આભડછેટનો અનુભવઃ વર્ષ 1989ની એ વાત છે. આજે પણ જ્યારે હું આંખો બંધ કરું છું ત્યારે એ દ્રશ્યો મારી નજર સામે તરી આવે છે. એ સમયે મારી ઉંમર માત્ર 7 વર્ષની હતી—એવી ઉંમર જ્યારે બાળકને દુનિયાના કપટ કે જાતિવાદના ઝેરની કોઈ ખબર હોતી નથી. હું એ સમયે હું બીમાર પડી જતો હતો, જેના કારણે મારા પિતા ખૂબ ચિંતામાં રહેતા હતા. સંતાન પ્રત્યેના અખૂટ પ્રેમ અને શ્રદ્ધાને વશ થઈને મારા પિતાએ દૂધરેજમાં આવેલા સુપ્રસિદ્ધ વડવાળા મંદિરમાં માનતા રાખી હતી કે, “જો મારો દીકરો સાજો થઈ જાય, તો હું તેને મંદિરે લઈને આવીશ અને વડવાળા દેવના ચરણમાં શ્રીફળ ચઢાવીશ.” ઈશ્વરની કૃપા કહો કે દવાની અસર, પણ હું સાજો થઈ ગયો. પિતાના હૃદયમાં હરખ માતો નહોતો, તેઓ તેમની માનતા પૂરી કરવા માટે મને લઈને વડવાળા મંદિરે ગયા.
સાતમ-આઠમનો મેળો પૂરો થયાને હજુ માંડ બે-ત્રણ દિવસ થયા હતા. હવામાં હજુ મેળાની ભીડની ગંધ અને મેળો પુરો થઈ ગયાની ઉદાસી તરવરતી હતી. કચ્છ અને સૌરાષ્ટ્રના ખૂણેખૂણેથી માલધારી ભાઈઓ અને શ્રદ્ધાળુઓ વડવાળા દેવના દર્શન કરવા માટે આવી રહ્યા હતા. મંદિરનો મુખ્ય દરવાજો ખૂલ્યો અને અચાનક ભક્તોનું એક મોટું ટોળું અંદર ધસ્યું. હું તો સાત વર્ષનો નાનકડો બાળક, એ ભીડના અફાટ રેલામાં ફસાઈ ગયો. મને લાગ્યું કે હમણાં હું કચડાઈ જઈશ, મારો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. પણ મારા પિતાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી, મને એ ભયાનક ટોળામાંથી ખેંચીને બહાર કાઢ્યો અને મને મરતા બચાવ્યો. ત્યારે મને ખબર નહોતી કે જે ભીડમાંથી પિતાએ મને બચાવ્યો છે, એનાથી પણ વધુ ભયાનક માનસિક આઘાત મંદિરની અંદર મારી રાહ જોઈ રહ્યો છે.

આ પણ વાંચો: ‘અમે ગણપતિ બેસાડ્યા છે, તમે ઘરમાં ન આવતા, ઘર ધોવું પડશે!’
અમે હર્ષભેર ગર્ભગૃહની નજીક પહોંચ્યા. પિતાના હાથમાં પેલું શ્રીફળ હતું, જે મારી જિંદગીની સુખાકારી અને આભાર વ્યક્ત કરવા માટે હતું. પિતાએ અત્યંત નમ્રતાથી પૂજારીની નજીક જઈને કહ્યું, “બાપા, મારે આ રીતે શ્રીફળ ચઢાવવાની માનતા છે, તો કૃપા કરી સ્વીકારો.” પૂજારીએ પિતાના પહેરવેશ સામે તીક્ષ્ણ નજરે જોયું અને પછી ભક્તિના વાતાવરણમાં વચ્ચે એવો સવાલ પૂછ્યો જેણે અમારી શ્રદ્ધાના પાયા હચમચાવી નાખ્યા. તેમણે પૂછ્યું, “તમે કેવા?”

