ભાજપ (BJP) અને તેનું મૂળ સંગઠન આરએસએસ (RSS) લાંબા સમયથી તેમના કથિત હિંદુ રાષ્ટ્ર(Hindu Rashtra) ના મનુવાદી (Manuvad) સપનાને સાકાર કરવા મથી રહ્યાં છે. 2014 માં ભાજપ સત્તામાં આવ્યા પછી, RSS ના માણસો દરેક ક્ષેત્રમાં અડિંગો જમાવીને બેસી ગયા અને દરેક મહત્વની બાબતો પોતાના હાથ પર લઈ લીધી. છાશવારે આપણને લઘુમતીઓ વિરોધી નારાઓ, ધર્મદ્રોહી, દેશદ્રોહી અને પ્રચંડ હિંદુ રાષ્ટ્રવાદ જેવા જેવા મુદ્દાઓ ગાઈ વગાડીને સાંભળવા મળે છે. જે એ વાતનો પુરાવો પણ છે કે હવે ધર્મને લગતી બાબતો દરેક માટે વધુ મહત્વની બનવા લાગી છે.
સરકારો આવી અને ગઈ, પણ વર્તમાનમાં જે રીતે ભાજપની સરકાર અને સંઘની ભાગલાવાદી માનસિકતાના નેતાઓ વચ્ચે જે પ્રકારનો તાલમેલ જોવા મળી રહ્યો છે તે ભારે ખતરનાક છે. એ વાતનો ઇનકાર કરી શકાય નહીં કે તેના લાંબા ગાળાના પરિણામો વિનાશક હશે.
હિન્દુત્વ એ ભાજપ અને આરએસએસ દ્વારા હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કલ્પનાનો પ્રયોગ છે. આ કોઈ ધર્મ કે શ્રદ્ધા નથી; તે બ્રાહ્મણવાદ અને સવર્ણ માનસિકતાથી ઓતપ્રોત બંધારણ વિરોધી, દલિત વિરોધી અને મહિલા અધિકાર વિરોધી વિચારધારાનું કટ્ટરપંથી સંસ્કરણ છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં ધાર્મિક અને સામાજિક સૌહાર્દ જાળવવાના ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારની વિરુદ્ધ છે. હિંદુ રાષ્ટ્રના વિચારમાં દેશના દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજ માટે સૌથી ભયજનક બાબત એ છે કે તે ભારતના આત્મા એટલે કે બંધારણને જડમૂળથી ઉખેડી નાખવા અને તેના સ્થાને મનુસ્મૃતિ આધારિત શાસન વ્યવસ્થા લાગુ કરવા ધારે છે.
આ પણ વાંચો: 80 કરોડ લોકો ગરીબ છે તો કુંભમાં 45 કરોડ કેવી રીતે પહોચ્યાં?
હિંદુ રાષ્ટ્રનું સપનું એવા તમામ કટ્ટરપંથી લોકોની ઢાલ છે જે પોતાના પાખંડ અને વિભાજનકારી પુસ્તકો દ્વારા આધુનિક સમયમાં પણ જાતિ વ્યવસ્થા અને અસ્પૃશ્યતા જેવી કુપ્રથાઓને જાળવી રાખવા માંગે છે.
હિન્દુ રાષ્ટ્રના નિર્માણની આડમાં RSS પોતાના સદીઓ જૂના ચાલી આવતી દલિતોને સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવવાની અને તેમના અધિકારોનું હનન કરવાની પ્રથાને ચાલુ રાખવા માંગે છે. તે કોઈપણ પ્રકારના પરિવર્તનને નકારે છે.
જ્યારે બાબા સાહેબ આંબેડકર હિન્દુ મહિલાઓની મુક્તિ માટે હિન્દુ કોડ બિલ લાવવા માંગતા હતા, ત્યારે આ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અન્ય હિન્દુત્વવાદી જૂથોએએ બિલ અનેબાબા સાહેબની ટીકા કરીને તેમની છબીને કલંકિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. હિન્દુત્વ એવા ઝેરી વટવૃક્ષની જેમ ફેલાતું જઈ રહ્યું છે જેના મૂળ અમાનવીય, અસ્પૃશ્યતા, ભેદભાવથી ભરેલા અને દલિતોના અધિકારો પ્રત્યે અસહિષ્ણુ અને ક્રૂર છે. જેનું ચરિત્ર જ મનુસ્મૃતિ અનુસાર જાતિ વ્યવસ્થા જાળવી રાખવાનું છે.
આ પણ વાંચો: ઈતિહાસના પાનામાં શોધી બતાવો આઝાદીમાં RSS ભાજપનું શું યોગદાન છે?
RSS ની સવર્ણ સંગઠનાત્મક વ્યવસ્થામાં દલિતો ક્યારેય તેમના અધિકારો મેળવી શકશે નહીં. કારણ કે મહોરું ભલે હિંદુત્વનું છે પરંતુ પુર્નસ્થાપના તો બ્રાહ્મણવાદની જ કરવાનો ઈરાદો છે. જાતિ વ્યવસ્થા મુજબ, દલિતો આરએસએસના રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં નીચલા દરજ્જાના કામો અને સેવાઓ તો કરી શકે છે પરંતુ ન તો પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે, ન તો કોઈ પ્રકારના નિર્ણયમાં પોતાનું યોગદાન આપી શકે છે.
સવર્ણ હિન્દુઓ ક્યારેય પોતાના પૌરાણિક ગ્રંથોથી પોતાને અલગ નહીં કરે અને જ્યાં સુધી તેમના ધાર્મિક ગ્રંથો તેમના સમાજમાં યથાસ્થિતિ પોતાના સ્થાન પર જળવાઈ રહેશે, ત્યાં સુધી તેઓ ક્યારેય દલિતોને પોતાની સમકક્ષ નહીં ગણે. ન દલિતો સાથે ભોજન કરી શકે છે, ન તેમના હાથનું પાણી પી શકે છે, ન તેમની સાથે બેસી શકે છે, કેમ કે તેમનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે, એવું તેમના ધર્મ ગ્રંથો કહે છે.
આ સમસ્યાઓનો એક જ ઉકેલ છે, જ્યારે હિન્દુઓ તેમના ધાર્મિક પુસ્તકોને તેમની સદીઓ જૂની સડી ગયેલી સંકુચિત માનસિકતા સાથે બાળી નાખે. જે હાલમાં અને ભવિષ્યમાં અશક્ય લાગે છે. તેથી, દલિતોને તેમના ઉત્થાન માટે RSSના રામ રાજ્યની નહીં પણ આંબેડકર યુગની જરૂર છે.
આ પણ વાંચો: 150 કરોડના ખર્ચે બન્યું RSS નું હેડક્વાર્ટર Keshav Kunj