દલિતો સાથે જાતિવાદી ગુંડાઓને ક્યારે કઈ બાબતે વાંધો પડી જાય તે કહી શકાય તેમ નથી. આવી જ એક ઘટના યુપીના ગોરખપુરમાંથી સામે આવી છે. આ વિસ્તાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો મત વિસ્તાર છે. ગોરખપુર જિલ્લાના સહજનવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અચિયાપાર ગામમાં એક દલિત યુવકને માત્ર એટલા માટે જાતિવાદી તત્વોએ માર માર્યો, કારણ કે તે લગ્નની કંકોતરી વહેંચવા નીકળ્યો હતો. આરોપીઓએ યુવકને રસ્તા વચ્ચે રોકીને “તમે પણ લગ્નમાં કંકોતરી છપાવવા લાગ્યા?” કહીને ઢોર માર માર્યો હતો. સવાલ એ થાય કે શું દલિતો પોતાના લગ્ન પ્રસંગોમાં કંકોતરી છપાવે તે પણ જાતિવાદી તત્વોને ગમતું નથી. એક તરફ દેશ ડિજિટલ ઇન્ડિયા અને આધુનિકતાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ જમીની હકીકત એ છે કે દલિત સમાજનો કોઈ વ્યક્તિ પોતાના પરિવારના શુભ પ્રસંગની કંકોતરી વહેંચવા નીકળે તે પણ અમુક મનુવાદી માનસિકતા ધરાવતા તત્વો સહન કરી શકતા નથી.
પૂર્વ આયોજિત કાવતરું અને જાતિસૂચક અપમાન
મળતી માહિતી મુજબ, સ્વર્ગસ્થ લક્ષ્મણ પ્રસાદનો પુત્ર સંજય કુમાર ગત રવિવારે સવારે આશરે 11:30 વાગ્યે પોતાના બાઇક પર સંબંધીઓના ઘરે લગ્નની કંકોતરી વહેંચવા માટે નીકળ્યો હતો. જેવો તે ભીટી રાવત ક્રોસિંગ પાસે પહોંચ્યો, ત્યાં રંજીત ઉર્ફે ભોલુ અને ધીરજ નિષાદ નામના બે લુખ્ખા તત્વોએ તેની સાથે ગેરવર્તણૂક શરૂ કરી હતી. પીડિત સંજયના જણાવ્યા અનુસાર, આરોપીઓએ તેને જોતાની સાથે જ ‘ચમાર’ જેવા અત્યંત હીન અને જ્ઞાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરીને જાહેર રસ્તા પર અપમાનિત કરવાનું શરૂ કર્યું હતું. તેઓનું માનવું હતું કે દલિતો હવે લગ્નની કંકોતરીઓ છપાવીને સવર્ણોની બરાબરી કરવા લાગ્યા છે, જે તેમની જ્ઞાતિવાદી અહંકારને ઠેસ પહોંચાડી રહી હતી.

આ પણ વાંચો: 70 વર્ષથી વસેલા 40 દલિત પરિવારોને 7 દિવસમાં મકાન ખાલી કરવા આદેશ
લોખંડના હથિયારથી જીવલેણ હુમલો કર્યો
જ્યારે સંજયે આ અપમાનજનક ગાળો અને ગેરવર્તનનો વિરોધ કર્યો અને પોતાને જવા દેવા વિનંતી કરી, ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. જ્ઞાતિવાદી નશામાં ચૂર આ લુખ્ખાઓએ સંજય પર હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પોતાની પાસે રાખેલા લોખંડના ભારે ‘ચુલ્લા’ (એક પ્રકારનું ઘાતક હથિયાર) વડે સંજયના માથા પર જોરદાર પ્રહાર કર્યો હતો. પ્રહાર એટલો ભયાનક હતો કે સંજયના માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગી અને તે અર્ધબેભાન અવસ્થામાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા, જેને જોઈને આરોપીઓ “જો ફરી આ રસ્તે દેખાયો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
પોલીસે શું કાર્યવાહી કરી?
ગંભીર રીતે ઘાયલ સંજય કુમારે હિંમત હાર્યા વગર બીજા દિવસે સોમવારે તાલુકા મથકે આયોજિત ‘સંપૂર્ણ સમાધાન દિવસ’માં હાજરી આપી હતી. ત્યાં તેણે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લોહીલુહાણ હાલતમાં પોતાની આપવીતી વર્ણવી અને ન્યાયની માંગ કરી હતી. દલિત યુવક પરના આ હુમલાની ગંભીરતા અને સામાજિક અસંતોષને જોતા અધિકારીઓએ તત્કાલ પોલીસને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. સહજનવા પોલીસે આ મામલે રંજીત અને ધીરજ વિરુદ્ધ SC/ST એક્ટ ની ગંભીર કલમો સહિત ભારતીય દંડ સંહિતાની કલમ 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 504 (શાંતિ ભંગ કરવા અપમાન) અને 506 (જાનથી મારી નાખવાની ધમકી) હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો: 8 વર્ષમાં દેશની હાઈકોર્ટોમાં 847 જજો નિમાયા, તેમાં SC માત્ર 4 ટકા!

હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ નહીં
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે 21મી સદીમાં પણ ભારતની સામાજિક વ્યવસ્થામાં જ્ઞાતિવાદના ઝેર કેટલા ઊંડા ઉતરેલા છે. દલિતો જો આર્થિક રીતે સક્ષમ બને કે સન્માનપૂર્વક લગ્ન-પ્રસંગો ઉજવે, તો તે જ્ઞાતિવાદી તત્વો માટે અસહ્ય બની જાય છે. લગ્નની કંકોતરી વહેંચવી એ એક સામાન્ય સામાજિક શિષ્ટાચાર છે, પરંતુ તેમાં પણ હિંસા આચરવી એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. પોલીસ અધિકારી મહેશ ચૌબેએ જણાવ્યું છે કે આરોપીઓની ધરપકડ માટે ટીમો બનાવી દેવામાં આવી છે અને કોઈ પણ સંજોગોમાં ગુનેગારોને છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચો: લોહીયાળ જંગઃ જાતિવાદી તત્વોએ હુમલો કરી દલિતવાસ સળગાવ્યો












Aava hindu jatankvadi aatankvadi ki paidash ko fanshi do