Dihuli massacre: ઉત્તર પ્રદેશના દિહુલી ગામમાં 44 વર્ષ પહેલા થયેલા સામૂહિક હત્યાકાંડમાં કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે સજા સંભળાવવા માટે 18 માર્ચની તારીખ નક્કી કરી છે. આ હત્યાકાંડમાં 24 દલિતો માર્યા ગયા હતા. કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ, પોલીસે તેમાંથી એકને જેલમાં મોકલી દીધો છે. આ કેસમાં અન્ય એક આરોપી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે ત્રીજો આરોપી હજુ પણ જેલમાં છે.
શું હતો દિહુલી હત્યાકાંડ?
૧૮ નવેમ્બર ૧૯૮૧ના રોજ ઉત્તરપ્રદેશના ફરુખાબાદ જિલ્લાના દિહુલીમાં ૨૪ દલિતોની હત્યા કરવામાં આવી હતી. દિહુલી ગામ પાછળથી મૈનપુરી જિલ્લાનો ભાગ બન્યું હતું. હવે કોર્ટે આ કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જેમને 18 માર્ચે સજા સંભળાવાશે. તમને જણાવી દઈએ કે, ૧૮ નવેમ્બર ૧૯૮૧ ના રોજ સાંજે ૬ વાગ્યે દિહુલી ગામ પર ડાકુઓએ હુમલો કર્યો હતો. સંતોષ અને રાધે નામના કથિત સવર્ણ જાતિના ડાકુઓની ટોળકીએ 24 દલિતો પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. આ કેસમાં કુલ 17 આરોપીઓના નામ હતા, જેમાંથી 13 ના મોત થયા છે, જ્યારે એક આરોપી જ્ઞાનચંદ્ર ઉર્ફે ગિન્ના હજુ પણ ફરાર છે. કોર્ટે તેમની સામે કાયમી વોરંટ જારી કર્યું છે.
આ પણ વાંચોઃ એક સત્યાગ્રહ, જે માનવાધિકાર માટે લડાયો છતાં યાદ નથી કરાતો

હકીકતમાં એક કેસમાં જુબાની આપવાના વિરોધમાં સંતોષ અને રાધેની ગેંગે આખા ગામના દલિતો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 24 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. હત્યા બાદ આ ડાકુઓએ ગામમાં લૂંટ પણ ચલાવી હતી. સંતોષ અને રાધેની ગેંગે એમ વિચારીને હત્યાઓ કરી હતી કે દલિતો પોલીસના બાતમીદાર હતા. બીજા દિવસે, ૧૯ નવેમ્બર, ૧૯૮૧ના રોજ દિહુલીના રહેવાસી લાયક સિંહે રાધેશ્યામ, સંતોષ સિંહ અને અન્ય ૧૫ લોકો વિરુદ્ધ જસરાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા
કોર્ટે ફરાર આરોપી જ્ઞાનચંદ્ર ઉર્ફે ગિન્ના વિરુદ્ધ કાયમી વોરંટ જારી કર્યું અને તેની સામે અલગ કેસ નોંધ્યો. દિહુલી ગામ પહેલા ફિરોઝાબાદ જિલ્લાના જસરાણા પોલીસ સ્ટેશન હેઠળ આવતું હતું. બાદમાં અલગ જિલ્લાની રચના પછી કેસ મૈનપુરી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી મૈનપુરી અને અલ્હાબાદની કોર્ટમાં થઈ હતી.
આ પણ વાંચોઃ ઘરમાં ઘૂસી એક દલિત દીકરીને ઉપાડી ગયા, બીજીની હત્યા કરી?
9 ઓક્ટોબર, 2024 ના રોજ આ કેસ અંતિમ દલીલો માટે મૈનપુરી સેશન્સ કોર્ટમાં પાછો આવ્યો હતો. જિલ્લા ન્યાયાધીશે તેને સ્પેશિયલ રોબરી કોર્ટને સોંપી દીધો. જે બાદ જામીન પર બહાર રહેલો આરોપી કપ્તાન સિંહ મંગળવારે કોર્ટમાં હાજર થયો હતો. તે જ સમયે પોલીસ રામસેવકને મૈનપુરી જેલમાંથી લઈને આવી હતી. ત્રીજા આરોપી રામપાલે હાજર થવાથી મુક્તિ માંગી હતી.

