હોળીનો તહેવાર હવે સલામત નથી રહ્યો. દારૂ પીને છાટકા થયેલા માથાભારે તત્વો ગમે ત્યારે જૂની દુશ્મનાવટ પતાવવાના બહાને નિર્દોષ લોકો પર હુમલો કરી દેતા હોય છે. આવી જ એક ઘટના યુપીના બારાબંકીના ફરિશ્તીપુર ગામમાં બની હતી. જ્યાં જાતિવાદી તત્વોએ હોળી રમવાના બહાને દલિતવાસમાં ઘૂસીને તોફાન મચાવ્યું હતું, અનેક યુવકોને માર માર્યો હતો અને વસ્તી સળગાવી દેવાની ધમકી આપી હતી. હોળીના બહાને દલિત વસ્તીમાં ઘૂસી આવેલા ગુંડાઓએ જે પ્રકારે હિંસા આચરી, તે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવનારી છે. ગુંડા તત્વોમાં પોલીસનો જરાય ખોફ ન હોય તેમ તેમણે ધોળા દિવસે આતંક મચાવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની વિગતો મુજબ, 4 માર્ચની સાંજે આશરે 7.00 વાગ્યાના સુમારે કેટલાક માથાભારે તત્વો હોળી રમવાના બહાને દલિતવાસમાં પહોંચ્યા હતા. ત્યાં તેઓએ સ્થાનિક લોકો સાથે અભદ્ર વર્તન કરીને યુવતીઓની છેડતી શરૂ કરી હતી. જ્યારે મહોલ્લાના રહેવાસી જિતેન્દ્ર અને સર્વેશે આ હરકતોનો વિરોધ કર્યો, ત્યારે મામલો બિચક્યો હતો. આરોપીઓએ તરત જ ફોન કરીને પોતાના અન્ય 10-15 સાથીદારોને હથિયારો સાથે બોલાવી લીધા હતા.

આ પણ વાંચો: ભાજપની દલિત વિરોધી નીતિ ખુલ્લી પડી! ચેતન ધાનાણી ફરી પ્રમુખ
પ્રશાંત કુમાર યાદવ, અંકિત યાદવ, અજય યાદવ અને અન્ય શખ્સો લાઠી-ડંડા, લોખંડના સળિયા, બેલ્ટ અને તીક્ષ્ણ ધારદાર હથિયારો લઈને તૂટી પડ્યા હતા. આરોપીઓએ જાતિસૂચક ગાળો ભાંડીને સર્વેશના માથામાં ધારદાર હથિયાર ઝીંકી દીધું હતું, જેના કારણે તેનું માથું ફાટી ગયું હતું. જિતેન્દ્ર પર પણ ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જીવ બચાવવા આ યુવકો ઘરમાં ભરાયા તો ગુંડાઓ દરવાજા તોડીને અંદર ઘૂસી ગયા અને ઘરમાં રહેલી મહિલાઓને પણ બેરહેમીથી ફટકારી હતી.

પોલીસ નિષ્ક્રિય રહેતા ભીમ આર્મી વ્હારે આવી
આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત પોલીસનું વલણ રહ્યું હતું. પીડિતોએ તુરંત ‘ડાયલ 112’ પર સંપર્ક કર્યો, પોલીસ ઘટનાસ્થળે આવી પણ ખરી, પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી કર્યા વિના કે ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા વિના પરત ફરી ગઈ. પોલીસના આ ઢીલા વલણને કારણે ગુનેગારોની હિંમત વધી ગઈ હતી અને તેઓ આખી વસ્તીને જીવતી સળગાવી દેવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં દારૂના વેચાણ મામલે સરકાર કરતા બૂટલેગરોનું ટર્નઓવર વધુ!
પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં વિલંબ અને આરોપીઓને છાવરવાની નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા ભીમ આર્મીના કાર્યકર્તાઓ મેદાનમાં આવ્યા હતા. અડધી રાત્રે 12 વાગ્યે સેંકડો કાર્યકર્તાઓએ નગર કોતવાલી પોલીસ મથકનો ઘેરાવ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. આખરે જનરેલાણ સામે નમીને પોલીસે મોડી રાત્રે 1 વાગ્યે 10 લોકો સામે નામજોગ અને 15 અજાણ્યા લોકો સામે ગુનો નોંધવાની ફરજ પડી હતી.
કાયદો વ્યવસ્થા સામે ઉઠતા સવાલો
બારાબંકીની આ ઘટના ચીમકી આપે છે કે જો ગુનેગારોમાં પોલીસનો ડર નહીં રહે, તો નબળા વર્ગો પર થતા અત્યાચારો અટકશે નહીં. હોળી જેવા ભાઈચારાના તહેવારમાં આ પ્રકારની હિંસા સામાજિક પોતને તોડવાનું કામ કરે છે. પીડિત સર્વેશની માતા સંગીતા દેવીની ફરિયાદ પરથી પોલીસે હવે બીએનએસ (BNS) અને એસસી/એસટી (SC/ST) એક્ટ હેઠળ તપાસ શરૂ કરી છે. પરંતુ પ્રશ્ન એ જ રહે છે કે, શું દલિતોએ દર વખતે ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરીને આંદોલન જ કરવું પડશે?
આ પણ વાંચો: બેટરી ચોરીની શંકામાં દલિત યુવકને ટોળાંએ મારી-મારીને પતાવી દીધો











