‘મનુવાદીઓ સાંભળી લો, ડૉ.આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટમાં જ લાગશે’

બ્રાહ્મણ વકીલોએ ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે વિરોધ કર્યો છે ત્યારે 10 હજાર બહુજનોએ મળીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો.
gwalior high court dr ambedkar statue

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં હાઈકોર્ટ પરિસરમાં બંધારણના ઘડવૈયા મહામાનવ ડો.આંબેડકરની પ્રતિમા લગાવવાનું નક્કી કરાયું હતું. પરંતુ છેલ્લી ઘડીએ બાર એસોસિએશનના બ્રાહ્મણ વકીલોએ તેનો ભારે વિરોધ કર્યો હતો. જેના કારણે બાબાસાહેબની પ્રતિમા લગાવવાનું કામ અટકી પડ્યું છે. મનુવાદી તત્વોને દેશના બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી ડો.આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટ પરિસરમાં લાગે તેની સામે વાંધો છે.

આ એ તત્વો છે, જેમને રાજસ્થાન હાઈકોર્ટમાં વર્ષોથી ઉભેલી મનુની પ્રતિમા સામે કોઈ વાંધો નથી, પરંતુ બાબાસાહેબની પ્રતિમા સામે ભારોભાર નફરત છે. આથી જ તેમણે આખા મામલાને વિવાદિત બનાવવા પ્રયત્ન કર્યો છે. હવે આ મામલે બહુજન સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે અને એકતા બતાવી છે.

gwalior high court dr ambedkar statue

મહા પંચાયતમાં 10 હજારથી વધુ બહુજન યોદ્ધાઓ પહોંચ્યાં

ગ્વાલિયરમાં હાઇકોર્ટમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈને ભીમ આર્મી, ભારત એકતા મિશન અને આઝાદ સમાજ પાર્ટી દ્વારા ગઈકાલે ગ્વાલિયરના ફૂલબાગ મેદાનમાં મહાપંચાયત બોલાવવામાં આવી હતી, પરંતુ પોલીસે મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા કાર્યકરો, સામાજિક આગેવાનોને ગ્વાલિયર-મોરેના બોર્ડર પર નિરાવલી પોઇન્ટ પર  અટકાવી દીધા હતા. જો કે, બહુજન સંગઠનોએ જરાય નમતું જોખ્યું નહોતું અને તેમણે ત્યાં જ  મહાપંચાયત યોજી હતી, જેમાં પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં બપોરે 2:30 વાગ્યા સુધીમાં 10 હજારથી વધુ કાર્યકરો પહોંચી ગયા હતા.

‘ડૉ.આંબેડકરની પ્રતિમા હાઇકોર્ટ પરિસરમાં જ સ્થાપિત થશે’

આ મહાપંચાયતના સ્ટેજ પરથી ભીમ આર્મી ભારત એકતા મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતન સિંહ સહિત ઘણા નેતાઓએ જાહેરાત કરી હતી કે ગમે તે થાય, આંબેડકરની પ્રતિમા ગ્વાલિયર હાઇકોર્ટ પરિસરમાં જ સ્થાપિત કરવામાં આવશે. નેતાઓએ કહ્યું કે બાબા સાહેબે બંધારણ બનાવ્યું જે તમામ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. તેમની પ્રતિમાનો વિરોધ કરનારાઓએ આ સમજવું પડશે. જો આ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.

આ પણ વાંચો: હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 715 જજોમાંથી ફક્ત 22 જજો SC

gwalior high court dr ambedkar statue

રાજસ્થાન, એમપી, યુપી, પંજાબ, હરિયાણાથી કાર્યકરો પહોંચ્યા

આ મહાપંચાયતમાં હાજરી આપવા માટે દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં બહુજન કાર્યકરો, આગેવાનો અને ભીમયોદ્ધાઓ પહોંચ્યાં હતા. તેમને મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારના ઈશારે ગ્વાલિયર શહેરની બહાર જ રોકી દેવામાં આવ્યા હતા. અન્ય શહેરોમાંથી આવતા કાર્યકરોને પણ રોકવામાં આવ્યા. દિલ્હી અને આગ્રાથી આવતા વાહનોને ધોલપુર અને મુરેનામાં રોકવામાં આવ્યા જેથી કોઈ મોટી ભીડ ગ્વાલિયર શહેરમાં પ્રવેશી ન શકે. જો કે, સેંકડો કાર્યકરો પોલીસને ચકમો આપીને મહાસંમેલનમાં પહોંચી ગયા હતા અને જય ભીમના નારા સાથે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.

1000 જેટલી પોલીસ ખડકી દેવાઈ

બહુજનોની મહાપંચાયતને નિષ્ફળ બનાવવા માટે મધ્યપ્રદેશની સત્તાધારી ભાજપ સરકાર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ગ્વાલિયર શહેરથી મુરેના સરહદ સુધી 1000 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. કથિત સંવેદનશીલ વિસ્તારોમાં વરિષ્ઠ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી. જો કે બહુજન સંગઠનોએ એવી કોઈ પ્રવૃત્તિ કરી નહોતી જેનાથી પરિસ્થિતિ તંગ બને. તેમણે શાંતિપૂર્ણ રીતે પોતાની માગણીઓ માટે સંમેલન યોજ્યું હતું.

મનુવાદી તત્વોને ડો.આંબેડકરની જાતિ સામે વાંધો છે

ઉલ્લેખનીય છે કે, ગ્વાલિયર હાઈકોર્ટના પરિસરમાં ડો. આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈને મનુવાદીઓ દ્વારા સતત નવા વિવાદો ઉભા કરવામાં આવે છે. આઝાદીના સાડા સાત દાયકા પછી પણ મનુવાદીઓ એ બાબત હજમ કરી શકતા નથી કે દલિત સમાજમાંથી આવતી એક વ્યક્તિએ ભારતનું બંધારણ લખ્યું હતું. મહાર જાતિમાં જન્મેલો માણસ આટલી પ્રચંડ બુદ્ધિપ્રતિભા ધરાવતો હોય તે મનુવાદીઓને ઝેર જેવું લાગે છે. અને એટલે જ તેઓ વારંવાર ડો.આંબેડકરનું અપમાન કરવાના પેંતરાઓ કરતા રહે છે.

મધ્યપ્રદેશની ગ્વાલિયર હાઈકોર્ટના પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા લગાવવાનું નક્કી થઈ ગયું હોવા છતાં બાર એસોસિએશનના બ્રાહ્મણ વકીલોએ તેનો વિરોધ કર્યો છે. પરંતુ બહુજન સમાજે પણ હવે નક્કી કરી લીધું છે કે, મનુવાદી તત્વોની આ જાતિવાદી ચાલને તેઓ સફળ નહીં થવા દે અને ડો.આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટ પરિસરમાં જ લગાવશે. આ મામલે તમામ બહુજન સંગઠનોનો ટેકો મળ્યો છે.

આ પણ વાંચો: ગ્વાલિયર હાઈકોર્ટમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા સામે બ્રાહ્મણ વકીલોનો વિરોધ

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x