હત્યાકાંડનો ભોગ કોણ બન્યું?
આ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોમાં જ્વાલા પ્રસાદ, રામ પ્રસાદ, રામદુલારી, શ્રૃંગારવતી, શાંતિ, રાજેન્દ્રી, રાજેશ, રામસેવક, શિવદયાલ, મુનેશ, ભરત સિંહ, દાતારામ, આશા દેવી, લાલારામ, ગીતમ, લીલાધર, માણિકચંદ્ર, ભૂરે, કુમારી શીલા, મુકેશ, ધનદેવી, ગંગા સિંહ, ગજાધર અને પ્રીતમ સિંહનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ 8 સવર્ણ શિક્ષકોએ મળી દલિત વિદ્યાર્થીના બંને હાથ ભાંગી નાખ્યા
આ કેસમાં લાયક સિંહ, વેદરામ, હરિનારાયણ, કુમાર પ્રસાદ અને બનવારી લાલ સાક્ષી બન્યા હતા. જોકે, તે બધા હવે જીવિત નથી. પરંતુ તેમની જુબાનીના આધારે ફરિયાદ પક્ષે એક મજબૂત કેસ રજૂ કર્યો હતો. ખાસ કરીને કુમાર પ્રસાદે ઘટનાની સંપૂર્ણ વિગતો સાક્ષી તરીકે કોર્ટમાં રજૂ કરી. તમને જણાવી દઈએ કે દર્શનગણ સંતોષ અને રાધે સહિત ૧૩ લોકોના મોત થયા ચૂક્યા છે.
હત્યાકાંડના દિવસે શું થયું હતું?
૧૮ નવેમ્બર ૧૯૮૧ના રોજ, ફિરોઝાબાદથી લગભગ ૩૦ કિમી દૂર જસરાણા શહેરના દિહુલી ગામમાં ૨૪ દલિતોની હત્યા કરવામાં આવી હતી. આ માટે ડાકુ સંતોષ, રાધે અને તેમની ગેંગ પર આરોપ લાગ્યો હતો. પોલીસ ચાર્જશીટ મુજબ, સામૂહિક હત્યાકાંડને અંજામ આપનારા મોટાભાગના આરોપીઓ કથિત ઉચ્ચ જાતિના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ કુંવરપાલ પણ સંતોષ અને રાધે સાથે આ જ ગેંગમાં હતો.

