Gujarat Model: નરેન્દ્ર મોદી અને ભાજપના રાજમાં ગુજરાતની માઠી દશા બેઠી છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ગરીબી ગુજરાતીઓને આંટો લઈ ગઈ છે. મોદી સરકારના વિકાસના મસમોટા દાવાઓ વચ્ચે રાજ્યમાં 3.65 કરોડ ગુજરાતીઓ સરકારી અનાજ પર જીવવા મજબૂર હોવાનું સામે આવ્યું છે. ભારતની જેમ ગુજરાતમાં પણ અમીરો વધુ અમીર અને ગરીબો વધુ ગરીબ બનતા જઈ રહ્યા છે. ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
સ્થિતિ એ થઈ છે કે, રાજ્યમાં 3.65 કરોડ લોકો સરકારી સસ્તા અનાજની દુકાનો પર જીવન ગુજારવા મજબૂર બન્યાં છે. તેના પરથી ગુજરાતમાં લોકોની આર્થિક સ્થિતિ કેટલી હદે કથળી ચૂકી છે તેનો અંદાજ આવે છે. ગરીબીનું દારૂણ ચિત્ર ઉભર્યું છે, તેમ છતાં ભાજપના નેતાઓ સતત વિકાસના બણગાં ફૂંકી રહ્યાં છે.
3.65 કરોડ ગુજરાતીઓ સરકારી અનાજ માટે લાઈનમાં
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ ગરીબીરેખા નીચે જીવતા પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પુરૂ પાડવામાં આવે છે. સાથે સાથે અન્ય રેશનકાર્ડ ધારકોને રાહત ભાવે અનાજથી માંડીને ખાંડ, મીઠું વિતરણ કરાય છે. ગુજરાતમાં હાલ કુલ રેશનકાર્ડ ધારકોની સંખ્યા 75.17 લાખ છે. ગુજરાતમાં વર્ષ 2021-22માં 3.41 કરોડ રૂપિયા લોકો મફત અને રાહત દરે અનાજ મેળવતાં હતાં. હવે વર્ષ 2025-26માં વ્યાજબી ભાવની દુકાને લાઇનમાં ઊભા રહેનારાંની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો
5 વર્ષમાં 24 લાખ ગરીબો વધ્યાં!
પાંચ વર્ષના સમયગાળામાં મફત-સસ્તા દરે અનાજ લેનારાઓની સંખ્યામાં 24 લાખનો વધારો થયો છે. જે ગુજરાતના ગરીબ પરિવારોની દારુણ સ્થિતિની કડવી હકીકત રજૂ કરે છે. વર્ષ 2022-23માં ગુજરાતમાં 3.45 કરોડ લોકો મફત અનાજ મેળવતાં હતાં. જ્યારે વર્ષ ૨૦૨૫માં મફત-સસ્તુ અનાજ લેનારાઓની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી ગઈ છે. દર વર્ષે સસ્તુ-મફત અનાજ મેળવનારાંની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યા સતત વધી રહી છે
કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે રાજ્યસભામાં રિપોર્ટ રજૂ કર્યો છે કે, ગુજરાતમાં 365.84 લાખ લોકો રેશનકાર્ડ આધારે મફત અને રાહત દરે અનાજ, તેલ, ચણા, ખાંડ અને મીઠું મેળવે છે. સમૃદ્ધ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાતની ઓળખ ધરાવતાં ગુજરાતમાં જ ગરીબ પરિવારોની સ્થિતિ વધુને વધુ કફોડી બની રહી છે.
લોકોના આર્થિક સુધાર માટેની અનેક સરકારી યોજનાનો અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીનું ચિત્ર સુધર્યું નથી. નોંધનીય છે કે, દેશમાં કેરળ ગરીબીમાંથી મુક્ત થયું છે, જ્યારે ગુજરાત પરિસ્થિતિ ઉલટી છે, અહીં ગરીબ પરિવારોની સંખ્યામાં વધી રહી છે. લોકોને બે ટંક ખાવાના ય ફાંફા છે, ત્યારે ભાજપ અને રાજ્ય સરકારે મફત-સસ્તા દરે અનાજ વહેચીને રાજકીય સિદ્ધી ગણાવી રહી છે.
આ પણ વાંચો: કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત ટોચે, 6 વર્ષમાં 95 આરોપીનાં મોત










