ગુજરાતમાં ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારે ફરી એકવાર વિચરતી વિમુક્ત જાતિના લોકોને અન્યાયકારી પગલું ભર્યું છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ડિપ્લોમાં કોર્ષોમાં ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી,પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે અપાતી સહાય બંધ કરી દેવામાં આવી છે. હાલ સરકારે ડિપ્લોમા કોર્સસીમાં પ્રવેશ પ્રક્રિયા પુરી થવા આવી છે અને અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા છે ત્યારે આ નિર્ણય કરતા વિદ્યાર્થીઓ ફસાયા છે.
ગયા વર્ષે પણ સરકારે ખાનગી કોલેજોના મેનેજમેન્ટ ક્વોટા-વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનારા આદિવાસી કેટેગરીના વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ નહીં આપવાનો ઠરાવ જે રીતે પ્રવેશ પ્રક્રિયા પુરી થવા આવી ત્યારે કર્યો હતો, તે જ રીતે હવે આ વર્ષે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણ સહાય ન આપવાનો નિર્ણય કર્યો છે.
સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ મુજબ આ વર્ષથી માત્ર સ્નાતક અને અનુસ્નાતકમાં જ ખાનગી કોલેજોમાં અભ્યાસ બદલ વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને જ સહાય મળશે. જ્યારે રાજ્ય બહારની નેશનલ રેન્કિંગમાં ટોપ 100માં સ્થાન ધરાવતી હોય તેવી કોલેજમાં જ પ્રવેશ લેનારા વિદ્યાર્થીને સહાય મળશે. સરકારના નવા ઠરાવની જોગવાઈઓ મુજબ વિદ્યાર્થી જો અધવચ્ચેથી અભ્યાસ છોડી ફરી અભ્યાસ શરૂ કરે તો વધુમાં વધુ 3 વર્ષના ગેપને માન્ય રાખી સહાય અરજી મંજૂર કરાશે.
આ પણ વાંચો: ગુજરાતની 9 ખાનગી યુનિ. સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માંગ
વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં અપાતી સહાય યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે વાલીની વાર્ષિક 2 લાખની આવક મર્યાદામાં સહાય આપવામા આવે છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી અને શિક્ષણ ફી પેટે વાર્ષિક ખરેખર કુલ ફી કે વધુમાં વધુ 50 હજાર બંનેમાંથી ઓછુ હોય તેટલી શિષ્યવૃત્તિ રકમ ડાયરેક્ટ બેંકથી ટ્રાન્સફર કરાય છે.
સરકારના આ ઠરાવ મુજબ માત્ર યુજી-પીજીમાં જ સહાય આપવાની હોવાથી હવે ડિપ્લોમા કોર્સીસના વિદ્યાર્થીઓને સહાય નહીં મળે. ડિપ્લોમા ઈજનેરીમાં આ જાતિના દર વર્ષે બે હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે ત્યારે આ વર્ષે અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા છે અને સરકારે આ સહાય બંધ કરતા અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે.
કારણકે હવે ડિપ્લોમાના વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને પીએમ યશસ્વી યોજના ,એમવાયએસવાય અને ફૂડ સહાય તથા સાધન સહાય હેઠળ સહાય મળશે. પરંતુ હોસ્ટેલમાં ન રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને ફૂડ સહાયની જરૂર રહેતી નથી અને એમવાયએસવાયમાં પણ 80 ટકાથી વધુ હોય તેને જ સહાય મળે છે. આમ બાકીના વિદ્યાર્થીઓને 50 હજારની સહાયની સામે હવે ખૂબ જ ઓછી સહાય મળશે. જો કે જૂના એટલે કે અગાઉ પ્રવેશ લેનારા ડિપ્લોમા સ્ટુડન્સને 50 હજારની સહાય ચાલુ રહેશે.
આ પણ વાંચો: કાવડ યાત્રાની ટીકા કરનાર દલિત શિક્ષકને ગામલોકોએ મંદિર સામે નાક રગડાવ્યું