30 લાખ આપો અને NEET માં 650 પ્લસ માર્ક્સ મેળવો

રાજકોટમાં NEETની પરીક્ષા ઉંચા માર્ક્સે પાસ કરાવી દેવાનું કૌભાંડ ઝડપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આમ આદમી પાર્ટીનો પૂર્વ મહામંત્રી છે.
neet exam scam

ભારતમાં એકબાજુ દલિત સમાજના વિદ્યાર્થીઓ રાતદિવસ જોયા વિના મહેનત કરીને શિક્ષણ જગતમાં સફળતા મેળવતા હોય છે. બીજી બાજુ જેમના બાળકો ભણવામાં હોંશિયાર નથી પણ હાથ ઉપર પૈસા છે તેવા કેટલાક સવર્ણો રૂપિયા ખવડાવીને તેમના દીકરા-દીકરીઓને નીટ, ગુજકેટ, જેઈઈ જેવી પરીક્ષાઓમાં ઉંચા માર્ક્સ અપાવવા જાતભાતના પેંતરાઓ કરતા રહે છે. આવું જ એક કૌભાંડ રાજકોટમાં સામે આવ્યું છે.

રાજકોટમાં NEET ની પરીક્ષા પાસ કરાવી દેવા અથવા વધારે માર્કસ અપાવી દેવાના બહાને લાખો રૂપિયા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પાંચ લોકો સામે ગુનો નોંધાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓમાં એક આરોપી આમ આદમી પાર્ટીનો પૂર્વ મહામંત્રી વિપુલ મૂળશંકર તેરૈયા છે, જ્યારે બીજો રોયલ એકેડમી સ્કૂલનો ચેરમેન રાજેશ પેથાણી છે, બંનેની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ સાથે જ ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ માટે અમદાવાદમાં ધામા નાખ્યા છે.

કૌભાંડ કેવી રીતે પકડાયું?

જેતપુરમાં રહેતા તુષારભાઈ વેકરીયાએ પોતાના પુત્રને નીટની પરીક્ષામાં ઉંચા માર્ક્સ અપાવવા માટે ધોરાજીમાં રહેતા રાજેશ હરિભાઈ પેથાણી, રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ તેરૈયા, તેના ભાઈ પ્રકાશ તેરૈયા (રહે. હાલ સુરત) અને કર્ણાટકના બેલગાંવના મનજીત જૈન સહિતની ટોળકીને રૂા. ૩૦ લાખ આપ્યા હતાં. જે અંગે રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે તપાસનીસ પીએસઆઈ અનિરૂધ્ધસિંહ જાડેજાએ મુખ્ય સુત્રધાર વિપુલ તેરૈયા, જે એજ્યુકેશનલ કન્સ્લટન્ટ ઉપરાંત એગ્રીકલ્ચર પ્રોડક્ટની એજન્સી ધરાવે છે અને રાજેશ હરિભાઈ પેથાણી જે રોયલ એકેડમી સ્કૂલ ચલાવે છે, તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:  મિલ મજૂર Naran Vora : દલિત અસ્મિતાની અનોખી મિસાલ

neet exam scam

ક્રાઇમ બ્રાંચ અત્યાર સુધીમાં આરોપીઓએ કેટલા વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવ્યા તે અંગે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ પાંચેક વિદ્યાર્થીઓને શિકાર બનાવ્યા હોવાની માહિતી મળી છે. જો કે આ આંકડો વધુ હોવાનું ક્રાઈમ બ્રાંચનું માનવું છે. આરોપીઓ જેવો શિકાર તે પ્રમાણે પૈસાની માગણી કરતાં હતા. તેમણે વાલીઓ પાસેથી રૂ. 30 લાખથી લઈને ૬૦ લાખ સુધી માગણી કરેલી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચે શું કહ્યું?

ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહીલે જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપવાના હોય તેને આરોપીઓ શોધી શિકાર બનાવતા હતા. ફરિયાદી તુષારભાઈ વેકરીયા સાધુ વાસવાણી રોડ પર આવેલી રોયલ એકેડેમી સ્કૂલના રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવીના સંપર્કમાં આવ્યા હતાં. ધવલ થકી તેરૈયા બંધુઓના કોન્ટેક્ટમાં આવ્યા હતાં. ત્યાર પછી આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂા. ૩૦ લાખ લીધા હતાં. આ છેતરપિંડી ૨૦૨૪ના જાન્યુઆરી માસમાં થઇ હતી. ૨૦૨૪માં કાંઇ નહીં થતાં ફરિયાદીને આરોપીઓએ આ વર્ષે કંઇક કરશું તેમ કહ્યું હતું. પરંતુ ફરિયાદીને શંકા જતાં પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

