‘તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો’ કહી મહિલાની કથા અટકાવી

બ્રાહ્મણોએ મહિલા કથાવાચકને કહ્યું ‘ફક્ત બ્રાહ્મણ જ કથા વાંચી શકે, તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો. પહેલા કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કરો પછી કથા વાંચજો.’
Devika Patel Kathakar

હિંદુ ધર્મ સાથે જોડાયેલા તહેવારો અને રીતિરિવાજો બ્રાહ્મણો માટે બેઠા બેઠા રૂપિયા કમાવાનો ધંધો છે, ધર્માંધ હિંદુઓ આસ્થાના નામે સાવ અંધ થઈને બ્રાહ્મણોની આ ચાલ સમજી શકતા નથી. મંદિરોમાં ચડતા પ્રસાદ લઈને કથાઓમાં મળતી દક્ષિણા સુધીની તમામ વ્યવસ્થા બ્રાહ્મણોએ પોતાના માટે ઉભી કરેલી છે. જો આટલા વર્ષો પછી પણ તમને આ નગ્ન સત્ય ન સમજાતું હોય તો, તેને ફરી ઉઘાડું કરતો એક કિસ્સો સામે આવ્યો છે.

મામલો મધ્યપ્રદેશનો છે. અહીં એક ઓબીસી કુર્મી સમાજની મહિલા વ્યાસપીઠ પર બેસીને કથા કરવાની હતી. જો કે એક ઓબીસી અને એ પણ મહિલા વ્યાસપીઠ પર બેસીને કથા વાંચે તે મનુવાદી બ્રાહ્મણોને પસંદ નહોતું આવ્યું. આમાં તેમને પોતાનો એકાધિકાર છીનવાઈ જતો દેખાતો હોવાથી તેમણે ગામના કેટલાક લોકોને ઉશ્કેર્યા હતા અને આયોજકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું.

બ્રાહ્મણોએ ગામલોકોને ઉશ્કેર્યા હતા કે કથાનું વાંચન ફક્ત બ્રાહ્મણો જ કરી શકે બીજું કોઈ નહીં, આ મહિલા કથાવાચક બ્રાહ્મણ નથી એટલે તેઓ કથા વાંચી શકે નહીં. બ્રાહ્મણોની ચાલમાં આવી જઈ ગામલોકોએ મહિલા કથાવાચકને કથા કરતા અટકાવી હતી અને તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તમે બ્રાહ્મણ નથી એટલે કથા નહીં વાંચી શકો. કથા વાંચવી હોય તો પહેલા કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કરો. આ ઘટનાને લઈને મહિલા કથાવાચકને ભારે લાગી આવ્યું હતું, પણ તેમનું કોઈએ સાંભળ્યું નહોતું.

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના પનાગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રેપુરા ગામની આ ઘટના છે. અહીં એક મહિલા કથાકાર દેવિકા કિશોરીને જાતિના આધારે શ્રીમદ્ ભાગવત કથા સંભળાવતા અટકાવવામાં આવી હતી. દેવિકા કિશોરી, જેનું સાચું નામ દેવિકા પટેલ છે, તે કુર્મી સમાજની છે. તેમની કથા ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ થી શરૂ થવાની હતી, પરંતુ કેટલાક સ્થાનિક ગ્રામજનોએ તેમને જાતિને કારણે સવાલો ઉભા કરી કથા કરતા અટકાવ્યા હતા.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્થાનિકો દેવિકા કિશોરીને તેની જાતિ અને મહિલા હોવાને કારણે કથા કરતા રોકવાની વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તે બ્રાહ્મણ સાથે લગ્ન કરશે તો જ તેને કથા કરવાની મંજૂરી આપવામાં આવશે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં હિંદુ ધર્મમાં કથા સહિતની બાબતોમાં ભારે રૂપિયા છે અને તેમાં બીજી કોઈ જાતિના લોકો ભાગ ન પડાવી જાય તે માટે બ્રાહ્મણોએ પોતાનો એકાધિકાર સ્થાપી રાખ્યો છે. આ ઘટનાએ આર્થિક બળના કારણે પોતે સવર્ણની હરોળમાં આવી ગયાનું માનીને પોરસાતી કુર્મી જાતિના લોકોને પણ અરીસો બતાવ્યો છે. મનુસ્મૃતિ આધારિત હિંદુ ધર્મની પ્રવર્તમાન જાતિ વ્યવસ્થામાં કુર્મીઓ શુદ્રમાં આવે છે અને તેઓ ગમે તેટલા પ્રગતિ કરી લે, પૈસા કમાઈ લે, છતાં બ્રાહ્મણો તેમને શુદ્ર તરીકે જ ટ્રીટ કરશે તે પણ આ ઘટના પરથી સાબિત થાય છે. આશા રાખીએ કે હિંદુ ધર્મનો ઠેકો લઈને ફરતા કુર્મીઓ આ ઘટનામાંથી કશોક ધડો લેશે. આ ઘટનાથી ફરી એ સાબિત થયું છે કે, કુર્મીઓ(અર્થાત પટેલ સમાજ) ને બ્રાહ્મણો શુદ્ર જ ગણે છે.

