જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા છે. જેમાં ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમાર પણ સામેલ હતા. આજે 24મી એપ્રિલના રોજ બંનેના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા. જ્યાં પિતા-પુત્રની એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર ભાવનગર શહેર હિબકે ચઢ્યું હતું.
પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા મૃતક પિતા-પુત્રના મૃતદેહને ઘરે લવાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતમાં શૈલેષ કળથિયાની અંતિમ વિધિમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ સી. આર. પાટીલ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ પણ હાજરી આપી હતી અને મૃતકના પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે આ ભયાનક આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી.
18 એપ્રિલે યતીશભાઈએ કાશ્મીરમાં જ જન્મદિવસ ઉજવ્યો હતો
આ પણ વાંચો: યે હમ કશ્મીરિયોં કે મહેમાન હૈ, ઈન્હે મત મારો..
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા યતીશભાઈ પરમાર વિશે ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે હજુ તો અમુક જ દિવસ પહેલા એટલે કે 18 એપ્રિલે તેમનો જન્મદિવસ હતો અને જમ્મુ-કાશ્મીરમાં જ તેમણે પત્ની, પુત્ર, સાસુ-સસરા અને અન્ય પરિજનો સાથે મળીને ઉજવણી કરી હતી. ત્યાં જન્મદિવસના ત્રીજા દિવસે જ મૃત્યુને ભેટતાં પરિજનોમાં આઘાત પ્રસરી ગયો છે.
ફ્લાઈટમાં બંને મૃતદેહોને શ્રીનગરથી અમદાવાદ લવાયા
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: ધોળકાના સાથળમાં દલિતો અંતિમક્રિયા માટે 12 કિ.મી. દૂર જાય છે