પોલ ખૂલી જવાની બીકે વાલીઓ ફરિયાદ નહોતા કરતા

આરોપીઓ નીટની પરીક્ષા બાબતે કાંઇ કરી શકતા ન હતાં. પૈસા પડાવ્યા બાદ પરત પણ આપતા ન હતા. આમ છતાં ભોગ બનનાર વાલીઓ ડરને કારણે પોલીસનો સંપર્ક પણ કરતાં ન હતા. જેના પરથી લાગે છે કે બીજા વાલીઓ પણ ભોગ બન્યાં છે. જે અંગે તપાસ થઇ રહી છે. મોટાભાગે આરોપીઓએ ૨૦૨૪માં જ આ કૌભાંડ આચર્યું હતું. આરોપી મનજીત બેલગાંવમા સીબીએસઇમાં એક્ઝામ કો ઓર્ડિનેટર તરીકે કામ કરતો હોવાની માહિતી મળી છે. મુખ્ય સુત્રધાર તરીકે મનજીત ઉપરાંત ધરપકડ કરાયેલા વિપુલની સંડોવણી ખુલી છે.

નીટની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સની ગેરંટી આપતા હતા

નીટની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી લઈને છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે આપના પૂર્વ મહામંત્રી એવા વચેટિયા વિપુલ તેરૈયા અને રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણીની ધરપડક કરી તમામની રિમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરી છે. ફરાર ત્રણ આરોપીને પકડવા ક્રાઈમ બ્રાંચની ટીમ અમદાવાદ અને સુરત દોડી ગઈ છે.

neet exam scam

પોલીસે જણાવ્યું હતું કે, રાજેશ પેથાણીએ ફૂલ ચાર વાલીઓ પાસેથી નિટમાં સારા માર્ક મેળવવા માટે સેટિંગ કર્યું હતું અને એક વાલી પાસેથી રૂપિયા લીધાં હતાં. આ કૌભાંડમાં સંડોવાયેલ સુરત અને કર્ણાટકના ટોળકીના સભ્યોની શોધખોળ શરૂ કરી છે. આધારકાર્ડમાં સરનામું બદલવા માટે અમદાવાદના એક એજન્ટની મદદ લીધી હોવાની માહિતીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ અમદાવાદ તપાસ અર્થે પહોચી છે.

સૌરાષ્ટ્રની અને જાણીતી સ્કૂલોના સંચાલકો પણ સંપર્કમાં હતા

તપાસમાં સૌરાષ્ટ્રમાં નામી સ્કૂલો ચલાવતાં સંચાલકો પણ રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણી આણી ટોળકી સાથે સંપર્કમાં હોવાથી મેડીકલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીને નીટમાં સારા માર્ક અપાવવા લાખો રૂપિયા પડાવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો:  સામાન અડતા દુકાનદારે માર્યો, દલિત બાળકે ગળેફાંસો ખાઈ લીધો

આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણી અને આપના પૂર્વ મહામંત્રી એવા વચેટિયા વિપુલ મૂળશંકર તેરૈયાની ધરપકડ કરી પાંચ દીવસના રિમાન્ડ ઉપર પુછપરછ કરતા કેટલાક ચોકાવનારા ખુલાસા થયા છે.
કૌભાંડ આચરવા પરીક્ષાનું કેન્દ્ર ગુજરાતને બદલે કર્ણાટક કરાવ્યું હતું

વિપુલ તેરૈયા મારફતે ધવલ સંઘવી સાથે રાજેશે વાત કરેલ હોવાથી તેના કહેવા મુજબ નીટની પરિક્ષાનું કેન્દ્ર ગુજરાતને બદલે બેલગાવ કર્ણાટક ખાતે કરાવ્યું હતું. જેમાં આધારકાર્ડમાં સરનામું બદલવા માટે અમદાવાદના એક એજન્ટની મદદ લીધી હોય જેને પકડવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ માટે અમદાવાદ આવી હતી. મેડિકલ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરેલ ત્યારે બેલગાવનું કરન્ટ એડ્રેસ કર્યું હતું જેથી પરીક્ષા સેન્ટર બેલગાવ આવેલ હતું.

એક આરોપી આમ આદમી પાર્ટીનો પૂર્વ મહામંત્રી છે

રોયલ એકેડમી સ્કૂલના ચેરમેન રાજેશ પેથાણી અને આપના પૂર્વ મહામંત્રી એવા વચેટિયા વિપુલ મૂળશંકર તેરૈયાની ધરપકડ કરી રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી, સુરત રહેતા પ્રકાશ મૂળશંકર તેરૈયા અને કર્ણાટક બેલગામ રહેતા સીબીએસસી પરિક્ષાના કો-ઓર્ડીનેટર મનજીત જૈનની શોધખોળ શરૂ કરી છે. પોલીસ કમિશ્નર બજેશ કુમાર ઝા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ બી.બી.બસીયાનીની સુચના હેઠળ પી.આઈ એમ.એન. ડામોર, પી.આઈ એમ.આર. ગોંડલીયા, સી.એચ.જાદવના માર્ગદર્શનથી ટીમના પીએસઆઈ એ. એન.પરમાર અને ટીમ વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: ખેતમજૂર માબાપની દીકરી કેરળની પ્રથમ આદિવાસી એર હોસ્ટેસ બની

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x