ક્યાં લખ્યું છે કે ફક્ત બ્રાહ્મણો જ કથા વાંચી શકે – દેવિકા કિશોરી

સમગ્ર મામલે જેમને કથા વાંચતા રોકવામાં આવ્યા હતા તે કથાકાર દેવિકા કિશોરીએ કહ્યું કે કોઈ વેદ કે પુરાણમાં એવું લખાયેલું નથી કે ફક્ત બ્રાહ્મણો જ કથા કહી શકે. એકબાજુ દેશમાં હિંદુત્વની વાત કરવામાં આવે છે અને લોકોને બટેંગે તો કટેંગે કહીને ઉશ્કેરવામાં આવે છે, પણ અહીં તો જે લોકો સનાતનની વાત કરે છે, તે જ લોકો ભાગલા પાડવાનું કામ કરે છે. દીપિકા કિશોરીએ કટાક્ષમાં કહ્યું હતું કે, તેઓ શિયાળિયાની ધમકીથી ડરતી નથી. તે સનાતનનો ધ્વજ લઈને નીકળી છે અને ધર્મ પ્રચાર કરીને જન જન સુધી તેને પહોંચાડવાનું કામ કરે છે.

આ પણ વાંચો:  મેરઠમાં પ્રદીપ મિશ્રાના શિવમહાપુરાણમાં ભાગાભાગી, અનેક મહિલા કચડાઈ

દેવિકા કિશોરીએ કહ્યું કે તેમને વાર્તા વાંચવાની પ્રેરણા કથાકાર જયા કિશોરી પાસેથી મળી છે. તે જયા કિશોરીને ટીવી પર કતા કહેતી જોતી, પછી તેના મનમાં વિચાર આવ્યો કે હું પણ તેમની જેમ પ્રભુની ભક્તિ કરીને લોકો સુધી ભક્તિનો પ્રચાર પ્રસાર કરીશ.

દેવિકા જણાવે છે કે જ્યારે તે નાની હતી, ત્યારે તે તેના પિતાને રામાયણ વાંચતા જોતી હતી. તે તેના પિતાને રામાયણ કેવી રીતે વાંચવી તે પૂછતી. તે તેના પિતાના માર્ગદર્શનથી આગળ વધી અને આજે આ સ્થાન પર પહોંચી છે. દેવિકા કિશોરીનું કહેવું છે કે, તે હવે બ્રાહ્મણોના કહેવાથી રોકાવાની નથી.

ઓબીસી મહાસંઘ દેવિકા કિશોરીના સમર્થનમાં આવ્યો

આ ઘટના બાદ અખિલ ભારતીય ઓબીસી મહાસંઘ અને કુર્મી સમાજે વિરોધ નોંધાવ્યો છે. તેમણે દેવિકા કિશોરીને કથા વાંચતા રોકનારા લોકો સામે પાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રદેશ પ્રમુખ ઇન્દ્રકુમાર પટેલે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે આ આખી ઘટના હિંદુ ધર્મમાં અમુક ચોક્કસ લોકોનું જ વર્ચસ્વ રહે તે દર્શાવે છે, સાથે જ તે સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવનું પ્રતીક છે અને તેનો અંત લાવવો જોઈએ.

મહિલાઓ વ્યાસપીઠ પર બેસીને કથા ન વાંચી શકે – સંપૂર્ણ બ્રાહ્મણ મંચ પ્રમુખ

આ બાબતે પ્રતિક્રિયા આપતાં સંપૂર્ણ બ્રાહ્મણ મંચના પ્રમુખ રામ દુબેએ કહ્યું કે પરંપરાગત રીતે મહિલાઓને વ્યાસ પીઠ પર બેસીને કથા કહેવાનો અધિકાર નથી, પરંતુ વર્તમાન સમયમાં, ઘણી મહિલા કથાકારો આ કાર્ય કરી રહી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બ્રાહ્મણ સમાજ એવા લોકોથી પોતાને અલગ કરે છે જેઓ જાતિવાદી નિવેદન કરીને અન્ય સમાજના લોકોને કથા કરતા અટકાવે છે.
પોલીસ સુરક્ષા હેઠળ કથા કરવામાં આવે

પાનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અજય સિંહે જણાવ્યું હતું કે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. દેવિકા કિશોરીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે તેમને સુરક્ષા પૂરી પાડી છે. તેમની કથા આજે પોલીસ સુરક્ષા હેઠળ શરૂ થઈ છે, જે સંદેશ આપે છે કે સમાજમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ સ્વીકારવામાં આવશે નહીં. આ ઘટના બાદ બ્રાહ્મણોએ દેવિકા પટેલની કથા પર હુમલો કરવાની અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી પોલીસે અને તેમના કુર્મી સમાજની અનેક સંસ્થાઓએ સુરક્ષા પુરી પાડી હતી. એ પછી અગાઉ કરતા પણ વધુ ઉત્સાહ સાથે માત્ર મનુવાદીઓએ બતાવી દેવાના આશય સાથે કથા યોજાઈ હતી. જેમાં ડીજે સાઉન્ડ સાથે જબરજસ્ત નાચગાન થયું હતું.

આ પણ વાંચો: મહાકુંભના નામે ‘ડિજિટલ સ્નાન’નો ધંધો, ફોટો ડૂબાડો પાપ ધુઓ

5 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
રાજેન્દ્ર સુતરીયા
રાજેન્દ્ર સુતરીયા
11 months ago

કથાકાર બહેન દેવકિશોરીજીને ખુબ ખુબ અભિનંદન

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x