પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ‘રંગભેદ’થી કંટાળીને કોમેન્ટ્રી છોડી દીધી!

પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણે 23 વર્ષની લાંબી કોમેન્ટ્રી કારકિર્દી બાદ રંગભેદ અને માનસિક ત્રાસથી કંટાળીને નિવૃત્તિ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે.
Former cricketer Laxman Sivaramakrishna

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણન હાલ એક અત્યંત ગંભીર બાબતને લઈને ચર્ચામાં છે. 23 વર્ષ સુધી સતત કોમેન્ટ્રી બોક્સમાં બેસીને મેચનું સૂક્ષ્મ વિશ્લેષણ કરનાર આ દિગ્ગજ ખેલાડીએ આખરે કોમેન્ટ્રીને અલવિદા કહી દીધું છે. લક્ષ્મણે આ નિવૃત્તિ કોઈ વય મર્યાદા કે થાકને કારણે નથી લીધી પરંતુ દાયકાઓથી સહન કરેલા રંગભેદ અને પક્ષપાતી વલણથી કંટાળીને લીધી હોવાનું તેમણે જણાવ્યું છે. શિવરામકૃષ્ણને આરોપ લગાવ્યો છે કે તેમના શ્યામ રંગના કારણે ક્યારેય તેમને ક્રિકેટ મેચ દરમિયાન ટોસ કે પ્રેઝન્ટેશન માટે મોકલવામાં આવતા નહોતા. તેમને વારંવાર પ્રોડક્શન ટીમો દ્વારા એવું કહીને અપમાનિત કરવામાં આવ્યા કે તેઓ ટીવી સ્ક્રીન પર ‘પ્રેઝન્ટેબલ’ એટલે કે દેખાવડા લાગતા નથી. આ ઘટના બીસીસીઆઈમાં રહેલા આંતરિક ભેદભાવના વરવા અને અમાનવીય સ્વરૂપને ખુલ્લું પાડે છે.

પ્રેઝન્ટેશન અને ટોસથી કાયમ દૂર રખાયાનો આક્ષેપ

કોમેન્ટ્રીની દુનિયામાં બે દાયકાથી વધુ સમય પસાર કરવા છતાં શિવરામકૃષ્ણને ક્યારેય પણ મેચની શરૂઆતમાં થતી ટોસ પ્રક્રિયા કે મેચ પૂરી થયા પછીના એવોર્ડ ફંક્શન એટલે કે પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન જેવી મહત્ત્વની ભૂમિકાઓ સોંપવામાં આવી ન હતી. સામાન્ય રીતે અનુભવી કોમેન્ટેટર્સને આ જવાબદારી મળતી હોય છે, પરંતુ તેમના કિસ્સામાં હંમેશા તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ વંશીય ભેદભાવના આરોપ લગાવ્યા

જ્યારે તેમણે આખરે કંટાળીને પ્રોડક્શન ટીમ પાસે આ અંગે લેખિત કે મૌખિક સ્પષ્ટતા માંગી, ત્યારે જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો. તેમને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે અમારા બોસના નિર્દેશ મુજબ તમને આ કામ સોંપવાનું નથી કારણ કે તમે સ્ક્રીન પર પ્રેઝન્ટેબલ લાગતા નથી. આ પ્રકારનું નિવેદન કોઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી માટે આત્મસન્માન પર ઘા સમાન હોય છે. શિવરામકૃષ્ણે આ સમયે દલીલ કરી હતી કે વિશ્વના સૌથી લોકપ્રિય ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ પણ ઘેરો રંગ ધરાવે છે, છતાં તેઓ સફળ છે, તો તેમની સાથે જ આવો પક્ષપાત કેમ?

કોરોના કાળમાં ક્વોરેન્ટાઇનનો સમયગાળો અને ડિપ્રેશન

કોરોના મહામારી દરમિયાન જ્યારે આઈપીએલ યુએઈમાં યોજાઈ હતી. ત્યારે શિવરામકૃષ્ણ માટે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. બાયો-બબલમાં રહેતી વખતે ક્વોરેન્ટાઇનના એકાંતમાં તેમની વર્ષો જૂની ડિપ્રેશનની સમસ્યા ફરી ઉભરી આવી હતી. અન્ય કોમેન્ટેટર્સ બહાર જઈ શકતા હતા, પરંતુ શિવરામકૃષ્ણ પર ખોટા આક્ષેપો મૂકવામાં આવતા હતા. તેમને એવી રીતે ચિતરવામાં આવ્યા કે તેઓ દારૂ પીવે છે, જેના કારણે તેઓ પોતાના રૂમમાં જ કેદ રહેતા હતા. આ માનસિક તણાવ એટલી હદે વધી ગયો હતો કે તેમને જૂની કડવી યાદો અને ભ્રમ (હાલ્યુસિનેશન) થવા લાગ્યા હતા. આ કપરા સમયમાં પણ બીસીસીઆઈના પ્રોડક્શન હાઉસના લોકો સીધો સંપર્ક કરવાને બદલે તેમના મિત્રોને ફોન કરીને હાલચાલ પૂછતા હતા. આ પ્રક્રિયા તેમને એક ખોટી આશા આપતી હતી કે કદાચ તેમને કામ મળશે, પરંતુ અંતે તો તે માત્ર માનસિક ટ્રોમા જ સાબિત થયો.

આ પણ વાંચો: સિનિયર ક્રિકેટરે મને કહ્યું, ‘મારે તારી સાથે સૂવું છે’

45 વર્ષનો લાંબો ટ્રોમા અને આત્મસન્માનની લડાઈ

લક્ષ્મણ શિવરામકૃષ્ણના મતે આ ભેદભાવ કોઈ નવી ઘટના નથી. 15 વર્ષની નાની ઉંમરથી જ્યારે તેઓ ભારતીય ટીમ માટે રમતા હતા, ત્યારથી લઈને 60 વર્ષની ઉંમર સુધી એટલે કે પૂરા 45 વર્ષ તેઓ આ જાતીય અને રંગ આધારિત પક્ષપાતનો સામનો કરી રહ્યા છે. મેદાન પરના પ્રદર્શન કરતા તેમના દેખાવ પર વધુ ટિપ્પણીઓ થતી હતી. તેમની પીડા હવે એટલી હદે ચરમસીમા પર પહોંચી ગઈ છે કે તેમણે પોતાના ઘરમાંથી ક્રિકેટ સાથે જોડાયેલી તમામ યાદો, મેડલ્સ, ટ્રોફીઓ અને જૂની જર્સી પણ હટાવી દીધી છે. તેઓ હવે ભૂતકાળના આ કાળા ભારને ખભે રાખીને જીવવા માંગતા નથી.

તેમણે ટ્વીટ કરીને પોતાની નિવૃત્તિ જાહેર કરી અને જણાવ્યું કે એક સ્પંજ જેટલું શોષી શકે તેટલું જ પાણી શોષે છે, ત્યાર બાદ તે ફાટી જાય છે. શિવરામકૃષ્ણની સહનશીલતા પણ હવે ખૂટી ગઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ હવે માત્ર શાંતિ ઈચ્છે છે અને આ પક્ષપાતી વ્યવસ્થામાંથી મુક્ત થવા માંગે છે. આ ઘટનાએ રમત ગમત પ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે અને બ્રોડકાસ્ટિંગના ધોરણો પર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: શું સંજુ સેમસન બીજો વિનોદ કાંબલી બની જશે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x