મનુવાદી પાણી પીવા જેવી સામાન્ય બાબતમાં પણ દલિતો સાથે કઈ હદે જાતિવાદી વર્તન કરે છે આપણે છેક ડો.આંબેડકરના મહાડ જળસત્યાગ્રહ સમયથી જોતા આવ્યા છીએ. હમણાં એક રિપોર્ટ આવ્યો તેમાં ગુજરાતમાં 71 ટકા દલિતો સાથે આજે પણ જાહેર પાણીના નળ પર આભડછેટ પાળવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પાણીને લઈને વધુ એક અસ્પૃશ્યતાનો કિસ્સો સામે આવ્યો છે અને તેમાં એક શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને તાલિબાની સજા આપી હતી. તેને વર્ગખંડમાં બંધ કરી દેવામાં આવ્યો અને એટલી ખરાબ રીતે માર મારવામાં આવ્યો કે તેની બે આંગળીઓ તૂટી ગઈ. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
દલિત વિદ્યાર્થીને પાણી પીવાની સજા મળી
ઘટના ફરી એકવાર જાતિવાદના કેન્દ્ર રહેલા ઉત્તર પ્રદેશની છે. અહીં મૈનપુરી જિલ્લામાં, 12મા ધોરણમાં ભણતા એક દલિત વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો, કારણ એટલું જ હતું કે તેણે તરસ લાગતા સવર્ણ શિક્ષકની બોટલમાંથી પાણી પીધું હતું. એ પછી શિક્ષકે તેને જાતિસૂચક અપશબ્દો કહીને તેને ક્લાસમાં બંધ કરી દીધો અને એટલો માર માર્યો કે તેનું શરીર વાદળી થઈ ગયું.
શિક્ષકની બોટલ હોવાની વિદ્યાર્થીને ખબર નહોતી
મૈનપુરી જિલ્લાના કથૌલી ગામના રહેવાસી દશરથ સિંહનો પુત્ર નિશાંત શ્રી નરેન્દ્ર પ્રતાપ સિંહ મેમોરિયલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. નિશાંતે જણાવ્યું કે તે 29 માર્ચે શાળાએ ગયો હતો. ગરમીને કારણે તેને ખૂબ તરસ લાગી હતી, તેથી તેણે વર્ગખંડમાં ટેબલ પર રાખેલી બોટલમાંથી પાણી પીધું. તેને ખબર નહોતી કે આ પાણીની બોટલ શિક્ષકની છે.
શિક્ષકે રૂમમાં પુરીને ઢોર માર માર્યો
એવું કહેવાય છે કે શિક્ષક મંગલ સિંહ શાક્યએ નિશાંતને બોટલમાંથી પાણી પીતા જોયો હતો. તેના આ કૃત્યથી શિક્ષક મંગલસિંહ ગુસ્સે થયો. તેણે પાણીની બોટલ ફેંકી દીધી અને નિશાંતને મારવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: દલિત યુવકને પોલીસ પકડી ગઈ, બે દિવસ પછી સીધી લાશ મળી
નિશાંતે વારંવાર સોરી કહી માફી પણ માંગી, પરંતુ આરોપી શિક્ષક તેને ખેંચીને ક્લાસની બહાર લઈ ગયો અને દરવાજો બંધ કરી દીધો.
“બોટલ અભડાઈ ગઈ, હવે પાણી કેવી રીતે પીવું?”
નિશાંતે કહ્યું કે શિક્ષકે તેને નિર્દયતાથી માર માર્યો. તે ચીસો પાડતો રહ્યો પણ શિક્ષકે તેના પર દયા ન દાખવી. નિશાંતના જણાવ્યા મુજબ મંગળસિંહ માર મારતી વખતે રાડો પાડતો હતો કે, “મારી બોટલ અભડાઈ ગઈ, હવે હું પાણી કેવી રીતે પીશ?”
પોલીસે ફરિયાદ ન લીધી
જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેના પરિવારના સભ્યો તેના શરીર પર વાદળી રંગના નિશાન જોઈને ચોંકી ગયા. નિશાંતની આંગળીઓ પણ કામ કરતી નહોતી. પરિવારના સભ્યો તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે તેની બે આંગળીઓ તૂટી ગઈ છે. નિશાંત સાથેની આ ક્રૂરતા બાદ પરિવારના સભ્યો પણ ગુસ્સે ભરાયા છે. એ પછી નિશાંત પરિવારજનો સાથે સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આખી ઘટના જણાવી. જો કે પોલીસે ફરિયાદ નોંધી નહોતી. છતાં પોલીસે કહ્યું હતું કે, જલદી આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Somnath Suryavanshi ના મોતમાં પોલીસ જવાબદાર, તપાસમાં ખુલાસો