કેનેડાના ટોરોન્ટોમાં તા. 25 થી 27 મે 2025 દરમિયાન યોજાયેલી ‘ગ્લોબલ કોન્ફ્રરન્સ ફોર અ કાસ્ટ ફ્રી વર્લ્ડ’માં જાતિવિહીન વિશ્વ માટે 17 મુદ્દાઓની યોજનાનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. જાતિ ભેદભાવ અને જાતિ આધારિત અત્યાચારો સામે વૈશ્વિક સ્તરે એક મોટી પહેલ કરીને ટોરોન્ટોમાં આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદ ઐતિહાસિક “ટોરોન્ટો ઘોષણા” સાથે સમાપ્ત થઈ, જેમાં જાતિ-આધારિત ભેદભાવને સમાપ્ત કરવા માટે વૈશ્વિક વ્યૂહરચના અને 17 સૂત્રી એજન્ડા રજૂ કરવામાં આવ્યો.
દુનિયાભરના પ્રતિનિધિઓએ ભાગ લીધો
આ પરિષદમાં દુનિયાભરના દલિતો, રોમા, બુરાકુમિન, હારાતીન, કિલોમ્બોલાસ જેવા જાતિગત અત્યાચારોનો ભોગ બનતા સમાજના પ્રતિનિધિઓ, નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનોએ ભાગ લીધો હતો.
આ પરિષદમાં ભાગ લેનાર લોકોએ સ્વીકાર્યું હતું કે જાતિ વ્યવસ્થા ફક્ત ભારત કે દક્ષિણ એશિયા સુધી મર્યાદિત નથી, પરંતુ અમેરિકા, યુરોપ, જાપાન, આફ્રિકા અને અન્ય પ્રદેશોમાં પણ વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. આથી તેનું નિર્મૂલન જરૂરી છે.
આ પણ વાંચો: ઈલોન મસ્કનું Grok AI મોદી સરકાર માટે માથાનો દુઃખાવો બન્યું
જાતિવાદને માનવ અધિકાર ભંગ ગણવા હાકલ કરાઈ
ઘોષણાપત્રમાં સંયુક્ત રાષ્ટ્ર અને તમામ દેશોને જાતિવાદને નસ્લભેદ અને રંગભેદ સમાન માનવ અધિકાર ઉલ્લંઘન તરીકે માન્યતા આપવા હાકલ કરવામાં આવી હતી. તેમાં શિક્ષણ, કાયદો, રાજકારણ અને સામાજિક-આર્થિક સુધારાઓ દ્વારા જાતિને નાબૂદ કરવા માટે નક્કર પગલાં પણ સૂચવવામાં આવ્યા હતા. ખાસ કરીને, કેનેડા સહિત તમામ દેશોમાં ‘જાતિ’ને સંરક્ષિત શ્રેણી તરીકે સમાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ડૉ.આંબેડકરના વારસાદને યાદ કરવામાં આવ્યો
પરિષદમાં ડૉ. આંબેડકરના વારસાને આદરપૂર્વક યાદ કરવામાં આવ્યો હતો અને જાતિવિહીન સમાજની દિશામાં યુવાનો, મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોના નેતૃત્વ ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો. “ટોરોન્ટો ઘોષણા” એ 21મી સદીમાં જાતિવાદનો અંત લાવવા માટે એક નૈતિક આહવાન છે, જે સમગ્ર વિશ્વમાં સમાનતા, ન્યાય અને ગૌરવ તરફ નક્કર પગલાં લેવાની માંગ કરે છે.
ટોરોન્ટો કોન્ફરન્સના મુખ્ય નિર્ણયો અને માંગણીઓ:
(1) જાતિવાદને વૈશ્વિક સ્તરે નસ્લભેદ અને રંગભેદની જેમ માનવ અધિકાર ભંગ તરીકે માન્યતા આપવી જોઈએ.
(2) સંયુક્ત રાષ્ટ્રએ એક ખાસ આંતરરાષ્ટ્રીય સંધિ બનાવવી જોઈએ, જે જાતિ અને જાતિ આધારિત ભેદભાવને નાબૂદ કરવા માટે બંધનકર્તા હોય.
(3) કેનેડા જેવા દેશોના માનવ અધિકાર કાયદાઓમાં ‘જાતિ’ ને સંરક્ષિત શ્રેણી તરીકે ઉમેરવી જોઈએ.
(4) શિક્ષણ પદ્ધતિમાં ‘ક્રિટિકલ કાસ્ટ થિયરી’ લાગુ કરવી જોઈએ, અને અભ્યાસક્રમમાં જાતિ આધારિત ભેદભાવ સામે બંધારણીય મૂલ્યોનો સમાવેશ કરવો જોઈએ.
(5) વૈશ્વિક સ્તરનો ‘જાતિ ભેદભાવ સૂચકાંક’ બનાવવો જોઈએ, જે જાતિ આધારિત અસમાનતાને માપવા માટે એક સાધન બનશે.
(6) જાતિ આધારિત ભેદભાવોથી પ્રભાવિત સમાજોના નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે ભંડોળ અને પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું જોઈએ.
(7) ઐતિહાસિક અન્યાયની ભરપાઈ કરવા માટે જાહેર માફી, જમીન સુધારણા અને રાજકીય ભાગીદારી આપવામાં આવે.
(8) જાતિ અને જાતિ વિરોધી ચળવળોમાં યુવા નેતૃત્વને આગળ લાવવા માટે નીતિ બનાવવી જોઈએ.
(9) પ્રવાસી કાર્યક્રમોમાં માનવ અધિકાર અને જાતિ વિરોધી તાલીમ ફરજિયાત બનાવવી જોઈએ.
(10) જાતીય હિંસા અને અત્યાચારના કેસોની સમીક્ષા કરવા માટે સત્ય અને સમાધાન પંચની સ્થાપના કરવી જોઈએ.
આ પણ વાંચો: ભારતમાં સત્તાધારીઓ કેમ ‘સમ્રાટ અશોક’ થી અંતર જાળવે છે?