જામનગર શહેરના સાધના કોલોની રોડ પર આવેલા નાનકપુરી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર નાસ્તો આપવામાં થયેલા વિલંબ અંગે પૂછપરછ કરતા રેંકડીધારક પિતા-પુત્રએ એક દલિત યુવાન પર હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના નાનકપુરી વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં બોદુભાઈ સતારભાઇ અને તેમના પિતા સતારભાઈ બન્ને મળીને નોનવેજની રેકડી ચલાવે છે. આ સ્થળે 48 વર્ષીય દલિત યુવાન રાજેશ હમીરભાઈ સાદીયા નાસ્તો લેવા માટે ગયા હતા. રાજેશે નાસ્તાના પાર્સલ માટે ઓર્ડર આપ્યો હતો, પરંતુ લાંબો સમય વીતવા છતાં પાર્સલ તૈયાર ન થતા તેમણે સંયમપૂર્વક વિલંબ અંગે કારણ પૂછ્યું હતું.

રાજેશે તેનું પાર્સલ બનાવવામાં કેટલી વાર છે? તેમ પૂછતા જ રેકડીધારક બોદુભાઈ અને તેના પિતા સતારભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપીઓએ ઉશ્કેરાટમાં આવી રાજેશ પર હુમલો કરી દીધો હતો. જેમાં રાજેશના નાકના ભાગે ફેક્ચર થઈ ગયું હતું અને તેમના પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચતા ફ્રેક્ચર થયું હતું.
આ પણ વાંચો: બગોદરામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને ફટકારતા હોસ્પિટલ ખસેડાયો

આ હિંસક ઘટના બાદ ભોગ બનનાર રાજેશ સાદીયાએ જામનગર સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે આરોપી બોદુભાઈ સતારભાઈ અને સતારભાઈ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ એક્ટ (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શારીરિક હુમલાની સાથે સાથે આરોપીઓએ રાજેશભાઈ દલિત જ્ઞાતિના હોવાથી તેમને સામાજિક રીતે નીચા દેખાડવાના આશયથી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હાલમાં આ કેસની ગંભીરતાને જોતા એસ.સી./એસ.ટી. સેલના ડીવાયએસપી (DySP) દ્વારા આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં સામાન્ય બાબતે થયેલા આ હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે આપઘાત કર્યો










