ઈન્દ્ર મેઘવાળની ઘટના હજુ દેશના દલિતો ભૂલ્યાં નથી ત્યાં રાજસ્થાનમાંથી ફરી એક મટકીકાંડ સામે આવ્યો છે. નાગૌર જિલ્લાના કાંટિયા ગામે ત્રણ દલિત યુવકોને દુકાનમાંથી પાણી પીવા બદલ આસપાસના દુકાનદારોએ તેમની જાતિ પૂછીને માર માર્યો હતો. એટલું જ નહીં આરોપીઓએ દલિત યુવકોએ જે ગ્લાસમાંથી પાણી પીધું હતું તે તેમની પાસે સાફ કરાવડાવ્યો હતો. આ મામલે હવે ખીંવસર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ આરોપી દુકાનદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રિપોર્ટમાં દલિત યુવકોને પીવાના પાણી મુદ્દે અસ્પૃશ્યતા દાખવી દુર્વ્યવહાર કરવો, હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવી વગેરે આરોપ લગાવાયા છે. તપાસ નાયબ પોલીસ અધિક્ષક રામપ્રતાપ વિશ્નોઈને સોંપાઈ છે. ઘટના બાદ દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
મામલો શું છે?
આઉ ગામના રહેવાસી મુકનારામ મેઘવાલના પુત્ર ઓમપ્રકાશે ખિંવસર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે, તે તેના મિત્ર અશોક સાથે મોટરસાયકલ પર કાંટિયા ગામમાં રહેતા સંબંધી હરકરામના ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં તેઓ એક કરિયાણાની દુકાન પાસે ઉભા રહ્યા હતા. એ દરમિયાન તેણે દુકાનની બહાર રાખેલા પાણીના માટલામાંથી લોટો ભરીને પાણી પીધું હતું. આ દરમિયાન, કરિયાણાની દુકાનના માલિક કાલુરામ જાટ, ઓમપ્રકાશ અને નજીકની દુકાનના માલિક નરસીરામે આવીને તેનું નામ અને જાતિ પૂછી હતી. જ્યારે મુકનારામે તેમને પોતે મેઘવાળ છે તેવું કહ્યું કે તરત ત્રણેય દુકાનદારોએ તેને જાતિસૂચક ગાળો ભાંડી તેનું અપમાન કર્યું હતું અને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે
એટલું જ નહીં, આરોપીઓએ મુકનારામ પાસે, જે લોટામાં તેણે પાણી પીધું હતું તેને રેતીથી ઘસીને સાફ કરાવડાવ્યો હતો. એ પછી પણ આરોપીઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો, ધક્કો માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્રણેય દુકાનદારની ધરપકડની કરવામાં આવી
નાગૌરના નાયબ પોલીસ અધિક્ષક વિશ્નોઈએ જણાવ્યું હતું કે કાંટિયામાં બનેલી ઘટનાના સંદર્ભમાં પોલીસે મંગળવારે ત્રણેય આરોપીઓ કાલુરામ, ઓમપ્રકાશ અને નરસીરામની ધરપકડ કરી હતી. કેસ નોંધાયા બાદ, નાયબ પોલીસ અધિક્ષક રામપ્રતાપ વિશ્નોઈ અને અન્ય અધિકારીઓ મંગળવારે કાંતિયા ગામ પહોંચ્યા હતા, પરંતુ આરોપી દુકાનદારો ભાગી ગયા હતા. બાદમાં, પોલીસે દરોડો પાડીને ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ અધિક્ષક નારાયણ તોગાસે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
પોલીસ પર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરતી રહી
મેઘવાલ યુવક પર હુમલાની ઘટના રવિવારે બની હતી. સોમવારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ ખીંવસર પોલીસે આખો મામલો છુપાવવાનો પ્રયાસ કરતી રહી. જ્યારે મીડિયાએ પોલીસ પાસેથી ઘટના અંગે માહિતી માંગી ત્યારે તેમણે કશું પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. બાદમાં હોબાળો વધી જતા આખરે પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
આરોપીના સાગરિતોએ પીડિત પરિવારોને ડરાવ્યા
દલિત અત્યાચારની મોટાભાગની ઘટનાઓમાં બને છે તેમ આ કેસમાં પણ જાતિવાદી આરોપીઓએ પીડિત પરિવારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો. ફરિયાદી યુવક મુકનારામે જણાવ્યું હતું કે, તે ડરના કારણે તેના સંબંધી હરકરામના ઘરે જતો ગયો હતો, પરંતુ રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યે, ત્રણેય આરોપીઓ કેમ્પર વાહન લઈને હરકરામના ઘર પાસે પહોંચી ગયા હતા અને ગાડીના ત્રણ-ચાર રાઉન્ડ મારી, ટાયર ઘસીને સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાવ્યો હતો. આ ઘટના બાદ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.
ચંદ્રશેખર આઝાદે ટ્વિટ કરી રાજસ્થાન સરકારને ઘેરી
આ ઘટનાને લઈને યુપીની નગીના લોકસભાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે ટ્વિટ કરીને રાજસ્થાન સરકારે ઘેરી હતી. ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, “રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખિંવસર પોલીસ સ્ટેશન વિસ્તારના કાંતિયા ગામમાં, બે દલિત યુવાનોને માટલામાંથી પાણી પીવાના “જઘન્ય ગુના” માટે જાતિવાદી અપશબ્દોથી અપમાનિત કરવામાં આવ્યા હતા અને વાસણો સાફ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. આ અમાનવીય ઘટના કોઈ સામાન્ય વિવાદ નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલી આવતી જાતિવાદી નફરતનું ભયાનક પ્રતિબિંબ છે. આજે હું સમાજને પૂછવા માંગુ છું- શું દલિતોને આજે પણ પાણી પીવાનો અધિકાર નથી?
ચંદ્રશેખરે રાજસ્થાન સરકાર સમક્ષ પાંચ માગણીઓ મૂકી
અમે રાજસ્થાન સરકાર પાસે માંગ કરીએ છીએ કે, SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ અને BNSS ની કડક કલમો હેઠળ ગુનેગારો સામે તાત્કાલિક કેસ નોંધવામાં આવે. પીડિતોને સુરક્ષા અને યોગ્ય વળતર પૂરું પાડવામાં આવે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. ગામમાં સામાજિક સૌહાર્દ જાળવવા માટે ખાસ દેખરેખ રાખવામાં આવે.
આ પણ વાંચો: ચિકન બનાવવા વાસણ ન આપતા દલિત સાધુ પર ત્રિશૂળથી હુમલો