મારા પિતાએ માસૂમિયતથી અને સત્યતાથી જવાબ આપ્યો, “બાપા, અમે વણકર.” બસ, આ એક જ શબ્દ બોલાતાની સાથે જ વાતાવરણ પલટાઈ ગયું. પૂજારીના ચહેરા પર ભક્તિને બદલે નફરત, ક્રોધ અને તિરસ્કારના ભાવો આવી ગયા. જાણે અમે કોઈ બહુ મોટો અપરાધ કરી નાખ્યો હોય તેમ તેમણે ત્રાડ પાડીને કહ્યું, “તમે મંદિરમાં કેમ ઘૂસ્યા? બહાર નીકળો અને ઉપરથી શ્રીફળ રડતું (ગબડતું) મૂકી દો. અંદર નહીં આવવાનું, દેવ અભડાઈ જાય!”
એ ક્ષણે મારા પિતાનો ચહેરો જોવા જેવો હતો. જે પિતાએ હમણાં જ મને મોતની ભીડમાંથી બચાવ્યો હતો, જે પિતા મારા માટે દુનિયાના સૌથી શક્તિશાળી માણસ હતા, તે પિતા આજે આ ધર્મના રક્ષકો સામે સાવ લાચાર, વિવશ અને અપમાનિત થઈને ઊભા હતા. સાત વર્ષની ઉંમરે મને એ કદાચ પૂરી સમજ નહોતી કે ‘અભડાઈ જવું’ એટલે શું, પણ મને એટલી ખબર પડી ગઈ હતી કે મારા પિતાને બહુ મોટો આઘાત લાગ્યો છે. તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. હું પણ તેમની આંગળી પકડીને રડવા લાગ્યો. મારા પિતાનું જે અપમાન થયું, તે આજે 45 વર્ષ પછી પણ હું ભૂલી શક્યો નથી. એ ધુત્કાર આજેય મારા હૃદયમાં કાળા નાગની જેમ ડંખ માર્યા કરે છે. સાચું કહું તો, એ ઘા ક્યારેય રૂઝાયો જ નથી.
આ પણ વાંચો: ‘આજે પણ રામજી મંદિર તરફ જવાનું થાય ત્યારે એ ઘટના યાદ આવે છે’
આભડછેટ એ માત્ર શારીરિક દૂરી કે અડવા-ના અડવાની વાત નથી, પણ એ માણસના આત્માને ચીરી નાખતું હથિયાર છે. જ્યારે એક બાળક જુએ છે કે તેના પિતાને જ્ઞાતિના નામે પશુ કરતા પણ બદતર ગણીને હાંકી કાઢવામાં આવે છે, ત્યારે એ બાળકના આત્મગૌરવના કટકે-કટકા થઈ જાય છે. હિંદુ મંદિરોમાં સદીઓથી પાળવામાં આવતી આ અસ્પૃશ્યતા દલિતોને એવો અહેસાસ કરાવે છે કે તેઓ ગમે તેટલી શ્રદ્ધા રાખે, ગમે તેટલા પવિત્ર રહે, પણ આ રૂઢિચુસ્ત ધર્મતંત્રમાં તેમનું સ્થાન હંમેશા ઉંબરાની બહાર જ રહેશે. આ એક એવી માનસિક ગુલામી છે જે આપણને અંદરથી ભાંગી નાખે છે. દૂધરેજ હોય કે ગમે તે મોટું ધામ, જો ત્યાં માણસની કિંમત તેના જન્મથી અંકાય, તો એ સ્થાન પવિત્ર કેવી રીતે હોઈ શકે?
