Dalit News: લગ્નનો પ્રસંગ વર-કન્યા અને તેના પરિવારજનો માટે સૌથી મહત્વનો પ્રસંગ હોય છે. પરંતુ જાતિવાદી તત્વો દલિત સમાજના લોકોના લગ્ન પ્રસંગોને પોતાની જાતિના અભિમાન સાથે જોડીને લગ્ન પ્રસંગોમાં તોફાન મચાવતા હોય છે. ગુજરાત સહિત દેશભરમાં હાલ લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે જાતિવાદી તત્વો દ્વારા દલિત વર-કન્યાની બારાત પર હુમલાની ઘટનાઓ પણ વધી ગઈ છે.
દલિત કન્યાની જાન અટકાવવા રસ્તામાં પાણી ભરી દીધું
આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના હાથરસમાં સામે આવી છે. જ્યાં એક દલિત કન્યાની બારાત પોતાના ઘર પાસેથી પસાર ન થવા દેવા માટે ઠાકુર જાતિના ગુંડાઓએ બારાતના પસાર થવાનો રસ્તો ખોદીને તેમાં પાણી ભરી દીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ગામમાં પહોંચી ગયો હતો, એ પછી પોલીસ સુરક્ષા વચ્ચે દલિત કન્યાની બારાત નીકળી હતી.

આ પણ વાંચો: જામખંભાળિયામાં આહિર વૃદ્ધે ધો.10ની દલિત સગીરાની છેડતી કરી
ઉત્તરપ્રદેશના હાથરસના નગલા રામબલની ઘટના
મામલો હાથરસના નગલા રામબલ ગામનો છે. અહીં દલિત સમાજમાંથી આવતા સત્યપાલ સિંહની પુત્રીના લગ્નની જાન આવી હતી. એ દરમિયાન ઠાકુર જાતિના કેટલાક બદમાશોએ બારાતને રોકવા માટે રસ્તામાં પાણી ભરી દીધું હતું. ઘટનાની માહિતી મળતાં પોલીસ પહોંચી અને ભારે સુરક્ષા હેઠળ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો. એ દરમિયાન ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઠાકુર જાતિના લોકોએ અગાઉ પણ દલિત સમાજના લગ્નોમાં દાદાગીરી કરીને તોફાન મચાવ્યું છે. તેઓ દલિત સમાજના લોકોને ધમકી આપીને કાબૂમાં રાખવા આ પ્રકારની હરકતો કરતા રહે છે.

ભીમ આર્મીના કાર્યકરો દલિત પરિવારની મદદે આવ્યા
દલિત કન્યાની જાન રોકી હોવાની જાણ થતા ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ પ્રકાશ ચંદ્ર ગૌતમ, અજય કુમાર, તિલક સિંહ નિગમ, રાશિદ મલિક અને સચિન ગૌતમ સહિત અન્ય ઘણા સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સાસણી પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરી હતી. એ પછી સાસણી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અવધેશ કુમાર ભારે પોલીસ ફોર્સ સાથે ગામમાં પહોંચ્યા હતા. સાસણી પોલીસ સ્ટેશનના પીઆઈ અવધેશ કુમારની હાજરીમાં પોલીસ ફોર્સ દ્વારા જાનને પ્રોટેક્શન પુરું પાડવામાં આવ્યું હતું, એ પછી લગ્નની બધી વિધિઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. લગ્ન સમારોહ પૂર્ણ થયા પછી કન્યાના પરિવારે પોલીસનો આભાર માન્યો હતો. જો કે આ ઘટનાએ ફરી એકવાર ઠાકુર જાતિના યોગી આદિત્યનાથ યુપીના સીએમ બન્યા બાદ કેટલી દાદાગીરી પર ઉતરી આવ્યા છે તેની ચાડી ખાય છે.
આ પણ વાંચો: ભાવનગરમાં લગ્નના દિવસે જ વરે કન્યાની હત્યા કરી નાખી
ભીમ આર્મીના જિલ્લા પ્રમુખે શું કહ્યું?
ભીમ આર્મીના જિલ્લા પ્રમુખે આ ઘટનાનો ખુલાસો કરતા કહ્યું કે, ગઈકાલે રાત્રે ગામના ઠાકુર સમાજના લોકો દ્વારા દલિત કન્યાની જાનને ગામમાં જતા રોકી હતી. તેમણે કહ્યું કે અમે તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી. તોફાનીઓએ દલિત કન્યાની બારાતને રોકવા માટે રસ્તામાં પાણી છોડ્યું હતું. જેના કારણે મામલો તંગ બન્યો હતો.
આ પણ વાંચો: લગ્નમાં ડો.આંબેડકરના ફોટા લઈને કેમ નીકળ્યા છો?’ કહી સવર્ણોનો હુમલો










