અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સવાપુર ગામે એક દલિત યુવકનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. 29 વર્ષીય હર્ષદ ચમારનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ હર્ષદને ગામના જ કેટલાક જાતિવાદી તત્વો દ્વારા બોરમાંથી પાણી ભરવા બાબતે જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેના કારણે તેઓ સતત ચિંતામાં રહેતા હતા. 25 મેના રોજ હર્ષદભાઈ ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. હવે ગામની જ નદીમાંથી તેમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારજનોએ માલપુર પોલીસ સ્ટેશનમાં એક જ પરિવારના 9 સભ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણા અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
મૃતક હર્ષદભાઈના પત્ની મધુબેન ચમાર સવાપુરમાં જ આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા 20 વર્ષથી સવાપુર ગામે રહે છે. તેમના પતિ હર્ષદભાઈ મીઠાભાઈ ચમાર (ઉ.વ. 39) ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને બે દીકરા છે. 25મેના રોજ હર્ષદ પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારથી ગૂમ યુવકની શંકાસ્પદ મૃતદેહ વાત્રક નદીમાંથી મળી આવ્યો છે.
આરોપીઓ મારી નાખવાની ધમકી આપતા હતા
મૃતકના પત્ની મધુબેને નોંધાવેલી ફરિયાદમાં ગામના જ 9 લોકો દ્વારા હર્ષદભાઈને હેરાન કરી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાની વાત કરી હતી. મધુબેને જણાવ્યું હતું કે, ગત 10 ફેબ્રુઆરી, 2025ના રોજ તેઓ મોડાસાથી તેના કામની ટ્રેનિંગ પૂરી કરીને સાંજે ઘરે પરત ફર્યા હતા. ઘરમાં પીવાનું પાણી ન હોવાથી તેઓ અંદરભાઈ મકવાણાના ઘર નજીક આવેલા ગ્રામ પંચાયતના બોર પર પાણી ભરવા ગયા હતા.
આ પણ વાંચો: જરખીયાના દલિત યુવકની જન્મદિવસે અંતિમક્રિયા કરાઈ
ત્યારે અંદરભાઈ અને તેમના પરિવારે તેમને ગાળો જાતિસૂચક અપશબ્દો બોલીને બોરમાં પાણી ભરવા આવવાની મનાઈ ફરમાવી હતી. આ ઘટના બાદ પણ અંદરભાઈ, મંગુબેન અને પવન અંદરભાઈ મકવાણા અવારનવાર મધુબેન અને તેમના પતિને અપશબ્દો બોલીને અપમાનિત કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા. પાણીની તકલીફ અંગે વાત કરવા જતા હર્ષદભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેનું રેકોર્ડિંગ મધુબેનના ફોનમાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
‘બે દિવસમાં ભાગવું હોય તો ભાગી જજે, તને મારી નાખવાનો છે’
21 મે, 2025ના રોજ હર્ષદભાઈ અને સસરા આરોપી અંદરભાઈ મકવાણાના ઘરે વાત કરવા ગયા હતા. તે સમયે ઉપરોક્ત તમામ નવ આરોપીઓ હાજર હતા. પાણી બાબતે વાત કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હર્ષદભાઈ અને સસરાને કહેવા લાગ્યા હતા કે “અહીંયા મારા ઘરે તમારે આવવું નહીં અને તારા દીકરાને અહીંયા રહેવું નહીં અને પાણી અહીંયા ભરવા આવતા જ નહીં.” આ ઉપરાંત, તેમને ફરીથી જાતિવિષયક અપમાનજનક શબ્દો કહી ધમકી આપી હતી, કે 22-23 મે, 2025ના રોજ લગ્ન પૂરું થાય પછી તને મારી નાખવાનો છે અને બે દિવસમાં જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જજે. એટલું જ નહીં, આરોપીઓએ હર્ષદભાઈ પર તેમની દીકરી સાથે આડા સંબંધ હોવાનો વ્હેમ રાખીને 24મે, 2025 થી પછી તેને “નગ્ન કરી ગામમાં તેની ઇજ્જત કાઢી જીવતો સળગાવી દેવાની” પણ ધમકી આપી હતી.
વાત્રક નદીના કાંઠેથી હર્ષદભાઈનો મૃતદેહ મળ્યો
આરોપીઓએ આપેલી ધમકીઓથી હર્ષદભાઈ ખૂબ ગભરાઈ ગયા હતા અને તા. 25 મે, 2025ના રોજ સાંજે 4 વાગ્યા આસપાસ તેઓ સવાપુર ગામેથી ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ 1 જૂન, 2025ના રોજ સવારે અગિયાર વાગ્યે જૂના ગોપીઠપુર ગામની સીમમાં આવેલી વાત્રક નદીના કિનારેથી એક મૃતદેહ મળી આવી હોવાની જાણ થઈ હતી. મધુબેનના જેઠ અને મૃતકના ભાઈ જગદીશભાઈ, બનેવી અમરતભાઈ અને પરિવારના અન્ય સભ્યો ઘટનાસ્થળે પહોંચતા મૃતદેહ હર્ષદભાઈનો હોવાનું ઓળખી બતાવ્યું હતું.
નવ આરોપીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
મધુબેનની ફરિયાદ મુજબ, આરોપીઓએ સામાન્ય ઈરાદો પાર પાડવા માટે તેમના પતિને અવારનવાર હેરાન કર્યા છે, જાતિવિષયક અપમાનિત શબ્દો કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે. આ ધમકીઓને કારણે હર્ષદભાઈએ આ પગલુ ભર્યુ હોવાની શકયતા વર્તાઈ રહી છે. આ મામલે મધુબેને તમામ નવ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. માલપુર પોલીસે આ અંગે દુષ્પ્રેરણ અને જાતિ વિષયક ભેદભાવ એટ્રોસિટીનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
આરોપીઓના નામ
અંદરભાઈ ચેહરાભાઈ મકવાણા
મંગુબેન અંદરભાઈ મકવાણા
પવન અંદરભાઈ મકવાણા (ત્રણેય રહે. સવાપુર)
શંકરભાઈ ચેહરાભાઈ મકવાણા (રહે. બોરના મુવાડા)
રાયમલભાઈ શંકરભાઈ મકવાણા
શંકરભાઈના જમાઈ – ગુલાબભાઈ
શંકરભાઈના જમાઈ – નરેશભાઈ (બંને રહે. વાકાનેડા)
અંદરભાઈના જમાઈ – મિનેશભાઈ (રહે. મોતીપુરા, તા. ધનસુરા)
લાલાભાઈ ફતાભાઈ મકવાણા
આ પણ વાંચો: કાંતિ વાળા, વસંત ચાવડા સહિત 4 કાર્યકરોનો આત્મવિલોપનનો પ્રયાસ