કુંવરપાલ દલિત સમાજનો હતો અને તેને એક સવર્ણ જાતિની મહિલા સાથે પ્રેમસંબંધ હતો, જે સંતોષ અને રાધેને પસંદ ન હતું, જેઓ પોતે પણ ઉચ્ચ જાતિના હતા. અહીંથી જ દુશ્મનાવટ શરૂ થઈ. એ પછી કુંવરપાલની શંકાસ્પદ સંજોગોમાં હત્યા કરવામાં આવી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી અને સંતોષ-રાધે ગેંગના બે સભ્યોની ધરપકડ કરી અને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા.
સંતોષ, રાધે અને અન્ય આરોપીઓને શંકા હતી કે તેમની ગેંગના આ બે સભ્યોની ધરપકડ પાછળ આ વિસ્તારના દલિત જાટવ લોકોનો હાથ છે, કારણ કે પોલીસે આ ઘટનામાં જાટવ જાતિના ત્રણ લોકોને સાક્ષી તરીકે રજૂ કર્યા હતા. પોલીસ ચાર્જશીટ મુજબ આ દુશ્મનાવટ દિહુલી હત્યાકાંડ તરફ દોરી ગઈ હતી.
ચાર કલાક સુધી હત્યાકાંડ ચાલ્યો હતો
મીડિયા રિપોર્ટ મુજબ, સંતોષ-રાધે ગેંગના 14 સભ્યો પોલીસના ડ્રેસમાં દિહુલીના દલિતવાસમાં પહોંચ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ ગોળીબાર સાંજે ૪:૩૦ વાગ્યે શરૂ થયો અને ચાર કલાક સુધી ચાલુ રહ્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આરોપીઓ ભાગી ચૂક્યા હતા.
એ વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ હતા. આ ઘટના પછી, તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ દિહુલી ગામની મુલાકાત લીધી હતી. આ ઘટના બાદ વિપક્ષે સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. તે સમયે વિપક્ષી નેતા બાબુ જગજીવન રામે પણ આ ગામની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચોઃ ન્યાય માટે દલિત પરિવાર 150 કિ.મી. ચાલીને CMને મળવા પહોંચ્યો
તેઓ જે સામે મળે તેને ગોળી મારી દેતાઃ ભૂપસિંહ
ભૂપ સિંહ આ ઘટનાના સાક્ષી હતા અને તે સમયે તેમની ઉંમર 25 વર્ષ હતી. ભૂપ સિંહ, જે હવે 70 વર્ષના છે, તેઓ કહે છે કે આ ઘટના પછી, દલિત સમાજના લોકો દિહુલી ગામમાંથી સ્થળાંતર કરવા લાગ્યા હતા, પરંતુ સરકારના આદેશથી વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓએ ગામમાં કેમ્પ નાખીને તેમને સુરક્ષા આપીને રહેવાનું શરૂ કર્યું. ઘટના પછી પોલીસ અને પીએસી ઘણા મહિનાઓ સુધી ગામમાં તૈનાત રહ્યાં અને દલિત સમાજના લોકોને ગામમાં રહેવાની અપીલ કરી. આ કેસ ૧૯૮૪માં હાઈકોર્ટના આદેશ પર અલ્હાબાદની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેની સુનાવણી ૧૯૮૪ થી ઓક્ટોબર ૨૦૨૪ સુધી ચાલી. આ પછી કેસ ફરીથી મૈનપુરી રોબરી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.
આ પણ વાંચોઃ ચકચારી પ્રણય હત્યા કેસમાં 1ને ફાંસી, 6 ને આજીવન કેદની સજા
ભૂપ સિંહના જણાવ્યા અનુસાર, ટોળકીએ આખા જાટવ વિસ્તારને ઘેરી લીધો હતો. તેઓ જેને જોતા તેને ગોળી મારી દેતા. મૃતકોના મૃતદેહને ટ્રેક્ટરમાં ભરીને બીજા દિવસે મૈનપુરી મોકલવામાં આવ્યા હતા. ત્યાં ચાર ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

હું ડાંગરના પૂળામાં છુપાઈ ગયો એટલે બચી ગયોઃ રાકેશ કુમાર
તે સમયે રાકેશ કુમાર ૧૪-૧૫ વર્ષના હતા. તે ગામની પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે કહે છે, “જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે હું ઘરકામ કરી રહ્યો હતો. ઘણા લોકોને ગોળી વાગી હતી. હું ડાંગરની પરાળના ઢગલામાં સંતાઈ ગયો. રાત્રે ગોળીબાર બંધ થયો ત્યારે હું બહાર આવ્યો તો જોયું કે મારી માતા ચમેલી દેવીને પગમાં ગોળી વાગી હતી. રાકેશ કુમારનો દાવો છે કે લૂંટારુ સંતોષ અને રાધેએ ગોળીબાર કર્યો હતો.

તેમણે બાળકો, સ્ત્રીઓ કોઈને છોડ્યા નહોતાઃ ચમેલી દેવી
તે સમયે રાકેશકુમારની માતા ચમેલી દેવી 35 વર્ષના હતા. ચમેલી દેવી હવે લગભગ ૮૦ વર્ષના છે. તેઓ કહે છે, “અચાનક ગોળીઓ ચલાવવામાં આવી એટલે મેં દોડવાનું શરૂ કર્યું. ગોળી વાગ્યા બાદ ઘણા લોકો જમીન પર પડ્યા હતા તે જોયું. હું છત બાજુ ભાગી પણ મારા પગમાં ગોળી વાગી અને હું અને મારું બાળક ટેરેસ પરથી પડી ગયા અને ઘાયલ થયા. તે ખૂબ જ મોટી ઘટના હતી. તેમણે કોઈને પણ છોડ્યા નહીં, ન તો સ્ત્રીઓ કે ન તો બાળકોને. જે સામે મળ્યાાં તે બધાંને મારી નાખ્યાં.”
આ પણ વાંચો: કારમાંથી ઉતરી સીધી દલિત વરરાજાના માથે બંદૂક તાકી દીધી