Agra: દલિતો પરના અત્યાચારો વિશે આપણે દરરોજ અસંખ્ય અહેવાલો વાંચીએ છીએ. આવી ઘટનાઓમાં મનુવાદી માનસિકતા ધરાવતા તત્વો સામેલ હોય છે. આ તત્વો જાતિ ભેદભાવ દાખવવામાં નિર્દોષ બાળકોને પણ છોડતા નથી. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના આગ્રાથી પ્રકાશમાં આવી છે, જ્યાં એક શાળાના શિક્ષકે 14 વર્ષના દલિત વિદ્યાર્થીને ફક્ત એટલા માટે માર માર્યો કારણ કે તે પીવાના પાણીના નળને અડી ગયો હતો.
શિક્ષકે દલિત વિદ્યાર્થીને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાન કર્યું. હવે આ મામલે શિક્ષક અને અધિકારી પર એફઆઈઆર નોંધાઈ છે. ઘટના આગ્રાના મૈનપુરીના કુરાવલી વિસ્તારમાં બની હતી. દલિત વિદ્યાર્થીના મોટા ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ઘટનાની વિગતો આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘ભલે સસ્પેન્ડ કરી દો, બોલો ડૉ.આંબેડકરનું નામ કેમ ન લીધું?’
ફરીથી સ્કૂલે ન આવવાની ધમકી આપવામાં આવી
પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે તે લંચ બ્રેક દરમિયાન પાણી પીવા ગયો હતો અને ત્યાં તેણે જોયું કે નળની પાઈપ તૂટેલી છે. તેથી તે પાઈપ રીપેર કરવા લાગ્યો. પરંતુ શાળા સમિતિના સભ્ય રાજીવ વર્મા અને તેના વર્ગ શિક્ષક, સુખબીર સિંહે તેના પર જ પાઇપ તોડવાનો આરોપ લગાવ્યો અને તેને સખત માર માર્યો, ‘તારી હિંમત કેવી રીતે થઈ નળને અડવાની?’ તેમ કહીને જાતિસૂચક અપશબ્દો બોલી તેનું અપમાન કર્યું અને ફરીથી સ્કૂલે ન આવવાની ધમકી આપી. ત્યારબાદ પીડિત દલિત વિદ્યાર્થીએ આ ઘટના વિશે તેના પરિવારને જણાવ્યું. ત્યારબાદ તેના મોટા ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

હજુ સુધી કોઈની ધરપકડ નહીં
હાલમાં, કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પીડિત વિદ્યાર્થીના નિવેદન બાદ, પોલીસે બંને આરોપીઓ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. શાળા સમિતિના સભ્ય રાજીવ વર્માએ પણ જણાવ્યું છે કે તેના દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા છે અને તે ઘટના સમયે શાળામાં હાજર પણ નહોતો. જોકે, પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ બાદ સ્પષ્ટ થશે કે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે. હાલમાં, કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે પીડિત પરિવારને ખાતરી આપી છે કે આરોપી ટૂંક સમયમાં પોલીસ કસ્ટડીમાં હશે.
આ પણ વાંચો: રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધી, આ દલિતો જાતિવાદનો ભોગ બન્યા











