નહોતા. પરંતુ એક દલિત યુવકે આ પરંપરા તોડી નાખી. 100 જેટલા પોલીસ જવાનોની હાજરીમાં દલિત વરરાજાનો વરઘોડો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો અને સવર્ણ હિંદુઓની દાદાગીરીનો ભારતના બંધારણ સામે પરાજય થયો હતો.
રાજસ્થાનના કોટપુતલી પ્રદેશના ખેડા નિહાલપુરા ગામમાં શનિવારનો દિવસ ઇતિહાસ બની ગયો, અહીં આઝાદી પછી પહેલી વાર એક દલિત વરરાજાએ ઘોડી પર સવારી કરી. આ લગ્નમાં આઝાદીકાળથી ચાલી આવતી કથિત પરંપરા પણ તૂટી ગઈ હતી, જેને ગામના માથાભારે સવર્ણ હિંદુઓએ દાદાગીરીથી સ્થાપિત કરી હતી અને તેને દલિતો હજુ સુધી પડકારી નહોતા શક્યા. આ માત્ર એક પરંપરા નહોતી, પરંતુ સમાનતા, બંધારણીય અધિકારો અને સામાજિક પરિવર્તનની જીત હતી.
આ પણ વાંચો: પ્રો. જી.એન. સાંઈબાબાની પુણ્યતિથિ કાર્યક્રમ મુદ્દે 10 વિદ્યાર્થીઓ સામે FIR
100થી વધુ પોલીસ જવાનોને સુરક્ષા પુરી પાડી
દલિત સમાજમાંથી આવતા વરરાજા કાલુરામ આર્યે તેમના લગ્નમાં જાતિવાદી સવર્ણ હિંદુઓ હુમલો કરી શકે છે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ સુરક્ષા માંગી હતી. ફરિયાદ બાદ, જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું હતું. ડીએસપી રાજેન્દ્ર બુરદકના નેતૃત્વ હેઠળ, સરુંદ અને કોટપુતલી પોલીસ સ્ટેશન અને સાયબર યુનિટ સહિત 100 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. મામલતદાર, નાયબ મામલતદાર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે સતત હાજર રહ્યા હતા.
વરઘોડો શાંતિથી પસાર થયો અને સવર્ણોની દાદાગીરી બંધ થઈ
બપોરે લગભગ 3:30 વાગ્યે પરંપરાગત પોશાક પહેરેલા દલિત વરરાજા ઘોડી પર સવાર થઈને ગામની શેરીઓમાંથી પસાર થયા હતા. પોલીસની હાજરીને કારણે આખો માર્ગ શાંતિ અને સહકારથી ભરેલો હતો. ક્યાંય પણ કોઈ વિરોધ થયો ન હતો, અને વરઘોડો સુરક્ષિત રીતે પસાર થયો હતો. સવર્ણ હિંદુઓની દાદાગીરી, દબાણ અને ભયને કારણે વર્ષોથી દલિતો આ ગામમાં લગ્ન દરમિયાન ઘોડી પર બેસી શકતા નહોતા. પરંતુ એક દલિત યુવકની હિંમત અને વહીવટીતંત્રના સહકારને કારણે સવર્ણ હિંદુઓની આ દાદાગીરીનો અંત આવ્યો હતો.
આ પણ વાંચો: ભાઈને પકડવા આવેલી પોલીસને જોઈ દલિત કિશોર નદીમાં કૂદી જતા મોત
દલિત સમાજના સંગઠનોએ વરરાજાને હિંમત આપી
આ ઐતિહાસિક પ્રસંગે સામાજિક એકતાનું એક અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું. પ્રાગપુરાના વકીલ દેવાંશ સિંહ શેખાવતે ઘોડાની લગામ પકડી અને ભાઈચારાનો સંદેશ આપ્યો. નિવૃત્ત આર્મી મેન સરજીત બોપિયા, સામાજિક કાર્યકર રાજેશ કુમાર હાડિયા, મેઘવાળ વિકાસ સમિતિ અને ડૉ. ભીમરાવ આંબેડકર વિચાર મંચ કોટપુતલીના પ્રમુખ જગદીશ મેઘવાળ સહિત ઘણા લોકોએ વિશ્વાસ અને સૌહાર્દનું વાતાવરણ ઉભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ખેડા નિહાલપુરાની આ ઘટનાએ ડૉ. ભીમરાવ આંબેડકરના સમાનતા અને બંધારણીય અધિકારોના સંદેશને ખરેખર જીવંત કર્યો હતો. 6ઠ્ઠી ડિસેમ્બરે મહાનાયક ડો.આંબેડકરને આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે?
આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકર: દલિત નેતા કે રાષ્ટ્ર નેતા?













ઘોડી ઉપર બેસવા માટે પોલીસ હાજર હોય એના કરતાં પોલીસ ની ગેરહાજરી માં આવું શકય બને ?