આજે જ્યારે પણ હું વતન જાઉં છું અને બસમાંથી દૂરથી વડવાળા દેવની ધોળી ધજા ફરકતી જોઉં છું, ત્યારે એ અપમાન કાળા નાગની જેમ ફેણ ચઢાવીને બેઠું થઈ જાય છે. વડવાળા દેવની એ સફેદ ધજા મને એ કાળા દિવસની યાદ અપાવે છે જ્યારે મારો બાપ અપમાનિત થયો હતો. એ ઘડી અને આજનો દિવસ, મેં એ મંદિરમાં જવાનું તો દૂર, તેની ધજા સામે જોવાનું પણ બંધ કરી દીધું છે. મને સમજાયું છે કે જે પથ્થરની મૂર્તિ પાસે જીવતા માણસ માટે કરુણા નથી, જે ધર્મમાં સમાનતા નથી, ત્યાં શ્રદ્ધા રાખવી એ પોતાની જાત સાથે અન્યાય કરવા જેવું છે.
આ પણ વાંચો: ‘એ રાત્રે મને ઉંઘ ન આવી, 10 ની નોટ પર છંટાયેલું પાણી તરવરતું રહ્યું’
મારા આ કડવા અનુભવે મને મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો તરફ વાળ્યો. બાબાસાહેબે વર્ષો પહેલાં નાસિકના કાલારામ મંદિરમાં આ જ લડાઈ લડી હતી અને અંતે તેમણે સમજાવ્યું હતું કે મંદિરોમાં પ્રવેશ મેળવીને તમે સુધરી નહીં જાઓ. સાચો ઉદ્ધાર તો શિક્ષણ અને આત્મસન્માનમાં છે. આપણે મંદિરોમાં શ્રીફળ વધેરવા પાછળ કે ધાર્મિક વિધિઓ પાછળ શક્તિ વેડફવાને બદલે આપણા બાળકોના મગજમાં જ્ઞાનના દીવા પ્રગટાવવાની જરૂર છે. અસ્પૃશ્યતાનો ઈલાજ કોઈ પૂજારીના આશીર્વાદમાં નથી, પણ આપણી શૈક્ષણિક અને આર્થિક પ્રગતિમાં છે.
હું મારા દલિત-બહુજન સમાજના તમામ ભાઈ-બહેનોને હૃદયપૂર્વક એ જ કહેવા માંગુ છું કે, જે સ્થાનો આપણી ગરિમા અને આપણા પૂર્વજોનું સન્માન ન જાળવી શકે, ત્યાં જવાનું અને ત્યાં દાન કરવાનું સદંતર છોડી દો. આપણે પથ્થરોની પૂજા કરીને ગુલામ રહેવા કરતા ડૉ. આંબેડકરના રસ્તે ચાલીને શિક્ષણના શિખરો સર કરવા જોઈએ. જે દિવસે આપણો સમાજ ઉચ્ચ શિક્ષિત, સંગઠિત અને આર્થિક રીતે સ્વનિર્ભર બનશે, તે દિવસે દુનિયાની કોઈ તાકાત આપણને ‘તમે કેવા?’ એવો તિરસ્કારભર્યો પ્રશ્ન પૂછવાની હિંમત નહીં કરે. આપણી સાચી પવિત્રતા આપણા ચરિત્રમાં છે, કોઈ મંદિરના ગર્ભગૃહમાં નહીં. આજે 45 વર્ષે પણ એ ડંખ મને યાદ અપાવે છે કે મારે અને મારા સમાજે હજુ કેટલી લાંબી મંજિલ કાપવાની છે. ચાલો, મંદિરના પગથિયાં છોડીને પુસ્તકાલયના પગથિયાં ચઢીએ, કારણ કે ત્યાં જ આપણો સાચો ઉદ્ધાર છે. જય ભીમ, જય સંવિધાન.
નિલેશભાઈ રાઠોડ (સુરેન્દ્રનગર)
આ પણ વાંચો: ઉઠાવો કલમ! અને લખો તમારો ‘આભડછેટનો અનુભવ’











આવા મને પણ એનું ભાવ સે હું પણ તીયા થી સુ