મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં, એક હિન્દુ સંગઠન સાથે જોડાયેલા કેટલાક લોકોએ એક યુવાનને નિર્દયતાથી માર માર્યો. મળતી માહિતી મુજબ યુવક મુસ્લિમ છે અને તે એક હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે યુવાનો એક યુવતને માર મારી રહ્યાં છે. તેઓ પહેલા યુવકને થપ્પડ મારે છે અને જ્યારે તે જમીન પર પડી જાય છે, ત્યારે તેઓ તેના ચહેરા પર લાત મારતા પણ જોવા મળે છે. યુવકને માર મારનારા તત્વો હિન્દુ સંગઠનના કાર્યકરો હોવાનું કહેવાય છે, અને જે યુવકને માર મારવામાં આવી રહ્યો છે તે નરસિંહપુરનો એક મુસ્લિમ યુવક છે.
મળતી માહિતી અનુસાર, નરસિંહપુરનો રહેવાસી એક મુસ્લિમ યુવક હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા માટે ભોપાલ કોર્ટ પહોંચ્યો હતો. જ્યારે સંસ્કૃતિ બચાવો મંચ નામના હિન્દુત્વવાદી સંગઠનો સાથે સંકળાયેલા લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ કોર્ટમાં પહોંચી ગયા. મુસ્લિમ યુવક ત્યારે લગ્નની કાયદેસરની કાર્યવાહી પુરી કરી રહ્યો હતો. એજ વખતે આ લોકો તેના પર તૂટી પડ્યા હતા.
આ પણ વાંચોઃ સેક્યુલર ભારતમાં પહેલીવાર મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર
પોલીસ દ્વારા આ ઘટનાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે યુવક અને યુવતી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. હિન્દુ સંગઠનના કાર્યકરોનો આરોપ છે કે મુસ્લિમ યુવક હિન્દુ છોકરીને લલચાવીને તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. આ લવ જેહાદનો કેસ છે. આરોપી યુવક સામે કાર્યવાહી થવી જોઈએ.
જાણકારી મુજબ યુવક અહીંના નરસિંહપુરનો રહેવાસી છે અને તેનું નામ શહજાદ પિપરિયા છે. તે એક હિંદુ યુવતીને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. આજે બંને ભોપાલ કોર્ટમાં લગ્નની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પહોંચ્યા હતા. એ દરમિયાન ભોપાલ સ્થિત સંસ્કૃતિ બચાવો મંચના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારી સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને શહજાદને મારવાનું શરૂ કરી દીધું હતું.
ભોપાલમાં હિંદુ યુવતી સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચેલા મુસ્લિમ યુવકને સંસ્કૃતિ બચાવો મંચના કાર્યકરોએ કોર્ટ પરિસરમાં માર માર્યો.#khabarantartwits #khabarantargujarat pic.twitter.com/CC4zihzSvs
— khabar Antar (@Khabarantar01) February 7, 2025
ચંદ્રશેખર તિવારીનું કહેવું છે કે, શહજાદ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભોપાલ લઈ આવ્યો છે અને વકીલો પાસેથી જાણકારી મળ્યા બાદ તેઓ કાર્યકરો સાથે અહીં પહોંચ્યા છે અને પોલીસને પણ જાણ કરી છે. તિવારીનું કહેવું છે કે, હિંદુ યુવતીઓ સાથે બનતી આવી ઘટનાઓને કારે લોકો ગુસ્સે ભરાયા હતા અને તેને માર માર્યો હતો.
સંસ્કૃતિ બચાવો મંચે માંગ કરી છે કે, શહજાદ અહમદ પર રેપ અને લવ જેહાદ અંતર્ગત કેસ કરવામાં આવે. ચોંકાવનારી વાત છે કે, પોલીસે કારણ વિના યુવક-યુવતીને અટકાયતમાં લઈ લીધાં હતા. જો કે, પોલીસનું કહેવું છે કે, તેમને આ મામલે કોઈ ફરિયાદ નથી મળી અને તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા