કેવી રીતે ‘કેજરીવાલે’ જ ‘કેજરીવાલ’ને હરાવ્યા?

અરવિંદ કેજરીવાલ પર નજર રાખનારા કેટલાક વિશ્લેષકોના મતે ભાજપ-કૉંગ્રેસે નહીં, ખુદ કેજરીવાલે જ 'કેજરીવાલ'ને હરાવ્યા છે.તેમને મોટી હાર મળી છે.
kejriwal

૨૦૧૩માં પહેલીવાર સત્તાનો સ્વાદ ચાખનાર આમ આદમી પાર્ટી (AAP) ને તેના જન્મના ૧૩મા વર્ષમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધી ચાર વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલી AAPનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની પાર્ટી 22 બેઠકો પર સમેટાઈ ગઈ. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ‘ક્રાંતિ’ લાવવાનો દાવો કરનાર પક્ષ પોતાના જ ગઢમાં કેમ તૂટી પડ્યો તે અંગે અનેક દલીલો કરવામાં આવી રહી છે. કેટલાક લોકો ભાજપની સામ-દામ-દંડ-ભેદની તાકાતન તેના માટે જવાબદાર ગણી રહ્યા છે તો કેટલાક લોકો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આમાં કોંગ્રેસની શું ભૂમિકા છે. જોકે અરવિંદ કેજરીવાલ પર નજર રાખનારા કેટલાક વિશ્લેષકો એમ પણ કહે છે કે કેજરીવાલે ખુદ ‘કેજરીવાલ’ને હરાવ્યા છે.

વર્ષ 2012 માં આમ આદમી પાર્ટીની રચના પછી ભલે યમુનાના પાણીમાં કોઈ ફેરફાર થયો ન હોય, પરંતુ અરવિંદ કેજરીવાલે ઘણા મુદ્દાઓ પર પોતાની જાતને બદલી નાખી હતી તેના કારણે જનતામાં તેમની છબી ખરડાઈ છે. કેજરીવાલ પોતે પ્રામાણિકતા, લોકપાલ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, સામાન્ય માણસની જીવનશૈલી, રાજકીય શુદ્ધતા વગેરે વિશે બતાવેલા બધાં સપના અને વચનોમાં નિષ્ફળ ગયા અને આખરે સામાન્ય માણસનો આદર ગુમાવી દીધો. આ પરિસ્થિતિનો રાજકીય લાભ ઉઠાવીને ભાજપે સામાન્ય લોકો સમક્ષ કેજરીવાલના શબ્દો અને કાર્યો વચ્ચેનો તફાવત ઉજાગર કર્યો, એટલું જ નહીં છેલ્લા દાયકાથી દરરોજ તેણે આપના વડાએ પોતે જ નક્કી કરેલા માપદંડો પર તેમને તોલવાનું ચાલું રાખ્યું.

સામાન્ય વેગનઆર કારથી શીશ મહેલ સુધીની યાત્રા

કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ-2 સરકાર વિરુદ્ધ દિલ્હીના રામલીલા મેદાનમાં આંદોલનનું નેતૃત્વ કર્યા પછી રાજકારણમાં પ્રવેશ કરનારા કેજરીવાલે શરૂઆતમાં ખૂબ જ સરળ વ્યક્તિ તરીકેની તેમની છબી બનાવી. ક્યારેક તે વાદળી વેગનઆરમાં, તો ક્યારેક ઓટોમાં તો ક્યારેક મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળતા હતા. સાદા કપડાં, ચપ્પલ અને કાનથી ગળા સુધી લપેટાયેલું મફલર પહેરીને કેજરીવાલે પોતાના માટે એક ખાસ છબી બનાવી હતી. તે દિવસોમાં તેઓ મુખ્યમંત્રીઓના મોટા બંગલાને મોટો મુદ્દો બનાવતા હતા. કેજરીવાલ કહેતા હતા કે જો તેઓ મુખ્યમંત્રી બનશે તો 2-3 રૂમનું નાનું ઘર પૂરતું હશે. તેમણે નવી દિલ્હીમાં ઘરે ઘરે જઈને સુરક્ષા, સરકારી ગાડી અને મોટો બંગલો ન લેવાનું સોગંદનામું પણ વહેંચ્યું હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેઓ ખુદ આ માપદંડો તોડતા ગયા. હવે તેમની પાસે હાઇટેક વાહનોનો કાફલો છે. મુખ્યમંત્રી તરીકે તેઓ જે બંગલામાં રોકાયા હતા ત્યાં કરોડો રૂપિયા વૈભવી સુવિધાઓ પર ખર્ચ કરવામાં આવ્યા હોવાના આરોપ છે. તેઓ દિલ્હી પોલીસની સાથે પંજાબ પોલીસની સુરક્ષા પણ ઇચ્છે છે. ભાજપ છેલ્લા દાયકામાં થયેલા પરિવર્તનોના મુદ્દાઓ ઉઠાવતો રહ્યો અને આ મુદ્દાઓ સોશિયલ મીડિયાથી સામાન્ય લોકોની જીભ સુધી પહોંચી ગયા.

ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનથી લઈને દારૂ કૌભાંડમાં જેલની સજા

એક દાયકા પહેલા અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર વિરુદ્ધના લડવૈયા તરીકે જાણીતા હતા, પરંતુ હવે તેઓ પોતે દારૂ કૌભાંડમાં જામીન પર છૂટેલા વ્યક્તિ બની ગયા છે. જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમની સરકાર પર દારૂ કૌભાંડનો આરોપ લાગ્યો હતો અને તેમને જેલમાં જવું પડ્યું હતું. કેજરીવાલ ઉપરાંત તેમના ઘણા મંત્રીઓને પણ તિહારમાં કેદ કરવામાં આવ્યા હતા. એક સમયે આરોપ લાગતા જ મંત્રીઓના રાજીનામું માંગતા ફરતા કેજરીવાલ જેલમાં ગયા પછી પણ મુખ્યમંત્રીના પદ પર રહેવા માટે અડગ રહ્યાં હતા. સુપ્રીમ કોર્ટે તેમના પર અનેક કડક પ્રતિબંધો લાદ્યા ત્યાં સુધી તેમણે રાજીનામું આપ્યું ન હતું. દારૂ કૌભાંડ ઉપરાંત ભાજપ તેમની સરકાર પર ક્લાસરૂમ કૌભાંડ, પેનિક બટન કૌભાંડ વગેરેનો પણ આરોપ લગાવે છે. જે કેજરીવાલ એક સમયે બીજાઓને ભ્રષ્ટાચારી હોવાનું પ્રમાણપત્ર આપતા હતા, હવે જનતા તેમની પોતાની પ્રામાણિકતા પર શંકા કરવા લાગી હતી.

યમુનામાં ડૂબકી લગાવવાના વચનથી લઈને તેને ઝેરી બનાવવાના આરોપ

આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ જે મુદ્દાઓ પર સૌથી વધુ નિશાન બન્યા છે તે છે યમુના અને તેનું પ્રદૂષણ. ૨૦૨૦ની ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલે જોરશોરથી વચન આપ્યું હતું કે ૨૦૨૫ની ચૂંટણી પહેલા તેઓ પોતે યમુનામાં ડૂબકી લગાવવા જશે. પરંતુ યમુનાના પ્રદૂષણમાં કોઈ ઘટાડો થયો ન હતો. અરવિંદ કેજરીવાલે પોતે આ સ્વીકારવું પડ્યું. આ ચૂંટણીમાં ભાજપે વારંવાર જનતાને યાદ અપાવ્યું કે કેજરીવાલે કહ્યું હતું કે જો તેઓ યમુનાને સાફ ન કરી શકે, તો તેમને મત ન આપવો જોઈએ.

‘સબ મિલે હુએ હૈ જી’ થી લઈને સૌને ગળે મળવા સુધી

એક સમયે ભાજપ અને કોંગ્રેસથી સમાન અંતર જાળવવાના શપથ લેનાર અરવિંદ કેજરીવાલનું એક વાક્ય ખૂબ પ્રખ્યાત થયું – સબ મિલે હુએ હૈ જી. પરંતુ સમય જતાં ભાજપથી તેમનું અંતર રહ્યું હોવા છતાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષો સાથે તેમની નિકટતા વધતી રહી. કેજરીવાલ જે પક્ષો અને નેતાઓને એક સમયે ભ્રષ્ટાચારી ગણાવીને તેમની યાદી જાહેર કરતા હતા હવે તેમની જ સાથે અનેકવાર ભેટતા અને હાથ મિલાવતા તેમના ફોટાં સામે આવવા લાગ્યા હતા. જેને લોકો જોતા હતા અને સમજતા પણ હતા.

ઘણા વચનો અધૂરા રહી ગયા

અરવિંદ કેજરીવાલે ગઈ ચૂંટણીમાં દિલ્હીના લોકોને વચન આપ્યું હતું કે તેમને યુરોપ જેવા રસ્તા અને 24 કલાક સ્વચ્છ પાણી મળશે. પણ થયું તેનાથી ઉલટું. એક તરફ દિલ્હીના રસ્તાઓ પર ખાડા પડી ગયા, બીજી તરફ ઘરોમાં આવતું પાણી દિન પ્રતિદિન ખરાબ થતું ગયું. આવા ગંદા પાણીનો પુરવઠો પણ સમયસર થયો ન હતો. ઉનાળામાં દિલ્હીવાસીઓ ટેન્કર પાછળ દોડતા હોય તેવા ચિત્રો આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ પ્રકાશિત થતા હતા. ચૂંટણીની વચ્ચે અરવિંદ કેજરીવાલે પોતે સ્વીકારવું પડ્યું કે તેઓ આ વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે જનતા પાસે વધુ એક તક માંગી હતી. પણ જનતા તેમને વધુ એક તક આપવા આ વખતે તૈયાર ન થઈ.

આ પણ વાંચો: Delhi election માં અરવિંદ કેજરીવાલની AAP ની હારના 5 કારણો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x